… કે નહીં?

… કે નહીં?

સિદ્ધિ તને મળી ગઈ,ઈશ્વર મળ્યો કે નહિ?
‘તું કોણ છે?’ આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહિ?

એકાદ મોતી તળથી તું લાવ્યો હશે કદી-
પણ પ્રશ્ન એ જ છે કે સમંદર મળ્યો કે નહિ?

જે કંઈ તને મળ્યું છે, તે અંતિમ ન હોય તો-
અંતિમ જે છે તે પામવા અવસર મળ્યો કે નહિ?

બાહર ભલે તું રોજ મળે લાખ લોકને-
એકાદવાર ખુદને તું ભીતર મળ્યો કે નહિ?

-પ્રમોદ આહિર

આ મોહબ્બતની રાહ લાગે છે

આ મોહબ્બતની રાહ લાગે છે

આ મોહબ્બતની રાહ લાગે છે,
ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

પ્રેમપંથે શિખામણો છે ગલત,

એજ સાચી સલાહ લાગે છે.

એમ લાગે છે સૌ જુએછે તને,
સૌમાં મારી નિગાહ લાગે છે.

આંખ તારી ઉપર ઠરી ના શકી,
દિલમાં ભરપૂર ચાહ લાગે છે.

તેથી અપનાવી મેં ફકીરીને,
તું ફકત બાદશાહ લાગે છે.

આશરો સાચો છે બીજો શાયદ,
સૌ અધૂરી પનાહ લાગે છે.

કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’?
કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.

– મરીઝ

સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ

સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ

પ્રસિદ્ધ ગુજરાતી દૈનિક “ગુજરાત સમાચાર”માં સોશિયલ મીડિયાની સીડ ઈફેક્ટસ વિષે અલગ અલગ ત્રણ ભાગમાં લેખ પ્રસિદ્ધ થયેલ હતા. આજની પેઢીને આ લેખમાંથી ઘણું બધું શીખવાની અને સમજવાની જરૂર છે. આ લેખો ગુજરાત સમાચારની વેબસાઈટ ઉપર પોસ્ટ કરેલ ન હતા તેથી “કોપી-પેસ્ટ” થયેલ નથી. પરંતુ, ઈમેજ સ્વરૂપે અહી પોસ્ટ કરું છું.

સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ. ભાગ-૧
સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ. ભાગ-૨
સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ. ભાગ-૩
ગામની વિદાય

ગામની વિદાય

હે જી મારા નાનપણાના ગામ!
મારા બાળપણાના ધામ!
તને કરું રે પરણામ, તને કરું રે પરણામ.
તારી આ માટી, તારું પાણી, હે ગામ મારા!
તારી આ ઝાડવાની છાયા,
એની લાગી છે મને માયા;
છોડવા નો’તા એને છોડવા આજે,
જાણે હૈયાના ખેંચાયે છે ગામ. મારા…
ના રે કળાયા કદી, નેહના વેલા એવા
ભોંય આ તારી પથરાયા,
જવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
ડગલે ને પગલે એ અટવાયા;
ક્યારે બાંધી લીધો તો મને આમ? મારા…
તારા ડુંગર ને તારા વોકળા, હે ગામ મારા!
તારાં આંસુ ને તારાં હાસ;
હૈયાને મારા એણે બાંધી લીધું છે જાણે,
કોઈ અદીઠ એવી રાશ;
ખેંચી ઊભા છે આજ એ તમામ! મારા. . .
– પ્રહલાદ પારેખ

કર્મભૂમિ જ્યાં હોય ત્યાં જન્મભૂમિ યાદ આવ્યા વિના રહેતી નથી. ગામડું શહેર થવા માંડ્યું છે અને શહેર રોજ બદલાય છે. આજને આવતી કાલનાં કપડાં પહેરવાનો શોખ છે. દરેક માણસમાં પોતાનું વતન જીવે છે. એ સ્થળ જેની માટી, જેનું પાણી, જેના ઝાડ નીચેની શીળી છાયાનું સ્મરણ આજે પણ સુખદ અનુભવ કરાવે છે. પ્રહલાદ પારેખની આ કવિતા ગામની વિદાયની કવિતા છે. કવિએ ‘નાનપણાના ગામ’ પછી ‘બાળપણાના ધામ’ લખ્યું છે. વતન સાચા અર્થમાં બાળપણનું ‘તીર્થધામ’ છે.

ગામની સાથે વણાયેલી બધી જ વાતો સ્મરણમાં છે. વળી, ગામ એવું છે જે છૂટવાનું નથી. આજે પણ ઘણા લોકો વેકેશનમાં પોતાને ગામ જઈ આવે છે. વેકેશનમાં ગામ જવું એમનો શિરસ્તો છે. ગામડેથી પાછા આવીને કામે વળગવાનો અનુભવ જુદો જ રહેવાનો.

જ્યાં બાળપણ વીત્યું છે એ જગ્યાનું વળગણ આખી જિંદગી રહેતું હોય છે. કહો કે, મૃત્યુ સુધી એ જગ્યાઓ આપણને બોલાવતી હોય એવો ભાસ રુવાંડે-રુવાંડે પ્રગટે છે. ‘વતન’ આપણને ક્યારેય વિદાય નથી કરતું, આપણે વતનથી વિદાય થઈએ છીએ! બાળપણમાં છોડેલું ગામ આજે કદાચ બદલાઈ ગયું
હોય, પરંતુ આપણી સ્મૃતિમાં તો એવું ને એવું અકબંધ છે.

વેકેશનના દિવસો ચાલે છે. નવી જનરેશનને ગામનો અનુભવ કરાવવા જેવો છે. લૂથી માંદું પડેલું બાળક રોગપ્રતિકારક શક્તિથી ટેવાઈ જતું હોય છે. ગામ, વતન એ આંસુ અને સ્મિત જેમ એકબીજામાં વણાઈ ગયા છે. સંબંધ શરીર સાથે જ હોય, એવી જ રીતે સ્થળ સાથે પણ હોય છે.

જીવનના હકારની આ કવિતા હૃદયમાં ગામડાને ઉપસાવે છે અને ધબકારા સમયની બહાર જઈને સ્થળનો સાક્ષાત્કાર અનુભવે છે.

જીવનના હકારની કવિતા, અંકિત ત્રિવેદી,
રસરંગ પૂર્તિ, દિવ્ય ભાસ્કર, તા.૨૧/૦૪/૨૦૧૯

મુસ્લિમ સંત હાજીપીરે ગાયોના રક્ષણાર્થે કુરબાની આપી હતી

મુસ્લિમ સંત હાજીપીરે ગાયોના રક્ષણાર્થે કુરબાની આપી હતી

– હાજીપીરનું મૂળ નામ અલી અકબર હતુ દિલ્હીના બાદશાહના લશ્કરમાં ઊંચો હોદે ધરાવતા હતા.

