Browsed by
Tag: વૃદ્ધાવસ્થા

જીવન છેવટે લાગણીઓનો ખેલ છે

જીવન છેવટે લાગણીઓનો ખેલ છે

માણસની ઉંમર ગમે તે થાય એની સંવેદના અને લાગણીઓ તો મૃત્યુ સાથે જ સમેટાતી હોય છે. જેમ બાળક કોઈ પોતાની નોંધ લે તે માટે મથે છે તે જ રીતે વૃદ્ધોને પણ કોઈ એમની સાથે વાત કરે, કોઈ એમની સલાહ લે, કોઈ એમને પોરસાવે તે ગમે છે.

વૃદ્ધ એ પાયો તૂટી ગયેલી ખુરશી અથવા ટેબલ નથી. નથી એ જળી ગયેલું ખમીસ. વૃદ્ધને ઘસાઈ ગયેલો સિક્કો કે ફાટી ગયેલી નોટ માની અને એને ચલણમાંથી કે વપરાશમાંથી કાઢી નાંખવું એ વૃદ્ધત્વનું અપમાન છે.

ઘરમાં કોઈ પ્રસંગ ઊજવાતો હોય કે બાળકના જન્મદિનની કેક કપાતી હોય, ટેલિવિઝન પર મેચ ચાલતી હોય કે કોઈ મોટા માણસ ઘરે આવ્યા હોય. વૃદ્ધની આંખમાં પણ આ પળ માણવાની, બધાંની સાથે બેસવાની, દીકરાના દીકરાને માથે હાથ ફેરવવાની, એને વ્હાલભરી ચૂમી ભરવાની, ક્રિકેટની મેચમાં રસ હોય તો સ્કોર જાણવાની અને કોઈ વિશિષ્ટ વ્યક્તિ ઘરે આવ્યું હોય તો ઘરના મોભી તરીકે બે શબ્દોની આપ-લે કરવાની ઉત્કંઠા હોય છે.

ઘણી બધી જગ્યાએ મેં જોયું છે. ઘરના વડીલ માટે નવાં કપડાં લેવાનાં હોય તો પહેલો હિસાબ મૂકાય. આટલાં બધાં કપડાં અને હવે આ ઉંમરે શું કરવા છે? કોઈ વળી કહે કે આ ઉંમરે વળી બહાર જમવાના ચટાકા કરીને શું કામ છે? આ ઉંમરે કોઈકનાં લગ્નમાં તમારે શું જવું છે? અરે! આ ઉંમરે એટલે? કેમ આ વૃદ્ધ આવતીકાલે ટપકી જવાના છે અને તમે અમરપટો લખાવીને આવ્યાં છો?

ચીરયૌવનનું વરદાન લઈને આવ્યાં છો? આવા સમયે એક નિઃસહાયતાનો અહેસાસ મેં બે જ જગ્યાએ જોયો છે. એક આ પ્રકારનું વર્તન થતું હોય ત્યાં વૃદ્ધ કે વૃદ્ધાની આંખમાં અને બીજો બાખડી થઈ ગયેલી અને એટલે માલિકે તગડી મૂકેલી ગાયની આંખમાં. આવી ગાયને રોટલી ખવડાવીએ તો એ પણ ડોક ઊંચી કરીને હાથથી પંપાળવા કહે છે. મૂંગા પશુને પણ વ્હાલ જોઈએ છે તો આ તો માણસ છે. માની લઈએ સૌ પોતપોતાનાં કામમાં વ્યસ્ત છે પણ આખા દિવસમાં દસ મિનિટ પણ ન નીકળી શકે?

ક્યાંક બીજું જોવા મળે છે. એમાં પેલો ‘દોઢ વાંક વગર પ્રશ્ન ઊભો થતો નથી’ એ સિદ્ધાંત કામ કરે છે. પેલા વૃદ્ધ કે વૃદ્ધાને હજુ પણ બધું જ પોતાને પૂછાય અને બધું જ પોતાની જાણમાં હોય એનો અભરખો છે. ધૂળ જેવી વાત હોય તોય ‘મને તો ખબર જ નથી ને’ અને ખોટું લાગી જાય!

અરે ભાઈ, હવે ધીરે ધીરે આપણે આ વૃત્તિ છોડી રહ્યાં છીએ ત્યારે હજુય મને ખબર જ નથી કહીને ખોટું શું કરવા લગાડવું. બીજી બાજુ ઔપચારિક વાત હોય અને પ્રશ્ન પૂછાય તો પણ દીકરો જવાબ ના આપે. ઉલટાનું ઘુરકિયું કરે ‘તમારે બધી પંચાત કરીને શું કામ છે?’

