Browsed by
Tag: ચનકા રેસીડેન્સી

ચનકા રેસીડેન્સી

ચનકા રેસીડેન્સી

બિહારના પૂર્ણિયા જિલ્લાના સાવ નાના એવા ગામ ચનકામાં ગિરીન્દ્રનાથનો જન્મ ખેડૂત પિતાને ત્યાં થયો. પિતા ઇચ્છતા નહોતા કે પુત્ર ખેતી કરે. આથી ઉચ્ચ અભ્યાસાર્થે દિલ્હી મોકલ્યો. દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ પત્રકારત્વનો અભ્યાસ કર્યો.

અખબારમાં નોકરી મળી અને કાનપુરમાં રહેવા લાગ્યા, પરંતુ એ સમયે વતનનો સાદ સંભળાતો હતો. પૂર્ણિયા ગામમાં જન્મેલા લેખક ફણીશ્વર નાથ રેણુ અને સંત કબીરના જીવનનો ગિરીન્દ્રનાથ પર ઘણો પ્રભાવ હતો, તેથી જ પોતાની માતૃભૂમિ માટે કંઈક કરવાની સતત ઝંખના રહેતી. ૨૦૧૨માં પિતાને બ્રેઇન હેમરેજ થયું અને તેઓ પરિવાર સાથે ચનકા ગામમાં સ્થાયી થવા આવી ગયા.

ગિરીન્દ્રનાથ પોતાને ગામ તો આવી ગયા, પરંતુ પોતાના ગામમાંથી શહેર તરફ જતા લોકોને અટકાવવાનું અને શહેરના લોકોને ગામ સુધી પાછા લઈ આવવાનું તેમનું સ્વપ્ન અધૂરું હતું. એના માટે એમણે સૌથી પહેલું કામ તો ગામલોકોને સમજાવવાનું કર્યું અને જેની પાસે જમીન ન હોય, તેને પોતાની જમીન પર ખેતી કરવાનું કહ્યું.

ગામના બાળકો સાથે દોસ્તી કરીને વ્યસનનાં દુષ્પરિણામો દર્શાવતી ડોક્યુમેન્ટરી બતાવી. આ રીતે નશાવિરોધી અભિયાન ચલાવીને ગામડાને વ્યસનમુક્ત કર્યું. ગિરીન્દ્રનાથનું હવેનું કામ હતું શહેરના લોકોની ગામડાં પ્રત્યેની માનસિકતા બદલવાનું. ગામની કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને લોકસંગીતમાં રુચિ વધે તે માટે ‘ચનકા રેસીડેન્સી’ બનાવી.

એમની પાસે ગામ અને શહેરને જોડતું માધ્યમ છે એમનો ‘અનુભવ’ બ્લોગ. તેઓ નિયમિત બ્લોગ લખે છે, જેમાં ગામમાં ચાલતી પ્રવૃત્તિઓ, ફોટા અને અનુભવોનું આલેખન કરે છે. એમના આ બ્લોગને ૨૦૧૫માં  દિલ્હી સરકાર તરફથી સર્વશ્રેષ્ઠ હિદી બ્લોગનું સન્માન પ્રાપ્ત થયું છે.

એના દ્વારા જ ઑસ્ટ્રેલિયાના હિંદીના પ્રોફેસર ઇયાન વુલવર્ફ જે ફણીશ્વરનાથ રેણુ પર સંશોધન કરી રહ્યા છે તે ચનકા રેસિડેન્સીના પ્રથમ મહેમાન બન્યા હતા. એક બાજુ પાક લેવો જોઈએ તો બીજી બાજુ ટીમ્બર ટ્રી વાવવાં જોઈએ, જે ફિક્સ ડિપોઝીટનું કામ કરે છે, કારણ કે તેનું વળતર દસ પંદર વર્ષ પછી મળે છે. તેઓ કહે છે, ‘મારા માટે ખેતરે જવું તે ઓફિસે જવા બરાબર છે.’

સોશિયલ મીડિયાનો હેતુ માત્ર લોકો સુધી પહોંચવાનો જ નથી, પરંતુ ક્રાઉડ ફંડિગથી ઘણાં ઉમદા કાર્યો તેમણે કર્યા છે. બાળકોને અભ્યાસમાં સોલર ફાનસ અપાવ્યા છે. ૨૦૧૫માં ચનકામા યુનિસેફ દ્વારા ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન થયું એમનું સ્વપ્ન રૃરલ મ્યુઝિયમ બનાવવાનું પણ છે, જેમાં લાકડાનું હળ, બળદગાડી, મસાલા વાટવાનો પથ્થર, સંગીતના સાધનો, આદિવાસી સમાજના ઉપકરણો, ચિત્રો વગેેેર અનેક વસ્તુઓ હોય. તેઓ કહે છે કે આ કોઈ ક્રાંતિ નથી.

લોકોને માત્ર માર્ગદર્શન આપવાનું કામ છે કે તેમની આવક કેવી રીતે વધે અને જીવનધોરણ કેવી રીતે સુધરે. એમણે પોતાના અનુભવોની વાત ‘પ્યાર મેં માટી સોના’ પુસ્તકમાં કરી છે, જેનું વિમોચન જાણીતા પત્રકાર રવીશકુમારે કર્યું. તેઓ કહે છે કે, ‘ગામ મને મારી જાત સાથે જોડે છે અને ઇન્ટરનેટ બહારની દુનિયા સાથે. આ બંનેનો મેળાપ મારા જીવનને મજેદાર બનાવે છે.’