Browsed by
Tag: ગુણવંત શાહ

વારંવાર ડોકટરને ત્યાં જવામાં શરમ નથી આવતી ?

વારંવાર ડોકટરને ત્યાં જવામાં શરમ નથી આવતી ?

આરોગ્યમય જીવનનું રહસ્ય સમજાય તે માટે ડૉક્ટર હોવાનું ફરજીયાત નથી. કેટલાક ડૉક્ટરો એવી રીતે જીવે છે, જેમાં એમની મૅડીકલ સમજણનું ઘોર અપમાન થતું હોય છે. ઘણાખરા ડૉક્ટરો દરદીઓને દવા આપે છે; આરોગ્યની દીક્ષા નથી આપતા. કેટલાક ડૉક્ટરો દરદીને બદલે દવા બનાવનારી કંપનીને વફાદાર હોય છે. હૃદયરોગનો હુમલો થાય ત્યારે માણસનું માથું શરમથી ઝુકી જવું જોઈએ. હું એવું તે કેવું જીવ્યો કે મારું હૃદય મારાથી હારી બેઠું ? પ્રત્યેક હૃદયને સ્વમાન હોય છે. માલીક હદ વટાવે અને ખાવાપીવામાં કે હરવા ફરવામાં ભયંકર બેદરકારી બતાવે ત્યારે હૃદય બળવો પોકારે છે.

હૃદયરોગ મફતમાં નથી મળતો. એને માટે વર્ષો સુધી તૈયારી કરવી પડે. હૃદયરોગ એટલે અપમાનીત હૃદયનો હાહાકાર ! રોગ એટલે જીવનલય તુટે તેની શરીરે ખાધેલી ચાડી. ડૉક્ટર ન હોય તેવા સમજુ માણસને કેટલી બાબત જડે છે :‘સમજનેવાલે સમજ ગયે હૈ, ના સમજે વો અનાડી હૈ.’

પહેલી વાત તો એ કે તંદુરસ્ત રહેવા માટે વ્યાયામ અત્યંત જરૂરી છે. આજનો કહેવાતો એક્ટીવ માણસ પણ વાસ્તવમાં બેઠાડુ હોય છે. ટી.વી. પર ક્રીકેટ મેચ જોનાર એક સાથે કેટલા કલાકો છાણના પોદળાની માફક બેઠેલો રહ્યો ! પ્રત્યેક ઓવરને અંતે એ પોદળો ઉભો થઈને હળવા હલનચલન દ્વારા શરીરને છુટું કરી શકે. ઓફીસની ખુરશીમાં કલાકો સુધી બેસી રહેનાર કર્મચારી, લગભગ પોટલું બનીને ચરબી એકઠી કરતો રહે છે. કેટલીય ગૃહીણીઓ લગભગ પીપ જેવી બનીને મજુરણને દબડાવતી રહે છે. હાડકું નમાવવું જ ન પડે તેવી દીનચર્યા અને ઘરચર્યા બ્લડપ્રેશરને આમંત્રણ આપે છે. કોઈ ખેતમજુરને ડાયાબીટીસ થતો નથી. ડાયાબીટીસ કાયમ સુખસગવડથી શોભતું, માલદાર ઘર શોધે છે. મોટરગાડી અને સ્કુટરના પૈંડાએ આપણી પાસેથી પગનું ગૌરવ છીનવી લીધું છે. બાળકો પણ સાઈકલને બદલે મૉપેડ દોડાવતાં થયાં. નાની વયે હૃદયરોગ થાય તેની તૈયારીઓ થઈ રહી છે. ઘણાખરા રોગોના મુળમાં પગનો ગૌરવભંગ રહેલો છે.