આ પ્રકારની વૃત્તિમાં એક વૃદ્ધે પોતાના દીકરાને કઈ રીતે સબક શીખવાડ્યો એની વાત મારી મા પાસેથી સાંભળેલી. એક વેપારી હતા. નામું લખ્યા કરે અને પાસે બેઠેલો દીકરો સામેના ઘરના છાપરે બેઠેલો કાગડો બાપાને બતાવીને કહે ‘બાપા કાગડો.’ સામે બાપા જવાબ આપે ‘હા બેટા, કાગડો.’ આવું કેટલીય વાર બોલાય અને બાપા જવાબ આપ્યા કરે.

એમ કરતા દીકરો મોટો થયો. એક દિવસ એણે પેલા શેઠના કોઈક પ્રશ્નનો ખિજાઈને જવાબ આપ્યો. શેઠ સમસમી ગયા. એમણે દીકરાને કહ્યું ‘ભાઈ! મારું એક નાનું કામ કર ને.’ બાપાએ સામે અભરાઈ પરથી સંઘરી રાખેલ વીસ-પચ્ચીસ વરસ પહેલાંની ખાતાવહીઓ ઉતરાવી. દીકરાને પણ નવાઈ લાગી.

વેપારીએ કહ્યું, ‘બેટા! આ ખાતાવહી જરા ખોલો અને વાંચો.’ દીકરાએ વચ્ચેનું પાનું ખોલ્યું અને આશ્ચર્યમાં પડી ગયો. દર ચોથી લીટીમાં લખ્યું હતું: ‘હા બેટા, કાગડો.’ એના પિતાએ કહ્યું, ‘ભાઈ! તું નાનો હતો ને ત્યારે આ જે કંઈ કાલાઘેલા પ્રશ્નો તું પૂછે તેનો જવાબ કામમાં વ્યસ્ત હોવા છતાં આપવાની રમત હું રમ્યો છું. તને આ એક પ્રશ્નમાં ગુસ્સો આવી ગયો? આટલી ઓછી ધીરજ?’

પેલા દીકરાને એની ભૂલ સમજાઈ અને એણે માફી માંગી.

આ ‘બાપા કાગડો’ અને જવાબમાં ‘હા બેટા, કાગડો’વાળી રમત આપણાં બધાંનાં જીવનમાં રમાય છે. એ વખતે પિતાની ધીરજ હોય છે. આજે પિતા વૃદ્ધ છે, એને કોઈ નાનોમોટો પ્રશ્ન હોય તો જવાબ આપવા જેટલું સૌજન્ય દર્શાવીને એની લાગણીને પંપાળી ન શકાય?

જીવન છેવટે લાગણીઓનો ખેલ છે.

બાળકને બાળકની લાગણી છે, યુવાનને યુવાનની લાગણી છે.

વૃદ્ધને વૃદ્ધની લાગણી છે, લાગણી એ જ જીવન છે.

એ લાગણીઓને સમજી, સંકોરી, પંપાળી, પ્રેમથી ન જીવી શકાય?

જો આવું થાય તો? ઘરમાં વૃદ્ધને ક્યારેય અકારું નહીં લાગે. આવા ઘરમાં વૃદ્ધ ક્યારેય એવું કહેતો નહીં સંભળાય કે ‘હવે તો ભગવાન લઈ લે તો સારું.’ વૃદ્ધત્વને જીવનનો એક ઉત્સવ બનાવવામાં ફાળો આપવા જેટલી મોટી યાત્રા બીજી કોઈ હોઈ શકે ખરી? કદાચ એટલે જ આપણે શ્રવણને યાદ કરીને વંદન કરીએ છીએ.

ડૉ. જય નારાયણ વ્યાસ

(“દિવ્ય ભાસ્કર” ની તા.૨૦/૧૨/૨૦૨૩ ની પૂર્તિ “કળશ” માંથી સાભાર)