– બહારવટીયાઓના હાથમાંથી ગાયોનુ ધણ છોડાવવા હાજીપીર ઔબાબાએ શીરવા ગામ પાસે યુદ્ધ કરીને ગાયોના ધણને બચાવ્યું હતું.

કચ્છના મશહુર ઓલીયા હાજીપીરે ગાયોના રક્ષણાર્થે શહીદી વ્હોરેલી હતી. હાજીપીરનું મૂળ નામ અલી અકબર હતુ. દિલ્હીના બાદશાહના લશ્કરમાં ઊંચો હોદ્દો ધરાવતા હતા. હજ કરી આવ્યા બાદ મુલતાન રહેલા અને ત્યાં ફકીરીનો રંગ લાગ્યો. પ્રથમ તેઓ ફકીરી લિબાશમાં હઝરત ઈમામ હુશેનની દરગાહ ઉપર ગયેલા અને કરબલાની પવિત્ર ભુમિ કે જેના ઉપર હઝરત ઈમામ હુશેન અને તેના ૭૨ સાથીદારોએ શહાદત વહોરેલી તે પવિત્ર જમીન ઉપર પગે ચાલીને નહિં પણ છાતી વડે ઘસડાઈને હઝરત ઈમામ હુશેનની શહાદતને આગવી રીતે અંજલિ આપેલ હતી. ત્યારબાદ તેઓ પંજાબ થઈને સિંધ આવ્યા અને સિંધમાંથી કચ્છમાં રણની કાંધીએ લુણા ગામની પાસે આવીને વસવાટ કરેલો. માનવ સેવા કરતા અને અલ્લાહની ઈબાદત કરતા. બાજુના ગામમાં બહારવટીયાઓએ ધાડ પાડીને ગાયનું ધણ લઈ ગયા. આ ધણમાં એક હિન્દુ વિધવાની ગાય હતી. તે રોતી રોતી બાબા પાસે આવી. ઘડીનો વિલંબ કર્યા વિના હાજીપીર બાબાએ હાથમાં તલવાર પકડી ઘોડા ઉપર બેસીને બહારવટીયાઓનો પીછો પકડયો અને હાલે જયાં શીરવા ગામ આવેલ છે ત્યાં બહારવટીયા સામે એકલે હાથે યુદ્ધ કરેલુ.

વાયકા એવી છે કે તે લડાઈમાં હાજીપીર બાબાનું શિર પડેલુ પણ ધડ પડેલુ નહિં. આથી બહારવટીયાઓ ગાયોનું ધણ મુકીને નાસી છુટેલા. હાજીપીર બાબા સાહેબનું ધડ ગાયના ધણને પાછુ ગામમાં લાવેલ અને તે બાદ લુણા ગામ પાસે તે ધડ પડતા ત્યાં તેઓને દફનાવવામાં આવ્યા હતા. હાજીપીર બાબાની આ મુસ્લિમ સંતની, ગાયોના રક્ષણાર્થે આપેલી ભવ્ય કુરબાની હતી. હાજીપીરની દરગાહ ઉપર સેંકડો હિંદુ-મુસ્લિમ યાત્રાળુઓ આવે છે. હાજીપીરની દરગાહ એ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છે.
નિરાધારની તેમજ ગૌધનની રક્ષા કાજે અનિષ્ઠ તત્વો સાથે બાથભીડી શહિદ થતા અલી અકબરશાહ ઝકરીયા હાજીપીરના નામે ખ્યાતી પામ્યા. ત્રણ દિવસ યોજાતા મેળામાં છેલ્લા દિવસે ભારે દબદબા સાથે સંદલની વિધી કરાય છે. ભવ્ય ઝુલુશ કાઢવામાં આવે છે. કચ્છ સુરા અને સંતોની ભુમિ તો છે જ સાથે ઓલિયાની ભુમિ પણ છે. અને એટલે જ સમગ્ર કચ્છની તમામ કોમો એકતા અને એખલાશથી મેળા અને ઉર્ષ ઉજવે છે. કચ્છના બન્નીના રણમાં પશ્વિમ પણે લુણી ગામની બાજુમાં હાજીપીર વલીની દરગાહ આવેલી છે. દર વર્ષે ચૈત્ર સુદ-૨-૩ના હાજીપીર વલીનો ઉર્ષ મનાવવામાં આવે છે. આજકાલ બે થી ત્રણ લાખની આસપાસ લોકો દેશભરમાંથી અહીં આવે છે. પગપાળા ચાલતા આવતા સવાલીઓ માટે કચ્છભરમાં ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન દાતાઓ તરફાથી કરવામાં આવે છે.

ગુજરાત સમાચાર, તા.૦૬/૦૪/૨૦૧૯

અનાથ બન્યો આધાર

અનાથ બન્યો આધાર

નાગાલૅન્ડમાં આઇ.એ.એસ. અધિકારી મોહમ્મદ અલી શિહાબ દૂર-દૂરના અને દુર્ગમ જિલ્લાઓમાં મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેટલો જ જીવનસંઘર્ષ એમણે આઇ.એ.એસ. બનવા માટે પણ કર્યો છે. કેરલના મલ્લાપુરમ જિલ્લાના એડવન્નાપરા નામના સાવ નાનકડા ગામમાં એમનો જન્મ થયો હતો.

નિશાળના અભ્યાસ સમયે મોહમ્મદ કોઈને કોઈ બહાનું શોધીને નિશાળેથી ભાગી જતો એના મનમાં બસ એક જ સ્વપ્ન રમતું હતું – પોતાની દુકાન ખોલવાનું ! જો કે સ્કૂલેથી ભાગી જવાનું એક કારણ અસ્થમાપીડિત પિતાને મદદ કરવાનું પણ હતું. તેમને મદદ કરવા માટે તે પાનની દુકાને અથવા બીજે વાંસની ટોપલી વેચવા જતો, પરંતુ એની અગિયાર વર્ષની ઉંમરે પિતા કોરોન અલીનું અવસાન થયું. માતા ફાતિમા પાંચ બાળકોનું ગુજરાન ચલાવી શકે તેમ નહોતી. તેથી એક પુત્ર અને બે પુત્રીઓને કોઝીકોડના અનાથાશ્રમમાં મોકલવા પડયા.

અનાથાશ્રમમાં રહેવાથી મોહમ્મદ શિહાબના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું. એનું જીવન શિસ્તબદ્ધ બન્યું. રાત્રે આઠ વાગે જમીને સૂઈ જવાનું. અડધી રાત્રે ઊઠીને ચાદરની નીચે ટોર્ચના પ્રકાશમાં વાંચતા, જેથી સાથે રહેતા મિત્રોની ઊંઘ ન બગડે . આ રીતે સ્કૂલનો અભ્યાસ પૂરો કરી પોતાના ગામ આવ્યા. તેઓ કોલેજમાં અભ્યાસ કરવા માંગતા હતા. પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે તેમણે પીટીસી કર્યું અને પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મેળવી.