માણસ જે ખાવું જોઈએ તે નથી ખાતો અને જે પીવું જોઈએ તે નથી પીતો. એને કયારે ખાવું અને કેટલું ખાવું તેનું ભાન નથી. લગ્નના રીસેપ્શન વખતે પાંચસાત જાતની મીઠાઈઓ હોય છે અને તળેલી વાનગીઓની ભીડ હોય છે. પંજાબી વાનગીઓની ફેશન ગુજરાતીઓમાં શરુ થઈ છે. બુફેના ટેબલ પર કેલરીના રાફડા ! બીજે દીવસે પેટ બગડે છે. ફાડાની લાપસી આઉટ ઓફ ફેશન ગણાય છે. માણસ જો ખાવાનું અડધું કરી નાખે અને ચાવવાનું બમણું કરી નાખે, તો મૅડીકલ સ્ટોરની ઘરાકી ઘટી જાય. સેમ્યુઅલ બટલર જો જીવતો થઈને સામે મળે તો દરદીને જરુર પુછે : ‘વારંવાર ડૉકટરને ત્યાં જવામાં તમને શરમ નથી આવતી?’ માણસનું શરીર કોથળા જેવું શા માટે હોય ? એ તો સ્વયંસંચાલીત તંત્રને ધારણ કરતું સાયબરનેટીક્સ છે અને પરમચેતનાનું મંગલમંદીર છે. શરીર પ્રત્યે બેદરકાર રહેવું એ તો અધાર્મીક બાબત ગણાય; કારણ કે શરીરને આપણે ત્યાં ‘ધર્મસાધનમ્’ ગણ્યું છે !

ઉંઘનો અનાદર રોગને નોતરે છે. ઉંઘની ગોળીઓ લેવા કરતાં થાકવાની તસ્દી લેવી સારી. દીવસમાં એકાદ વખત માણસે હાંફવું પડે એવું કોઈ કામ કરવું જોઈએ. ઝડપથી ચાલવામાં કે ધીમેથી દોડવામાં ફેફસાંનો સંકોચ વીસ્તાર પામે છે. ઈરાદાપુર્વક ઉંડા શ્વાસ લેવામાં પૈસા બેસતા નથી. રાત્રે પથારીમાં પડતી વખતે થાકનું નામનીશાન ન હોય ત્યારે ઉંઘ કાલાવાલા કરાવે છે. આંખને થાક ન લાગે તેવા આશયથી ઘણા લોકો વાંચવાનું પણ ટાળે છે. અમથા ઉજાગરા કરવામાં ઉંઘનું અપમાન થાય છે. મોડા ઉઠવામાં સુર્યનું અપમાન થાય છે. રાતે મોડા સુવામાં અંધારાનું અપમાન થાય છે. જીવનનો લય સુર્ય સાથે જોડાયેલો છે. પક્ષીઓ સુર્યની આમન્યા રાખે છે. માણસો નથી રાખતા. ઉંઘ અને રોગમુકતી વચ્ચે કલ્પી ન શકાય તેવો અનુબંધ છે. થાકવૈભવ વગર ઉંઘવૈભવ ન મળે અને ઉંઘવૈભવ વગર તાજગીવૈભવ ન મળે. વાસી ચહેરો લઈને ફરવામાં જીવનનું અપમાન થાય છે.

રોગનાં મુળીયાં મનના પ્રદેશમાં રહેલાં જણાય છે. હરામની કમાણી રોગની આમંત્રણપત્રીકા બની રહે છે, –એવું કોણ માનશે ? નાની મોટી છેતરપીંડી કરનાર માણસ રોગની શક્યતા વધારે છે, એવું કોણ માનશે ? નીખાલસ મનના માણસનું મન નીરોગી હોવાની સંભાવના (પ્રોબેબીલીટી) વધે છે. મનના મેલની શરીરમાં ટ્રાન્સફર થાય ત્યારે લોકો રોગી શરીરને જુએ છે; મનને સમજવાનું ચુકી જાય છે. ક્રીકેટનો સ્કોર ગણનારો કે ફુટબોલની રમતના ગોલ ગણનારો કદી પોતાની જાતને પુછતો નથી કે હું આજે કેટલીવાર ખાલી ખાલી જુઠું બોલ્યો ? પ્રત્યેક નાનું જુઠ માણસની ભીતરમાં એક પ્રકારનો માઈક્રો–લય તોડે છે. હરામની કમાણી કરનાર પણ અંદરથી બધું સમજે છે. માંહ્યલો એને અનુમતી આપતો નથી. ફેન્ચ વીચારક એલેક્સી ડૅરલ આવા લોકોને ચેતવે છે અને કહે છે: ‘ભગવાન તો તને માફ કરશે, પણ તારી નર્વસ સીસ્ટમ તને માફ નહીં કરે.’ માણસનું વ્યકતીત્વ મનોશારીરીક છે.

