Browsed by
Tag: મૈસૂર

પક્ષીઓની જાહોજલાલી

પક્ષીઓની જાહોજલાલી

મૈસૂર તેના વૃંદાવન ગાર્ડનને લીધે જનસામાન્યમાં જાણીતું હતું. તે ઉપરાંત તેમાં શુક વનનો ઉમેરો થયો છે. શુક વન એ દોઢ એકરમાં પથરાયેલું પક્ષી સંગ્રહાલય છે. અહીં અનેક પ્રકારના અને આકારના પક્ષીઓ જોવા મળે. એમાં મોટાભાગના જાતજાતના પોપટો હોવાથી તેને પેરોટ પાર્ક પણ કહેવામાં આવે છે. અહીં દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરેલા પોપટો છે. આ શુક વન શ્રી ગણપતિ સચ્ચિદાનંદ આશ્રમમાં આવેલું છે. શુક વનમાં રેનબો લોરિકીટ, સન કોનુર્સ, ક્વેકર અને એક્લેક્સ જાતિના પોપટ પણ છે.

અહીં ૪૬૮ જાતિના હજારો પક્ષીઓ છે. કેટલાક પક્ષીઓ જેવા કે સન કોનુર્સ જલદી માણસજાતની નજીક જતા નથી, પરંતુ અહીં મુલાકાતીઓ આરામથી એની નજીક જઈ શકે છે. એનું કારણ જણાવતાં સ્વામી કહે છે કે તેઓ જાણે છે કે તેઓ સલામત જગ્યાએ છે. સ્વામીના ખભા ઉપર, માથા ઉપર અને હાથ ઉપર બેસીને આરામથી ગેલ કરતાં પોપટોને જોવા એ એક લ્હાવો છે.પક્ષીઓ માટે અહીં ૮૨ રૃમ છે.

અહીં પક્ષીઓનું પુનર્વસન કેન્દ્ર પણ છે. બીમાર પક્ષીઓનો એક અલાયદો વિભાગ રાખ્યો, જે વ્યક્તિઓ પક્ષીઓને પાળતી હોય, પરંતુ તેમના દ્વારા યોગ્ય કાળજી ન લેવાતી હોય અથવા કેટલાંકે પક્ષીઓને બચાવ્યા હોય એવાં પક્ષીઓ મુંબઈ અને દિલ્હીથી અહીં આવે છે. દક્ષિણ અમેરિકા, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ અને સોલોમન આઇલેન્ડથી આશરે બે હજાર પક્ષીઓ અહીં આવેલા છે.

આશ્રમમાં દરેક પક્ષીઓની ખૂબ કાળજી લેવામાં આવે છે. શુક વનમાં પક્ષીઓની સંભાળ લેતી શ્રીલક્ષ્મી કહે છે કે અમે કેટલાંક પક્ષીઓને અહીં અલગ રાખીએ છીએ. પક્ષીઓને થોડું સારું થયા પછી આશ્રમના કેર સેન્ટરમાં રાખીએ છીએ અને એકદમ સારું થયા પછી પાર્કમાં મૂકી દઈએ છીએ, પરંતુ કેટલાક પક્ષીઓ એવા હોય છે કે જે સારવાર પછી પણ ઊડી શકતા નથી. એવા પક્ષીઓને કાયમ માટે કેર સેન્ટરમાં રાખવામાં આવે છે.

પક્ષીઓની સારવાર માટેનું આ સેન્ટર આધુનિક સુવિધાઓથી સજ્જ છે. એક્સ-રે મશીન, ઓપરેશન થિયેટર, ડીએનએ લેબોરેટરી, બ્લડ ટેસ્ટ, બીજા પક્ષીઓને ચેપ ન લાગે તે માટે આઈસોલેશન યુનિટ પણ અહીં ઉપલબ્ધ છે. દિવસમાં બે વખત વેટરનરી ડૉક્ટરો અહીં આવીને પક્ષીઓની સંભાળ લે છે. પક્ષીઓને રમવાની જગ્યા માટે ‘પ્લે સેકશન’ છે જ્યાં તેમને લાકડાનાં રમકડાં આપવામાં આવે છે. તેમને ભોજનમાં ફ્રૂટ, ફણગાવેલા અનાજ, શાકભાજી, મગફળી જેવા નટ્સ, મકાઈ અને શેરડી આપવામાં આવે છે.

થોડા સમય પહેલાં ફિલિપાઈન્સે શુક વનને બે બ્લુ કલરના પોપટો ભેટ આપ્યા છે. કેટલાક પોપટો અહીં આવતા મુલાકાતીઓને ‘ગુડ મોર્નિંગ’, ‘હાઉ આર યુ ?’, ‘ઓમ નમ: શિવાય’ કહીને તેમનું મનોરંજન કરે છે તો ક્યારેક કન્નડ કે તેલુગુ ભાષામાં પણ બોલે છે. ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીને ૨૦૧૭ના મે મહિનામાં પક્ષીઓની સૌથી વધુ જાતિઓને આ પક્ષી સંગ્રહાલયમાં રાખવા માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.