આ સમય દરમિયાન એમણે રાજ્ય કક્ષાની સેવા આયોગની પરીક્ષા પસાર કરી. ત્યારબાદ ક્લાર્કની નોકરી કરતા કરતા કાલિકટ યુનિવર્સિટીમાં ઇતિહાસના વિષયમાં બી.એ. કર્યું. સિવિલ સર્વિસની પરીક્ષા વિશે એમને કંઈ ખબર નહોતી. જ્યારે નોકરીના ઇન્ટરવ્યૂમાં એમને સિવિલ સર્વિસની પરીક્ષા વિશે વારંવાર પૂછવામાં આવ્યું, ત્યારે એમણે એ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. અનાથાશ્રમમાંથી આર્થિક મદદ મળી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી.

આ બધું કરવામાં તેમની ઉંમર થઈ ગઈ હતી, લગ્ન થયા હતા અને નવ મહિનાનું બાળક પણ હતું. ઉંમર થઈ જશે તો તક હાથમાંથી સરી જશે એમ માનીને એમણે ખૂબ મહેનત કરી, પોતાની માતૃભાષા મલયાલમમાં મુખ્ય પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂ દુભાષિયાની મદદથી આપ્યો. છેવટે ૨૦૧૧માં તેમણે યુપીએસસી પરીક્ષા પાસ કરી અને દિલ્હી ગયા.

ત્યાં લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં તાલીમ આપવામાં આવી, નોકરીના દરેક પાસાંની સમજ આપવામાં આવી તથા ત્યાંની ભાષા શીખવવામાં આવી, કારણ કે એમને નાગાલૅન્ડના દીમાપુર જિલ્લાના આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે કામ કરવાનું હતું.

આજે તેઓ મલયાલમ જેટલી જ સરળતાથી નાગમીઝ ભાષા બોલી શકે છે. મ્યાંમારને અડીને મોન જિલ્લામાં પણ કામ કર્યું. ૨૦૧૭માં તેમની બદલી કૈફાઈર જિલ્લામાં થઈ પ્રધાનમંત્રી અને નીતિ આયોગે ૧૧૭ મહત્ત્વકાંક્ષી જિલ્લાની યાદી બહાર પાડી છે તેમાં નાગાલૅન્ડનો આ એક માત્ર જિલ્લો સામેલ છે.

કૈફાઈર એ ભારતનો સૌથી દૂર અને દુર્ગમ જિલ્લો છે. દીમાપુરથી પહાડી વિસ્તારોમાં થઈને પહોંચતા બારથી પંદર કલાક લાગે છે. અહીં ઘણા આદિવાસીઓ વસે છે. મ્યાંમારની સરહદ સાથે જોડાયેલા આ જિલ્લામાં ઘણાં પ્રશ્નો છે, પરંતુ સૌથી મોટી સમસ્યા સામાજિક અને આર્થિક પછાતપણાની છે, તેથી મોહમ્મદ શિહાબ સૌપ્રથમ શિક્ષણ, કૃષિ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેકિંગ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી રહ્યા છે.

અહીં મુખ્યત્વે રાજમા અને મકાઈની ખેતી થાય છે, જેના માટે બહાર મોટું બજાર છે, પરંતુ કૈફાઈરથી દીમાપુર મોકલવાનો ખર્ચ ઘણો આવે છે. શિહાબ કહે છે કે આ બધું કરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ કરીશું ચોક્કસ. તેઓ શાંતિપૂર્વક બે ચૂંટણીઓ કરાવવામાં સફળ રહ્યા છે. તેઓ આદિવાસી સાથે સંબંધ સુધારવા માટે તેમના નેતાઓને મળે છે અને વારંવાર ચર્ચમાં પણ જાય છે.

તેઓ કહે છે, ‘હું અનાથ હતો અને મારો જિલ્લો પણ અનાથાલય જેવો છે. પિતાના મૃત્યુ પછી હું કુટુંબથી અલગ પડી ગયો અને મારો જિલ્લો પણ બાકીની દુનિયાથી એકદમ અલગ છે, પરંતુ ટાંચા- સંશાધનો અને મર્યાદિત તકો વચ્ચે અહીંના લોકોએ મને શીખવ્યું કે દરેક અવસરને ઉત્સવ જેવો માનવો અને એમ પણ નાગાલૅન્ડને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે.’

મોહમ્મદ શિહાબ કૈફાઇર જિલ્લાનો વિકાસ કરવા દ્રઢ મનોબળથી કામ કરે છે. એમણે મલયાલમ ભાષામાં ‘વિરલાટ્ટમ’ (આંગળીઓ) નામની આત્મકથા લખી છે. તેઓ આજના યુવાનોને કહે છે કે, ભારત બહુ મોટો દેશ છે તેમાં તકની કોઈ કમી નથી. સખત મહેનત અને દ્રઢતા સાથે આગળ વધશો તો ચોક્કસ સફળ થશો.

રાજકીય પક્ષ કે નેતાની વ્યક્તિગત ભક્તિ રાષ્ટ્રદ્રોહ છે: રૂઝવેલ્ટ

રાજકીય પક્ષ કે નેતાની વ્યક્તિગત ભક્તિ રાષ્ટ્રદ્રોહ છે: રૂઝવેલ્ટ

રાજકીય પક્ષ કે કોઈ નેતાનું ઝનૂન નાગરિકોના માથા ઉપર ભમવા લાગે તે રાષ્ટ્ર માટે ખતરનાક


થિયોડોર રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલાં તેમણે વિવિધ રાજકીય જવાબદારી નિભાવી હતી. રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો અને પ્રથમ વખત ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય બન્યા તે વખતે ૧૮૮૩માં તેમને આ ભાષણ આપ્યું હતું. એ સમયે તેમની વય હતી માત્ર ૨૫ વર્ષ.

એ ઉંમરે તેમણે નાગરિકની ફરજો બાબતે ઊંડું ચિંતન રજૂ કર્યું હતું. ભાષણમાં તેમણે અમેરિકન નાગરિકોને નાગરિક-રાજકીય ફરજો પરત્વે જાગૃત થવાની હાકલ કરી હતી. એ ભાષણ પછી તો ઓલટાઈમ ગ્રેટ વક્તવ્યોમાં સ્થાન પામ્યું હતું. તેમણે કહેલી વાત એટલી અસરકારક હતી કે લોકશાહીમાં દરેક દેશના નાગરિકને એ એક સરખી રીતે લાગું પાડી શકાય તેમ હતી.

પ્રથમ વખત એસેમ્બલીમાં સભ્ય બન્યા ત્યારે જ તેમણે આવા વિચારો રજૂ કરીને તેમની લાંબી અને ઉજ્જવળ રાજકીય કારકિર્દીનો સંકેત આપી દીધો હતો. તે પછી તો રૂઝવેલ્ટ ન્યૂયોર્કના ગવર્નર બન્યા, અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટના પદ સુધી પહોંચ્યા અને ૧૯૦૧થી ૧૯૦૯ દરમિયાન બે ટર્મ સુધી અમેરિકાના પ્રમુખ પણ બન્યા.