હું બહુ નાનો માણસ છું; પણ એક આગાહી કરું છું. ભવીષ્યમાં એક થેરપી જાણીતી થશે, જેને ‘પ્રામાણીકતા–ઉપચાર પદ્ધતી’ કહેવામાં આવશે. પ્રામાણીકપણે જીવનારો સીધી લીટીનો આદમી નીરામય અને લાંબા આયુષ્યની શકયતા વધારે છે. આપણી પરંપરામાં આયુર્વેદને ઉપવેદનો દરજ્જો મળ્યો, જેમાં આયુષ્યની માવજતનું રહસ્ય પ્રગટ થયું. આયુષ્ય પ્રત્યેની બેદરકારી સ્વસ્થ આદમીનું લક્ષણ નથી. દ્વેષ રોગજનક છેં. ઈર્ષ્યા રોગજનેતા છે. દગાબાજી કરનાર પોતાના મન પર બહુ મોટું દબાણ વેઠે છે. એ દબાણ શરીરને અસર કરે છે. એનું મજ્જાતંત્ર (નર્વસ સીસ્ટમ) બળવો પોકારે છે. આપણા પર કોઈ ભરોસો મુકીને બેઠું હોય અને આપણે શરમ નેવે મુકીને વર્તીએ ત્યારે આપણું સમગ્ર વ્યક્તીત્વ હચમચી ઉઠે છે. આવું બને ત્યારે શરીર લથડે છે. તન, મન અને માંહ્યલા વચ્ચેનો સુમેળ હોય ત્યારે રોગનું સ્વમાન હણાય છે; એ આપણને છોડીને ચાલી નીકળે છે, અથવા આવવાનું ટાળે છે. શરીરના વ્યાપારો સ્થુળ હોય છે, મનના વ્યાપારો સુક્ષ્મ હોય છે અને માંહ્યલાનું શાસન તો અતીસુક્ષ્મ હોય છે. દગાબાજીથી મોટું કોઈ પાપ નથી. પાપ તેને કહેવાય જે જીવન ખોરવી નાખે. મનમાં હોય તે કહી દેવામાં થોડુંક નુકસાન થાય છે. મેલું મન શરીરમાં મેલ દાખલ કરે તેને રોગ કહે છે.

થોડાક સમય પર હું અકથ્ય મનોયાતનામાંથી પસાર થયો. પહેલી અસર મારી ચામડી પર પડી. બીજી અસર વાળ પર પડી, ત્રીજી અસર પાચનક્રીયા પર પડી અને ચોથી અસર મારી ઉંઘ પર પડી. ખલેલમુક્ત મન વગર ખલેલમુક્ત શરીર શકય જ નથી. દીનચર્યા આપણી સ્વપ્નચર્યા (ઉંઘ) ની ગુણવત્તા નકકી કરતી હોય છે. આત્મવંચના પણ આત્મહત્યાનો જ એક પ્રકાર છે. મંથરાનું મન મેલું હતું તેથી એને કુબ્જા કહી છે. કુબ્જા રામાયણમાં પણ મળે અને મહાભારતમાં પણ મળે. મહાભારતની કુબ્જા કૃષ્ણને શરણે ગઈ તેથી ધન્ય થઈ. એ કંસની દાસી હતી; પણ એનું મુખ કૃષ્ણ ભણી હતું. કૈકેયીની દાસી અને કંસની દાસી વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે. આપણે કોને અનુસરવું તે આપણા હાથમાં છે.

: પાઘડીનો વળ છેડે :
મારા હાથમાં અત્યારે જોનાથન ગ્રીન દ્વારા સંપાદીત સુંદર સુવાકયોનું પુસ્તક ‘ધ પેન ડીક્શનરી ઓફ કૉન્ટેમ્પરરી કવોટેશન્સ’ છે. એમાં મહાત્મા ગાંધી, નેહરુ અને ઈંદીરા ગાંધીનાં અવતરણો પણ છે. મારા ગામ રાંદેરના દોડવીર ઝીણાભાઈ નાવીકનું એક વીધાન આવા આંતરરાષ્ટ્રીય સ્તરના પુસ્તકમાં વાંચવા મળ્યું. અમારા ઝીણાકાકાનું વીધાન આ પ્રમાણે છે:

‘તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ;
તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.’

