કોઇ પ્રીત કરી તો જાણે!
કોઇ પ્રીત કરી તો જાણે, અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે.
દિવસ ઉગ્યે બેચેન રહેવું, રાત પડયે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી પળપળને વિસરાવી દેવી,
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે.
દુનિયાની તીરછી દ્રષ્ટિમાં, વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રેહવું, મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગે કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે.
મોજાંઓના પછડાટોથી, ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે-સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી તો કોઇ તરી તો જાણે…
કોઇ પ્રીત કરી તો જાણે!