વૃદ્ધાવસ્થા એક જાતની દીપ્તિ છે

વૃદ્ધાવસ્થા એક જાતની દીપ્તિ છે

ચીનના લેખક ઝૉ ડેક્સિનની ‘ધ સ્કાય ગેટ્સ ડાર્ક, સ્લોલી’ – આકાશમાં અંધારું ઘેરાતું જાય છે, ધીરે ધીરે – વૃદ્ધોના જીવનની સંકુલ સમસ્યાઓ અને એમના ભાવોની સંવેદનાત્મક નવલકથા છે. આ નવલકથા તરફ સાહિત્યપ્રેમી પ્રવીણભાઈ વીરાએ ધ્યાન ખેંચ્યું હતું. આજના સમયમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે ત્યારે આ નવલકથાની સોશિયલ મીડિયામાં પણ વ્યાપક ચર્ચા થવા લાગી છે. ઝૉ ડેક્સિન કહે છે : ‘ઘણા વૃદ્ધો માને છે કે તેઓ વૃદ્ધાવસ્થા વિશે બધું જ જાણે છે, પરંતુ વાસ્તવમાં તેઓ ઊભી થનારી પરિસ્થિતિ વિશે બાળક જેવા જ અજાણ હોય છે. ઘણાં વૃદ્ધો આગળ જતાં એમણે વૃદ્ધાવસ્થામાં કેવા મુશ્કેલ સમયનો સામનો કરવાનો છે તે વિશે માનસિક રીતે તૈયાર હોતાં નથી.’ તેઓ ઉમેરે છે કે માણસ સાઠની ઉંમર વટાવે ત્યારથી માંડીને અંધકારમય થવા લાગેલા જીવનનું તેજ ઓસરી જાય ત્યાં સુધીના તબક્કાઓમાં ઊભી થનારી પરિસ્થિતિઓનો ખ્યાલ હોવો જરૂરી છે. તો જ તેઓ વૃદ્ધાવસ્થાની શારીરિક અને માનસિક સમસ્યાનો સ્વસ્થતાથી સામનો કરી શકે છે. એમણે એવી સંભવિત પરિસ્થિતિઓની વિગતવાર ચર્ચા કરી છે.

ઝૉ કહે છે કે વધતી ઉંમરની સાથે તમારી આસપાસના લોકોની સંખ્યા ઘટતી જવાની છે. દાદા-દાદી અને માતા-પિતાની પેઢીના લોકોએ વિદાય લઈ લીધી હશે. મિત્રો–પરિચિતો પણ તમારી જેમ પોતાની સારસંભાળ જાતે લેવા અશક્ત થયાં હશે. તમારાથી નાની પેઢી એમના જીવનમાં વ્યસ્ત હશે. એવું પણ બને કે પતિ-પત્નીમાંથી એકે વિદાય લીધી હોય. જીવનનો આ તબક્કો વૃદ્ધજનો માટે ખાલીપાનો હોય છે. એકલા જીવવાની અને એકલતાનો આનંદ માણવાની તૈયારી રાખવી પડશે.

સમાજમાં પણ વૃદ્ધોની સંભાળ લેવાનું વલણ ધીરે ધીરે ઓછું થશે. યુવાનીમાં અને આધેડ વયમાં તમારી કારકિર્દી ગમે તેવી ભવ્ય રહી હોય, તમે ગમે તેટલી નામના મેળવી હોય – ઉંમર બધાંને સામાન્ય વૃદ્ધ પુરુષ કે વૃદ્ધ મહિલા બનાવી દે છે. લોકોનું ધ્યાન તમારા પરથી ખસી ગયું હશે અને તમારે ખૂણામાં ઊભા રહી જીવવાનું સ્વીકારવું પડશે. આજુબાજુમાં સંભળાતા કોલાહલો અને જાતજાતની વાતો ધીરજપૂર્વક સાંભળવા પડશે. એટલું જ નહીં, તે માટે કોઈ ફરિયાદ કે ઇર્ષ્યા કરવાની ઇચ્છા મનમાં દાબી રાખવી પડશે.

વૃદ્ધવસ્થાનો માર્ગ ક્રમશ: કઠિન બનતો જશે. જાતજાતની તકલીફો આવશે, બીમારીઓ આવશે. એ તકલીફો અને બીમારી અગાઉથી ખબર આપ્યા વિના આવી ચડતા મહેમાનો જેવાં છે. ગમે ત્યારે પધારે. એમનું સ્વાગત કરવાની ના પાડી શકાશે નહીં. એમને મિત્રોની જેમ આવકારવા પડશે. વૃદ્ધાવસ્થામાં શારીરિક તકલીફો વિનાના સરળ જીવનની કલ્પના કરવી સંભવ નથી. તે માટે આપણે સકારાત્મક રહીશું અને શરીરને શક્ય એટલું ચુસ્ત રાખીશું તો ફાયદો થશે.

વધતી ઉંમરની સાથે પથારીવશ થવાની તૈયારી રાખવી પડશે. એ તબક્કો નાનકડા બાળક જેવો હોય છે. માતા આપણને આ જગતમાં લાવી ત્યારે આપણે પથારીમાં જ હતા. જિંદગીની લાંબી મુસાફરીમાં અનેક વળાંકો અને પડકારોમાંથી પસાર થયા પછી વૃદ્ધાવસ્થામાં લોકોએ પથારી તરફ પાછા વળવું પડે છે. બાળપણમાં અન્ય લોકો આપણી સંભાળ લેતાં તેમ આ ઉંમરે બીજા લોકો તમારી સંભાળ લેશે. બાળપણમાં સંભાળ લેવા માટે મા હતી, હવે વિદાયનો સમય નજીક આવશે ત્યારે શક્ય છે કે તમારાં સંતાનો પણ તમારી સાથે ન હોય. કેટલાક વૃદ્ધોની સંભાળ લેવાની જવાબદારી નર્સિંગ સ્ટાફ પર હશે. સ્વાભાવિક રીતે એમના મનમાં ફરજની ભાવના સિવાય કોઈ અંગત લાગણી ન હોય. એમના ચહેરા પર બનાવટી સ્મિત હશે, પરંતુ અંદરથી એક પ્રકારનો કંટાળો હશે. એમને શાંતિથી સહન કરતાં શીખવું પડશે. એમના પ્રયત્નો અને સહાય માટે આભારી રહેવાની તૈયારી રાખવી પડશે.