-ગુણવંત શાહ

માણસની જરૂરિયાતો: આહાર, આવાસ, આવરણ અને આનંદ વત્તા આદમી

માણસની જરૂરિયાતો: આહાર, આવાસ, આવરણ અને આનંદ વત્તા આદમી

ઈ એમ. વૉકરની કાવ્યપંક્તિઓમાં માણસની જરૂરિયાતો આ પ્રમાણે રજૂ થઈ છે.

Human needs:
some food, some sun,
some work, some fun,
and someone!

આ પંક્તિઓ ગમી ગઈ એનું કારણ એમાં રહેલી પ્રાસગૂંથણી નથી. બહુ ઓછા શબ્દોમાં રજૂ થયેલું આપણી જરૂરિયાતોનું આવું સુંદર બયાન જડવું મુશ્કેલ છે, આપણને ઘણાં વર્ષોથી ‘મૂળભૂત’ જરૂરિયાતોની વાત કરતી વખતે ત્રણ બાબતોની જ યાદ આપવામાં આવી રહી છે, આહાર, આવાસ અને આવરણ. આ ત્રણમાં આનંદનો ઉમેરો બહુ ઓછા લોકોએ કર્યો હશે.

કવિ ખોરાક સાથે તડકો જોડી આપે છે, તે કેટલું વાજબી છે! તડકો મળે એટલે ખુલ્લી હવા ખુલ્લું આકાશ આપોઆપ મળે ને! તડકામાં વિટામિન ‘ડી’ મળે એ તો ઠીક પણ તે સાથે બીજું ઘણું બધું મળે છે. એક રીતે જોઈએ તો તડકો પણ ‘આહાર’ જ છે પણ છતાં એમાં આહાર વત્તા ‘કંઇક’ છે, જે ઘણું અગત્યનું છે. આટલું તો યાદ રાખવું પડે કે તડકો મળે અને રોટલો નહીં મળે તો વળી વાત જામતી નથી. ભારતમાં એવા ઘણા ગરીબ લોકો છે, જેઓને તડકો જોઈએ તેટલો મળે છે પણ રોટલો મળતો નથી. વળી તડકો પણ કેવો?

વૈશાખી બપોરનો આકરો તડકો? હેમંતની સવારનો હૂંફાળો તડકો? કવિના મનમાં અહીં મનગમતા તડકાની વાત છે, જખ મારીને માણસને શેકાવું પડે એવા આકરા તડકાની આ વાત નથી. નાછૂટકે ક્યારેક માણસ આવો તડકો વેઠી લે એ ઠીક છે પણ એવા કષ્ટમય તડકાની તારીફ કરવાની કોઈ જરૂર નથી. ‘વૈશાખનો ધોમ ધખ્યે જતો’ હોય ત્યારે પેલો સરાણિયો સાદ પાડે એ વાસ્તવિકતા ખરી પણ સમાજે આવી વાસ્તવિકતાઓને સંઘરી રાખવાની જરૂર નથી. મજબૂરી ક્યારેક વાસ્તવિકતા બને છે, એ ખરું પણ તમન્ના તો એ વાસ્તવિકતાને હડસેલો મારીને હટાવી દેવાની જ હોવી જોઈએ.