નાગરિકોની ફરજો બાબતે થિયોડોર રૂઝવેલ્ટે 1883માં આપેલા ભાષણનો સારાંશ

જવાબદાર નાગરિક બનવા માટે સૌપ્રથમ તો માણસ તરીકેના સદગુણો હોવા જોઈએ. જવાબદાર પિતા, જવાબદાર પતિ કે જવાબદાર પુત્ર બન્યા વગર જવાબદાર નાગરિક બની શકાય નહીં. જે માણસ સ્ત્રી અને પુરુષ પ્રત્યે પ્રામાણિક-જવાબદારીભર્યું વર્તન કરતો નથી તે સારો નાગરિક ન બની શકે. મિત્રો તરફ વફાદાર ન રહે, દુશ્મનો કે ટીકાકારો તરફ નિડર ન રહે તે સારો નાગરિક ન બની શકે. જેની પાસે ભલું હૃદય નથી, જેની પાસે વિચારશીલ દિમાગ નથી, જેની પાસે સ્વચ્છ-નિરોગી શરીર નથી તે સારો નાગરિક બનવા સક્ષમ નથી.

જે માણસમાં આ બધા ગુણોનો અભાવ હશે અને ઘરેલું જીવન અસ્તવ્યસ્ત હશે તે ક્યારેય રાષ્ટ્રધર્મ નિભાવી શકશે નહીં. આવા નાગરિકો દુનિયામાં દેશને વૈચારિક રીતે એકલું પાડવાનું કામ કરશે. લોકશાહીમાં આદર્શ નાગરિક એ છે કે જે દેશના રાષ્ટ્રધ્વજ માટે હથિયાર સુદ્ધાં ઉઠાવી શકે અને એ જ જુસ્સાથી પોતાના સંતાનોના પાલન માટે આકરી મહેનત પણ કરી શકે.

દેશના નાગરિકોમાં લડવૈયાઓ અને શાણા માણસોનો સમન્વય હોવો જોઈએ. એક આદર્શ નાગરિકમાં એક લડવૈયો જીવતો હોવો જોઈએ અને એ જ રીતે એના હૃદયમાં એક પાલક-રક્ષક પણ જીવંત રહેવો જોઈએ.

જો એવું નહીં થાય તો દેશનું ડહાપણ નિરર્થક જશે, સદગુણો બિનઅસરકારક રહેશે. જો નાગરિકોમાં આવા ગુણો નહીં હોય તો એ માધુર્ય વગરની મીઠાઈ, સમજદારી વગરના પ્રેમ, સૌંદર્ય વગરની કળા જેવું થશે. દેશ હશે પણ દેશનો આત્મા એમાં નહીં હોય. મહાન રાષ્ટ્રનું નિર્માણ નાગરિકોના સદગુણો અને પરાક્રમ વગર શક્ય નથી.

દેશનો એકેએક નાગરિક તેમની નાગરિક ફરજોમાં સ્પષ્ટ હોવો જોઈએ, જવાબદાર હોવો જોઈએ, તેના ભાગે આવેલી તમામ ફરજ નિભાવતો હોવો જોઈએ. દેશની જરૂરિયાત પ્રમાણે રાજકીય સમજ વિસ્તારીને તે પ્રમાણે સાચા-ખોટાનો નિર્ણય કરી શકતો હોવો જોઈએ. તે માટે પૂરતો સમય આપીને નાગરિક ફરજ નિભાવતો હોવો જોઈએ.

બિઝનેસ, નોકરી, આનંદ પ્રમોદના બહાને નાગરિક તેમની રાજકીય ફરજોને નજર અંદાજ કરી શકે નહીં. લોકતંત્રમાં દરેકે દરેક વ્યક્તિને રાજકીય સમજ હોવી જરૂરી છે. લોકશાહી નાગરિકની રાજકીય સમજદારીના પાયા ઉપર નભેલી છે, એટલે જો નાગરિકો પોતાની આસપાસની રાજકીય સ્થિતિથી બેપરવા રહેશે તો લોકશાહી ઉપર ગંભીર ખતરો આવી પડશે.

સરેરાશ નાગરિકો જો બહાનાબાજી કરીને નાગરિક ફરજો, રાજકીય ફરજો ભૂલી જશે તો એ આપણી આઝાદી માટે લડનારા લડવૈયાઓનું અપમાન છે. આપણે સ્વતંત્રતા મળે એ માટે પોતાના જીવનું જોખમ વેેઠનારા મહાન વ્યક્તિત્વોનું અપમાન કરનારા આવા નાગરિકોને ક્યારેય રાષ્ટ્રએ માફ ન કરવા જોઈએ. આવી નાગરિક ફરજોમાંથી પલાયન થનારાને ક્યારેક માફ પણ કરી શકાય, પરંતુ એવું વારંવાર કરનાર ક્યારેય ક્ષમાપાત્ર બનવો જોઈએ નહીં.

દેશમાં શાંતિનો સમય ચાલતો હોય ત્યારે યુવાનો આનંદ પ્રમોદ કરવા હકદાર છે, પણ એ શાંતિનો સમય તો જ આવશે કે જો એ જ યુવાનો તેમની નાગરિક ફરજોનું પાલન કરશે. નાગરિક અધિકાર માનીને શ્રેષ્ઠ ઉમેદવારને મત આપવો એ પણ રાષ્ટ્રધર્મ છે.

દેશમાં શાંતિ, સલામતિ, સુરક્ષા, પ્રેમ, ભાઈચારો લાવવા કટિબદ્ધ હોય એવા ઉમેદવારને મત આપીને દરેક નાગરિકે તેમનો રાષ્ટ્રધર્મ બજાવવો જોઈએ. મહેનત વગર કંઈ પણ હાંસલ થતું નથી એ દરેક નાગરિકે સમજવું પડશે. પ્રયત્નો વગર કષ્ટ વગર આઝાદી લાંબો વખત ટકતી નથી. સંઘર્ષ કર્યા પછી જે આઝાદી મળી છે તેને આકરી મહેનતથી ટકાવી રાખવી પડે છે.

કોઈ સફળ બેંકર, સફળ વકીલ, સફળ એન્જિનિયર, સફળ ડોક્ટર કે પછી કોઈ પણ સફળ માણસ એમ કહે કે તેની પાસે રાજકારણ માટે સમય નથી, એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે આઝાદ દેશમાં રહેવા અયોગ્ય છો. આવા નિષ્ક્રિય લોકોને અસફળ-ભ્રષ્ટ રાજકારણીઓ વિશે કશું ય કહેવાનો અધિકાર નથી. આવા લોકો નિષ્ક્રિય રહે છે એટલે જ અયોગ્ય ઉમેદવારો ચૂંટાઈ જાય છે અને યોગ્ય ઉમેદવારોને હાર ખમવી પડે છે.