ઝૉ ડેક્સિને આ બધું વૃદ્ધાવસ્થાનું વરવું અને ડરામણું ચિત્ર આપવા માટે કહ્યું નથી. એ ભવિષ્યમાં ઊભી થનારી સંભવિત પરિસ્થિતિથી લોકોને સભાન કરે છે. કહેવાયું છે કે આત્મવિશ્વાસ માણસને કોઈ પણ ઉંમરે યુવાન રાખે છે. આશંકાઓ, ભય અને વાસ્તવિકતાઓનો સહજભાવે સ્વીકાર કરવાની તૈયારી ન હોય તો માણસ કોઈ પણ વયે વૃદ્ધ જ હોય છે. ઝૉએ ‘ધ સ્કાય ગેટ્સ ડાર્ક, સ્લોલી’ દ્વારા લોકોને એ માટે તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. એમણે કહ્યું છે: ‘આકાશ સંપૂર્ણપણે અંધારું થઈ જાય તે પહેલાં જીવનયાત્રાના અંતિમ તબક્કામાં અજવાળું ઓસરવા લાગે છે. એ સ્વાભાવિક પ્રક્રિયા છે. આગળનો માર્ગ જોવાનું મુશ્કેલ બનતું જાય છે. એટલા માટે જ બરાબર જોઈ શકાતું હોય ત્યારે, વૃદ્ધાવસ્થામાં પ્રવેશના સમયે જ, આવનારી કઠિન વાસ્તવિકતા માટે અગાઉથી સજ્જ થવું જોઈએ.’ ઝૉએ કહ્યું છે કે લોકોએ વૃદ્ધાવસ્થાનો પ્રવાસ હળવો કરવા માટે શક્ય તેટલો ભાર ઉતારતાં જવું જોઈએ. વીત્યું તેનો અફસોસ કર્યા વિના આપણને જે મળ્યું એનો આનંદ માણીએ. જીવન તો છેલ્લા શ્વાસ સુધી પ્રસન્ન રહેવા માટે મળ્યું છે. સમાજ પર, સંતાનો પર, ત્રીજી પેઢી પર બોજારૂપ થવાને બદલે બધાંની સાથે પ્રેમ અને વહાલથી વર્તવાથી એમને પ્રસન્ન રાખી શકાય છે અને આપણને પણ પ્રસન્નતા મળે છે. વાણી પર સંયમ રાખીએ, કટુ વચનોથી દૂર રહીએ, બીજાંને માન આપીશું તો આપણને સન્માન મળશે.

કુદરતનો પ્રવાહ જીવનનો પ્રવાહ છે — એમાં કમને તણાઈએ નહીં, પરંતુ નિજાનંદે તરીને એને પાર કરીએ. સંવાદિતા અને સમભાવ વૃદ્ધાવસ્થાનો પવિત્ર મંત્ર છે. સૌને એક કરીને રાખીએ અને આપણે સમગ્રતાની સાથે એક થઈને ભળી જઈએ. સમસ્યા એ છે કે ઘણાં લોકો માને છે કે – ‘અરે, હું તો ઘરડો થઈ ગયો અને મને એની ખબર જ ન પડી!’ તે માટે કુદરત અગાઉથી પૂરતા સંકેત આપી સાવધાન કરે છે. વૃદ્ધાવસ્થા અચાનક ઊભી થયેલી અવસ્થા નથી, માણસમાત્રના જન્મની સાથે ભવિષ્યમાં આવનારી વૃદ્ધાવસ્થાની વાસ્તવિકતાનો ધીરે ધીરે આરંભ થાય છે. સંપૂર્ણ અંધારું છવાય તે પહેલાં આપણે જિંદગીમાં અઢળક અજવાળાનો અનુભવ કર્યો હોય છે. એ જ અજવાળું ગાઢ અંધકારમાં માર્ગ ચીંધે છે. વૃદ્ધાવસ્થા પણ એક જાતની દીપ્તિ છે.

– વીનેશ અંતાણી, રસરંગ પૂર્તિ, દિવ્ય ભાસ્કર, તા.૨૮/૧૧/૨૦૨૧