માણસને કામ કરવાનું જોઈએ જ અને કંઈ જ કામ ન હોય તો છેવટે એ શિકાર કરવા જશે. મનગમતું કામ મળી જાય એવું તો નસીબ હોય તો જ બને. કવિ અહીં ખૂબ સિફતથી આનંદની જરૂરિયાત ઉમેરી દે છે. સમાજશાસ્ત્રીઓ મનોરંજનને ઘણું મહત્ત્વ આપે છે. કહે છે કે અમેરિકામાં જો ફૂટબૉલની રમત ન હોય તો ખૂનના બનાવોનું પ્રમાણ વધી જાય. આપણે ત્યાં ચલચિત્રો ન હોય તો ગુનાખોરી જરૂર વધી જાય. ગુનાખોરી ઘટાડવાનો ખરો ઉપાય પોલીસદળ મોટું કરવું એ નથી. એ માટેનો ખરો રસ્તો તંદુરસ્ત મનોરંજનનાં કેન્દ્રો ઊભાં કરવામાં રહેલો છે. એક થિયેટર કેટલા ગુનાઓ અટકાવી શકે તે જાણવા સંશોધન કરવાનું ય થોડુંક મુશ્કેલ છે. ઠેર ઠેર મનોરંજનની પરબો ખૂલવી જોઈએ. ચલચિત્રો સિવાયના પણ બીજા અનેક પ્રકારો વિકસાવી શકાય તેમ છે. આરોગ્યમય સમાજના વિકાસ માટે દાક્તરી સુવિધાઓ સાથે આનંદનાં ઉપસ્થાનો પણ ઊભાં થવાં જોઈએ.

કાવ્યની છેલ્લી પંક્તિ ભારે અર્થપૂર્ણ છે. આદમીને બધું મળી રહે પછી ય કંઈક ખૂટતું લાગે છે. ખોરાક એ વાસ્તવિક જરૂરિયાત છે. કામ એ વાસ્તવિક જરૂરિયાત છે. તડકો અને મનોરંજન ઉમેરાય ત્યારે આ વાસ્તવિક જરૂરિયાત વધારે સુંદર રીતે સંતોષાય છે. પછી બાકી શું રહે? પછી ‘કોઈક’ની હાજરી ખૂટે છે. પોતાનો પ્રેમ જેના પર ઢોળી શકાય એવું પાત્ર આદમી શોધે છે. આ પાત્ર પ્રિયતમા કે પત્ની જ હોય એવું અનિવાર્ય નથી. જ્યાં મનને વિસામો મળે એવું એક સ્થાનક આદમીને જોઈએ, એવું સ્થાનક જ્યાં પોતે બધી રીતે અનાવૃત્ત થઈ શકે, ચોધાર અાંસુએ રડી શકે, મન ફાવે તો બાળકની જેમ નાચી શકે અને મન મૂકીને લઢી શકે! આવું ‘કોઈક’ એટલે બીજો ‘આદમી’.

આ બીજો આદમી કોણ? એ પ્રિયતમ પણ હોઈ શકે કે પછી પ્રિયતમા પણ હોઈ શકે. મહાત્મા ગાંધીએ પરસ્ત્રીને બહેન કે માતા તરીકે જોવાની સલાહ આપી હતી. આ વાત મને વાજબી લાગતી નથી. બીજી વિજાતીય વ્યક્તિ એટલે ભાઇબહેન, માતા કે પુત્ર. શું આવી કોઈ વ્યક્તિ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ન હોઇ શકે? અંગ્રેજીમાં એને માટે આત્મપ્રિયા (Soulmate) શબ્દ પ્રયોજાયો છે. રિચાર્ડ બેકની નવલકથા ‘A bridge Across Forever’માં નવલકથાનો નાયક આત્મપ્રિયાની ખોજમાં લાંબી રખડપટ્ટી શરૂ કરે છે. છેક છેવટે એ એરિઝોનના રણમાં પહોંચે છે અને આત્મપ્રિયાને પામે છે. શું આ અાધ્યાત્મિક ઘટના નથી? મહાત્મા ગાંધીએ આવા મધુર સંબંધને પવિત્ર ગણીને બિરદાવવાની ઉદારતા બતાવી નથી. એનું કારણ મને સમજાતું નથી. આ બાબતમાં કૃષ્ણ મને વધારે સ્વીકાર્ય જણાય છે. જીવનમાં ગોકુળનું માધુર્ય, સૌંદર્ય અને સાહચર્ય પ્રગટે એનું આધ્યાત્મિક મહત્ત્વ ઓછું નથી.