તો, રાજકીય જાગૃત્તિ કેળવવી તે નાગરિકોની પ્રથમ ફરજ છે. વ્યવહારુ કામ કરીને દેશને ઉપયોગી થવું તે નાગરિકની બીજી ફરજ છે અને તેની ત્રીજી ફરજ એ છે કે તે ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતોને અનુરૂપ વર્તન કરે. દેશના કાયદાને સન્માન આપે. રાષ્ટ્રધર્મ ને પોતાના પક્ષની નિષ્ઠામાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય ત્યારે જો બીજી વખત વિચારવું પડે તો સમજજો કે તમારામાં એક નાગરિકના ગુણો કેળવવામાં કંઈક કચાશ રહી ગઈ છે. રાષ્ટ્ર હંમેશા પ્રથમ સ્થાને રહે એ જ નાગરિકનો મૂળભૂત ગુણ હોવો જોઈએ.

જાહેર જીવનમાં સક્રિય નાગરિકો જ્યારે નેતા બને છે ત્યારે તેમના માટે ય એવા ઘણાં પ્રસંગો આવતા હોય છે જ્યારે રાષ્ટ્રહિતને થોડીવાર બાજુમાં રાખે તો અઢળક ફાયદો મળતો હોય, પરંતુ એ નેતામાં સાચો નાગરિક જીવતો હશે તો એ અંગત હિતો માટે રાષ્ટ્રને ક્યારેય સંકટમાં નહીં મૂકે.

હું નથી માનતો કે દરેક શહેર-ગામડાંનો નાગરિક દરેક મુદ્દે પોતાની ગમતી પાર્ટી કે નેતાનો સમર્થક હોય, એવું શક્ય જ નથી. મુદ્દા પ્રમાણે તેની વિચારધારા બદલે છે અને એ બદલતી વિચારધારા જ લોકશાહીનું લક્ષણ છે. જ્યાં સુધી વિચારોમાં આટલી અસમાનતા બરકરાર છે, ત્યાં સુધી લોકશાહીને કોઈ ખતરો નથી એ વાત નક્કી માનજો!

વેલ, નાગરિક ધર્મની સાથે સાથે માણસ માટે રાજકીય કાર્ય પણ મહત્વનું હોય છે, નાગરિકની રાજકીય વિચારધારા પણ અગત્યનો ભાગ ભજવે છે. એક તરફ લોકશાહીના ઉચ્ચ મૂલ્યો સ્થાપિત રાખવાની ફરજો છે તો બીજી તરફ લોકશાહી જેના માધ્યમથી રહેવાની છે તે પાર્ટી, નેતાઓ તરફની વફાદારી અને પછી પોતાની મહાત્વાકાંક્ષા પણ સામે આવતી રહેશે.

એમાં એક હદ સુધી વાંધો ય નથી, જ્યાં સુધી એની લત લાગી ન જાય ત્યાં સુધી એમાં કોઈ બુરાઈ આવશે નહીં, પણ જે પળે કોઈ રાજકીય પક્ષ કે નેતાનું ઝનૂન માથા ઉપર ભમવા લાગશે ત્યારે એ રાષ્ટ્ર માટે ખતરનાક છે એ સમજી લેવું હિતાવહ છે. નહિંતર હંમેશા માટે મોડું થઈ જશે. નાગરિકે જ્યારે પક્ષ અને રાષ્ટ્ર એમ બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હશે ત્યારે કોઈ એકનો ત્યાગ કરવો પડશે અને રાષ્ટ્રના ભોગે નેતા કે પક્ષનો ત્યાગ કરવો વધુ ડહાપણભર્યું પગલું ગણાશે.

ગમતા પક્ષની કે ગમતા નેતાની ટીકાને સહન કરી શકો, એ ટીકામાં રાષ્ટ્રધર્મ છુપાયેલો છે એ વાત સમજી શકો તો સમજવું કે તમે જવાબદાર નાગરિક છો, તમારી હયાતિથી તમારું રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે. જો એવું નથી તો સમજવું કે તમે એક નાગરિક તરીકે રાષ્ટ્રને અંધારાની ખીણમાં ગરકાવ કરવામાં ભાગીદાર થઈને રાષ્ટ્રદ્રોહ જ નહીં, પરંતુ માનવતાનો ય દ્રોહ કરી રહ્યા છો.

ખરો રાષ્ટ્રધર્મ એ છે કે નાગરિક પ્રામાણિકપણે વિવિધ બાબતો પર સવાલ કરે. દેશની ઈકોનોમી, દેશનો કરવેરો, દેશની રાજકીય સ્થિતિ, શિક્ષણ, પ્રાથમિક સવલતો જેવા મુદ્દે સત્તાધારી પક્ષોને સવાલ કરે, સત્તામાં આવવા મથતા પક્ષોને ય સવાલ કરે.

તેમની નીતિઓ જાણે, તેમના ભવિષ્યના આયોજન જાણે અને એમાંથી સમયની જરૂરિયાત પ્રમાણે દેશહિતમાં નિર્ણય લઈ શકે એ સાચો રાષ્ટ્રપ્રેમી નાગરિક ગણાય. ચૂંટણી પહેલાં માત્ર રાજકીય હેતુ માટે દેશના સર્વોપરી હિતો સાથે બાંધછોડ કરવાનો અધિકાર ન તો નાગરિકોને છે કે ન તો નેતાઓને છે.

હું એવા કેટલાય યુવાનોને ઓળખું છે, જેમણે સત્યને ઉજાગર કરવા માટે રાજકીય કર્તવ્યને જતું કર્યું છે. સંગઠનમાં ઉપેક્ષિત થઈને ય દેશના હિતમાં જે તથ્યો છે તેને મહત્વ આપ્યું છે. આવા યુવાનોને ભલે તુરંત રાજકારણમાં ફાયદો મળતો નથી, પરંતુ લાંબાંગાળે આવા લોકોના કારણે જ રાજકારણ શુદ્ધ થાય છે અને સરવાળે દેશની શાસનપદ્ધતિ સ્વચ્છ અને શુદ્ધ થશે.

આવા નાગરિકો અન્ય નાગરિકોને પ્રેરણા આપે છે અને તેના કારણે જે તે શહેરમાં, રાજ્યમાં, દેશમાં એક સમજદાર નાગરિકોનો સમૂહ તૈયાર થાય છે. એ જ નાગરિકો દેશને નવી ઊંચાઈએ લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે. એ જ નાગરિકો દેશના મૂલ્યોને સ્થાપિત કરે છે. એ જ નાગરિકો દેશને વિશ્વમાં સફળતાના શિખરે બિરાજમાન કરીને ઉદાહરણરૂપ બનાવે છે.