જેના જીવનમાં અતિપ્રિય એવું Someone, એવી વ્યક્તિ ગેરહાજર છે એવી વ્યક્તિના દર્દની ખબર તો કેવળ નિ:શ્વાસને જ હોય છે. તો પછી આપણી મૂળભૂત જરૂરિયાતો એટલે આહાર, આવાસ, આવરણ અને આનંદ વત્તા કોઇક ખાસ વ્યક્તિ. આપણો સમાજ એટલે કજોડાંનું કારખાનું (કાળખાનું). એ સમાજમાં વફાદારીની બોલબાલા એટલી તો બોલકણી હોય છે કે કોઈ ખાસ વિજાતીય વ્યક્તિ સાથેનો સંબંધ આડો સંબંધ કહેવામાં આવે છે. આવો આડો સંબંધ પવિત્ર નથી ગણાતો, નિંદનીય ગણાય છે. જો આ વાતમાં દમ હોય તો સમાજે કૃષ્ણને, દશરથને, કંુતીને, રાધાને, ઇન્દ્રને, અહલ્યાને, તારાને, રવીન્દ્રનાથ ટાગોરને, જે. કૃષ્ણમૂર્તિને, પંડિત નહેરુને, સુભાષબાબુને, ઠક્કરબાપાને, ક.મા. મુનશીને, ઇન્દિરા ગાંધીને, અમૃતા પ્રીતમને, સાહિર લુધિયાનવીને અને અટલ બિહારી વાજપેયીને અને એવાં અસંખ્ય નર-નારીઓને નિંદનીય ગણવા પડશે. શ્રી અટલબિહારી વાજપેયી કહ્યું હતું: ‘मैं अपरिणीत हूं लेकिन ब्रह्मचारी नहीं हूं!’ આવા નિખાલસ એકરારને પવિત્ર ગણવાની તાકાત આ રુગ્ણ સમાજમાં ક્યારે કેળવાશે?

કૃષ્ણે ગીતામાં આસુરી સંપત્તિની યાદીમાં દંભને પ્રથમ સ્થાને મૂક્યો છે. મારું સ્પષ્ટ માનવું છે કે આપણો સમાજ ખેતીપ્રધાન કે ઉદ્યોગપ્રધાન નથી, પરંતુ દંભપ્રધાન છે. સર્વોદયના ક્ષેત્રમાં કામ કરનારા કેટલાયે સંનિષ્ઠ સેવકોના ગાઢ પરિચયમાં આવ્યા પછી મારે એમ કહેવાની ગુસ્તાખી કરવી છે કે લગભગ 90 ટકા સેવકો મધુર વિજાતીય સંબંધ ધરાવનારા હતા. એમનાં નામ હું પ્રગટ ન કરી શકું, પરંતુ એમના ખાનગી પ્રેમ સંબંધોની વિગત કોઈપણ સમજુ અને પરિપકવ માણસને જણાવી શકું. આવું એક નામ તે આદરણીય મોરારિબાપુ. સદ્્ગત કનૈયાલાલ મુનશીએ પોતાના નાટક ‘બ્રહ્મચર્યાશ્રમ’માં ઉપહાસના સ્વરૂપે રજૂ કર્યું છે. આવા સંબંધોની નિંદામાં રાચનારો સમાજ એક વિરાટ મેન્ટલ હોસ્પિટલ બની રહે છે. જેમાં કામવાસનાથી પીડાતો માણસ અન્યની કામવાસનાની નિંદા કરતો રહે છે. આ એક એવો રોગ છે, જેને રોગનું સ્ટેટસ પ્રાપ્ત થતું નથી.

પાઘડીનો વળ છેડે 

પૈસો
– આહારની ખાતરી આપે
ભૂખની નહીં,
– સંબંધોની ખાતરી આપે
પ્રેમની નહીં,
– મકાનની ખાતરી આપે
ઘરની નહીં,
– બેડરૂમની ખાતરી આપે
ઊંઘની નહીં,
– વૈભવની ખાતરી આપે
આનંદની નહીં,
– દવાની ખાતરી આપે
આરોગ્યની નહીં,
– ખાતરી જરૂર આપે
સમાધાન નહીં!

સૌજન્ય: રસરંગ પૂર્તિ, દિવ્ય ભાસ્કર, તા.૨૬/૧૧/૨૦૧૭.
લેખક: ગુણવંત શાહ, “વિચારોના વૃંદાવનમાં” કોલમ