આપણે સૌ એવા નાગરિક બનીશું તો દેશનું ગૌરવ વધશે. આપણું ગૌરવ વધશે.

હું ઈચ્છીશ કે વધુને વધુ જવાબદાર નાગરિકો રાજકારણમાં સક્રિય થાય. રાષ્ટ્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે; રાષ્ટ્રને બહેતર બનાવવા માટે બૂલંદ હૌસલાથી કામ કરે. જે રીતે તેમના પૂર્વજોએ રાષ્ટ્રના સૈન્યમાં જોડાઈને એક સમયે દેશને સુરક્ષિત કરવામાં, આઝાદ કરવામાં કુરબાની આપી હતી એ જ રીતે નવયુવાનો રાષ્ટ્રને સર્વોચ્ચ સત્તા બનાવવામાં યથાશક્તિ યોગદાન આપે.

દરેક નાગરિક પોતાના હિસ્સામાં આવતું કાર્ય સારામાં સારી રીતે પાર પાડવા લાગે ત્યારે સમજવું કે રાષ્ટ્ર સર્વોચ્ચ શિખરે બિરાજવાની તૈયારીમાં છે. નાના પાયે શરૂઆત કરો. પરિશ્રમ વગર બધું મળી જશે એવી અપેક્ષા રાખવાનું બંધ કરો.

તમે ભ્રષ્ટાચારનો નાશ કરવા ઈચ્છો છો તો તમે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું બંધ કરો. જો તમે દેશમાં ચાલતા ભ્રષ્ટાચારથી, અસુવિધાથી ત્રસ્ત છો તો પહેલાં પોતાના જિલ્લાને સુધારવાનું શરૂ કરો. નાના પાયે થયેલી શરૂઆત તમારી નજર સામે વિસ્તરશે અને તમે રાષ્ટ્રને જેવું બનાવવાનું ધાર્યું હશે એવું ખરેખર બનવા લાગશે, તમારી નજર સામે.

જો તમે જવાબદાર નાગરિક છો તો તમે તમારી આસપાસ રહેતા તમારા જેવા જવાબદાર નાગરિકોને શોધો. તેમની સાથે સંવાદ કરો. તેમની સાથે મળીને તમારાથી શક્ય હોય એવી કંઈક એક્ટિવિટી શરૂ કરો. જો તમારા વિસ્તારમાં પહેલેથી જ કોઈ એક્ટિવિટી ચાલતી હોય તો સહભાગી બનો અને એમાંથી કંઈક એવું થશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

એસેમ્બલીમેન, મેયર, ગવર્નર કે પ્રમુખ બનતા પહેલાંની આ પૂર્વતૈયારી નાગરિક માટે, જે તે વિસ્તાર માટે અને રાષ્ટ્ર માટે ખૂબ ઉપયોગી બનશે. એનાથી રાષ્ટ્ર માટે બહેતન કાર્ય કરવાનું તમને બળ મળશે. તમારા શરૂઆતના પ્રયાસો કદાચ નિષ્ફળ જશે, પરંતુ જો તમારા વિચારોમાં સ્પષ્ટતા હશે, તમારા પ્રયાસો સાચી દિશામાં હશે અને સારા માટે હશે તો અંતે એમાં સફળતા ચોક્કસ મળશે.

દરેક પ્રદેશમાં જવાબદાર, પ્રામાણિક નાગરિકોનું આવું એક સંગઠન હશે તો ય તેની અસરકારકતા ઘણી વધારે હશે. આવા એકાદ હજાર  જવાબદાર નાગરિકો સમય આવ્યે દેશહિતમાં વિચારતા હશે તો તેને અવગણવાનું સ્થાનિક સત્તાધિશો માટે ય કપરું હશે. એ લોકો તમારી વાત સાંભળશે અને એમાંથી સાર લઈને સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરશે.

અન્યાયી પદ્ધતિ હશે તો એમાં ફેરફાર કરવાની તેમને ફરજ પડશે. નાના પાયે થયેલો એ ફેરફાર ધીમે ધીમે આખા રાષ્ટ્રમાં પરિવર્તન લાવવામાં નિમિત્ત બનશે. તમારી જાગૃતિના કારણે ભ્રષ્ટાચારીઓમાં અંદરથી ભય પેદા થશે અને જો એવું થયું તો સમજો કે જાગૃત, પ્રામાણિક, જવાબદાર નાગરિક તરીકે એ તમારો સૌથી મોટો વિજય હશે અને એ વિજય માત્ર તમારા એકલાનો વિજય નહીં હોય, સમગ્ર રાષ્ટ્રનો એમાં વિજય થયો ગણાશે.

તમે સિસ્ટમમાં બેસેલા એવા લોકો સામે પડકાર ખડો કરો જે ભ્રષ્ટાચારી છે, તમે એવા લોકો સામે પડકાર ઉભો કરો જે નીંભર છે, તમે એવા લોકોને પડકાર ફેંકો જે બેદરકાર છે, તમે એવા લોકોનો સામનો કરો જે માત્ર પોતાનું હિત જુએ છે, તમે એવા લોકોને પડકારો જે આળસુ છે, તમે એવા લોકો સામે પડકાર ખડો કરો જે પોતાનું કર્તવ્ય બરાબર કરતા નથી.

સરકારીતંત્રમાં બેસેલા આવા લોકોને ઓળખો, તેમનાથી ડર્યા વગર તેમની સામે લડત આપો, શંકાથી તેમને સવાલો પૂછો, તમારા સવાલોના સંતોષકારક ઉત્તરો ન મળે ત્યાં સુધી પીછેહઠ ન કરો, તમારી લડત રાષ્ટ્રને બહેતર બનાવવાની છે અને એમાં અવરોધ ઊભો કરતા લોકોને ઓળખો, સરકારમાં બેસેલા સારા માણસો એમાં ચોક્કસ તમારી મદદ કરશે. ક્ષમતા અનુસાર લડત ચલાવો, પોતાનું કર્તવ્ય પૂરું થાય એવા તમામ પ્રયાસો કરો. એમાં કોઈ શંકા નથી કે રાષ્ટ્ર માટે આવું સાહસ કરનારા નાગરિકો પ્રશંસાને પાત્ર બનશે.

રૂઝવેલ્ટના સદાબહાર ક્વોટ્સ

– ઉકેલની આશા વગર થતી ફરિયાદો બળાપાથી વિશેષ કશું જ નથી.

– તમે સમસ્યા તરફ કેટલા ચિંતિંત છો એ વાત લોકો નહીં જાણે ત્યાં સુધી કોઈને એવી પરવા નહીં હોય કે તમે કેટલા વિદ્વાન છો.

– નિષ્ફળતા પચાવવી ખૂબ કપરી છે, પરંતુ સફળતાની કોશિશ જ ન કરવી તે એનાથી ય વધુ ગંભીર છે.

– ‘તમે એ કરી શકશો’ એવો વિચાર જો તમને આવે તો સમજવું કે અડધી સફળતા મળી ગઈ છે.

– એક જ માણસથી દુનિયામાં કોઈ ભૂલ થતી નથી, જે ક્યારેય કશું કરતો નથી!

– તમારી નજર સિતારા ઉપર ટેકવી રાખો અને તમારા પગ હંમેશા જમીન ઉપર!

– રાઈફલ ચલાવતા હોય એવી સજ્જતાથી મત  આપો અને પછી જુઓ તેનું કેટલું અસરકારક પરિણામ મળે છે

– જ્યારે તમે રમતા હોય ત્યારે પૂરું મહેનત કરીને રમવામાં ધ્યાન આપો, પણ જ્યારે તમે કામ કરો ત્યારે રમવાનું જરા સરખો પણ વિચાર ન કરો.

       સૌજન્ય: રવિપૂર્તિ, ગુજરાત સમાચાર, તા.૨૪/૦૩/૨૦૧૯

દલપતરામ: અર્વાચીન ગુજરાતી ભાષાના પાયામાં રહેલા પંડિત

દલપતરામ: અર્વાચીન ગુજરાતી ભાષાના પાયામાં રહેલા પંડિત

દલપતરામ જન્મ: ૨૧ જાન્યુઆરી, ૧૮૨૦ (વઢવાણ) મૃત્યુ: ૨૪ માર્ચ, ૧૮૯૮ (અમદાવાદ)

બે સદી પહેલા વઢવાણમાં જન્મેલા કવિશ્વર દલપતરામ આજે ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં તેમનાં સર્જનથી શબ્દસ્વરૂપે અમર છે.

ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ, પ્રથમ ગદ્ય, પ્રથમ નાટક, પ્રથમ અર્વાચીન કવિતા, સાહિત્યને સમર્પિત પ્રથમ સંસ્થા, ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ગ્રંથ..

એવું ઘણું બધું રચનારા અથવા તો તેમાં ભાગીદાર થનારા દલપતરામના જન્મની દ્વિશતાબ્દી નિમિત્તે તેમને યાદ કરીએ..

ગુજરાતી ભાષા કે સાહિત્યમાં ખાસ રસ ન હોય તો પણ ‘શરણાઈવાળો અને શેઠ’ તથા ‘આપના તો અઢાર વાંકા’ જેવી કવિતાની પંક્તિ લોકો મમળાવતા હોય છે. એ પંક્તિના સર્જક દલપતરામની મૂળ અટક તો ત્રવાડી અને તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ તથા માતાનું નામ અમૃતબા હતું. વઢવાણમાં જન્મેલા દલપતરામનું બાળપણ તોફાની રહ્યું હતુ, એટલે તેમના કર્મકાંડી પિતા સાથે તેમને બનતું ન હતું. ડાહ્યાભાઈ ઘણી વખત નાનકડાં દલપતની ધોલાઈ કરતા હતા. એટલે એક વખત તો રિસાઈને અમૃતબા દલપતને સાથે લઈને મોસાળ જતાં રહ્યા હતા.

આઠેક વર્ષની વયે દલપતરામના જીવનમાં પ્રથમ પરિવર્તન આવ્યું. મોસાળમાં ગઢડા હતા ત્યાં તેમનો ભેટો સહજાનંદ સ્વામી સાથે થયો. દલપતરામ પર સ્વામીનારાયણ સંપ્રદાયની ઊંડી અસર થઈ અને તેમણે એ સંપ્રદાય અંગીકાર કરી લીધો. એ વખતના રૂઢિચૂસ્ત સમાજમાં એ બહુ મોટી અને હાહાકાર મચાવનારી ઘટના હતી.

એ વાતનો તેમના માતા-પિતાને ભારે આઘાત લાગ્યો હતો અને પિતા ડાહ્યાભાઈએ તો પછી સન્યાસ લઈ લીધો હતો. નાનપણમાં તો દલપતરામે શૃંગારસિક બે વાર્તા ‘હીરાદન્તી’ અને ‘કમળલોચ’ રચી હતી.

પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાયના સંસર્ગ પછી તેમણે સાદગીને પ્રાધાન્ય આપ્યું હતુ. એટલે એ બન્ને રચના તેમણે બાળી નાખી હતી. એ પછી તેમણે એવી જ રચનાઓ કરી જેમાં બોધ હોય, સાદગી હોય, સંયમ હોય, સમાજ સુધારણાની વાત હોય.. એમની કવિતાઓ આજે પણ અમર હોવાનું એક કારણ એ પણ હોઈ શકે કે લોકોને સમજદારીની વાતો તેમણે કટાક્ષ સ્વરૂપે કહી દીધી હતી.

ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિ હોવા છતાં તેમની રચનાઓ ગુજરાતી નહીં પરંતુ બે સદી પહેલા પ્રચલિત એવી વ્રજ ભાષામાં લખાયેલી હતી. તેમને વ્રજમાંથી ગુજરાતીમાં લખતા કરવાનું કામ અંગ્રેજ અધિકારી અને સવાયા ગુજરાતી ઍલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે કર્યું હતું.

ફાર્બસ અને દલપતરામની મુલાકાત એ ગુજરાતી ભાષાની ઐતિહાસિક ક્ષણ ગણવી જોઈએ. એ બન્નેની જોડીએ મળીને ગુજરાતી ભાષાના ઉત્થાન માટે ઘણા કામ કર્યા. એક અંગ્રેજ અને એક ગુજરાતીએ મળીને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે અનેક કામો કર્યાં. તેની અહીં ટૂંકમાં વાત કરી છે.

દલપતરામે મૂળીબા, કાશીબા અને છેલ્લે રેવાબા એમ ત્રણ વખત લગ્ન કર્યા હતા. તેમનું લગ્નજીવન ખાસ સુખી ન હતું. સદ્ભાગ્યે તેમનો કવિતા વારસો તેમના પુત્ર ન્હાનાલાલ કવિએ જાળવી રાખ્યો હતો. દલપતરામની છઠ્ઠી પેઢીના વારસદારો આજે અમદાવાદમાં જ રહે છે અને હવે તેમણે ‘કવિ’ અટક અપનાવી લીધી છે.

તેમના કાવ્યો દલપતકાવ્ય ભાગ ૧-૨માં સંગ્રહ પામ્યા છે, તો વળી વિવિધ નિબંધો, અનુવાદ, દલપતપિંગળ નામે વ્યાકરણ, સંપાદન.. વગેરે અનેક પ્રકારના કામ તેમના નામે બોલે છે. ૧૮૪૮માં ગુજરાતી ભાષા માટે સક્રિય થનારા દલપતરામે ત્રણ દાયકામાં ગુજરાતી ભાષા-સાહિત્યને ઘણું બધું નવું સર્જન આપી દીધું હતું અને ખાસ તો અર્વાચીન ગુજરાતી ભાષામાં સર્જનની નવી નવી બારીઓ ઉઘાડી આપી હતી.

નિવૃત્તિ પછી વીસેક વર્ષ જીવીને ૧૮૯૮માં તેઓ અવસાન પામ્યા હતા. પાછલા વર્ષો તેઓ સ્વામીનારાયણ મંદિરમાં જ રહેતા હતા.

દલપતરામે ગુજરાતી ભાષાને શું શું આપ્યું?

પ્રથમ કવિતા, પ્રથમ કવિ સંમેલન
૧૮૪૫માં દલપતરામે રચેલી ‘બાપાની પીંપર’ ગુજરાતી ભાષાની પ્રથમ અર્વાચીન કવિતા ગણાય છે. આ લાંબુ કાવ્ય મૂળ તો ગ્રીષ્મ ઋતુનું વર્ણન છે. જોકે એ વખતે તો દલપતરામે કવિતાને ‘કથાંતર અથવા ફારસ’ એવુ ઉપશીર્ષક પણ આપ્યું હતું. કેમ કે એ કવિતા સ્વતંત્ર ન હતી, દલપતરામે રચેલા ઋતુવર્ણન વચ્ચે તેને મુકવામાં આવી હતી.

‘વિચારીને વઢવાણથી, લીધો લીંબડી પંથ,  વિતક વણરવતાં  વધે, ગ્રીષ્મ વરણનગ્રંથ..’  એવી પંક્તિથી એ કાવ્ય શરૂ થતું હતું. ૧૮૫૨માં ફાર્બસ મહિકાંઠા વિસ્તારના પોલિટિકલ એજન્ટ હતા ત્યારે તેમણે દલપતરામની મદદથી પ્રથમ કવિ સંમેલન યોજ્યું હતુ. ગુજરાતી ભાષાનું એ પ્રથમ કવિ સંમેલન હતું. આ સંમેલનનો અહેવાલ દલપતરામે ‘કવિતા વિલાસ’નામના કાવ્યમાં લખ્યો હતો.

પ્રથમ ગુજરાતી નિબંધ
૧૮૪૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના સમાજ સુધારણા માટે થઈ હતી. એ વર્ષે જ સોસાયટીએ એક નિબંધ સ્પર્ધા રાખી હતી. એમાં ફાર્બસના આગ્રહથી ‘કવિ’ દલપતરામે ‘ગદ્ય’માં કલમ ચલાવીને ‘ભૂતનિબંધ’ નામે નિબંધનું સર્જન કર્યું હતું. એ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ હતો.

એમાં ગુજરાતી પ્રજામાં વ્યાપેલી ભૂત-પ્રેત અંગેની અંધશ્રદ્ધા વિશે કટાક્ષ કરવામાં આવ્યો હતો.  એ નિબંધનો ફાર્બસે જ ૧૮૫૧માં અંગ્રેજી અનુવાદ કર્યો હતો. ‘અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર, એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ ઃ જીવન અને કાર્ય’ પુસ્તકમાં નોંધાયું છે એ પ્રમાણે ફાર્બસે કરેલો એ અંગ્રેજી અનુવાદ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ હતો. એેટલે કે કોઈપણ ગુજરાતી કૃતિનો પહેલી વખત અંગ્રેજીમાં અનુવાદ થયો હતો. પાછળથી તો નિબંધ ઉર્દુમાં પણ અનુવાદ થયો હતો.

પ્રથમ ગ્રંથાલય
દલપતરામ-ફાર્બસ વગેરેએ મળીને ૧૮૪૯માં ભદ્ર વિસ્તારમાં ગુજરાતની પ્રથમ લાયબ્રેરી ‘હિમાભાઈ ઈન્સ્ટિટયૂટ’ની સ્થાપના કરી હતી. પરંતુ લોકોને લાયબ્રેરીમાં રસ પડતો ન હતો. વર્ષે ૮૫ની આવક સામે ૩૭૩નો ખર્ચ થયો હતો. સંસ્થા માટે જગ્યાની પણ જરૂર હતી. માટે દલપતરામે ૧૮૫૫ની ૫મી સપ્ટેમ્બરે શહેરીજનોની એક મિટિંગ બોલાવી.

એમાં દલપતરામે જણાવ્યુ હતુ કે શહેરના વિકાસ માટે આ સંસ્થા ચાલવી જોઈએ, તમે સૌ એ માટે ફાળો આપો. એ પછી નગરશેઠ હિમાભાઈ સહિતના લોકોએ ફંડ-ફાળો આપ્યો હતો. એ રીતે લાયબ્રેરી ચલાવવા માટેના દલપતરામના પ્રયાસો સફળ રહ્યા.

પ્રથમ સામયિક 
૧૮૫૦માં શરૂ થયેલું ‘બુદ્ધિપ્રકાશ’ ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક છે (આજે પણ ચાલુ છેે!). એ સામયિક એક વખત બંધ થયા પછી ફરી ચાલુ થયુ ત્યારે દલપતરામને સંપાદનની જવાબદારી સોંપાઈ હતી. દલપતરામે બુદ્ધિપ્રકાશની નકલો ૬૦૦માંથી ૧૧૦૦ સુધી પહોંચાડી હતી. દલપતરામ પોતાના દરેક કામ અંગે પંક્તિઓ લખતા હતા. માટે બુદ્ધિપ્રકાશ અંગે તેમણે લખ્યું હતુંઃ

જે જે સજ્જન જગતમાં પઢશે બુદ્ધિપ્રકાશ

તો તેની દલપત કહે, પ્રભુ પૂરી કર આશ.

પ્રથમ પાઠયપુસ્તક
૧૮૫૬માં મુંબઈ ઈલાકાના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર નિમાયેલા થિઓડોર સી.હોપે ગુજરાતી શિક્ષણના વિકાસ માટે પાઠયપુસ્તકો તૈયાર કરવાનું નક્કી કર્યું. એ કામ દલપતરામને સોંપવામાં આવ્યુ હતુ. એ પુસ્તકો પછીથી ‘હોપ વાચનમાળા’ તરીકે ઓળખાયા. ગુજરાતી ભાષામાં શાળા માટે ઉપયોગી એવા પુસ્તકો ત્યારે પ્રથમવાર પ્રગટ થયા હતા.

આ પુસ્તકો માટે જરૂરી બાળકાવ્યોનું સર્જન પણ દલપતરામે કરી આપી ગુજરાતી ભાષામાં નવો ચીલો પાડયો હતો. ‘મહા હેતવાળી દયાળી જ મા તું’ જેવું માતૃભક્તિનું સહજ-સરળ બાળકાવ્ય એ ગાળામાં શાળાઓમાં ખૂબ ગવાતું. ‘દલપતરામ ઃ સુધારાનો માળી’માં મૂળશંકર ભટ્ટ લખે છે: ‘એમની પહેલાં કોઈ પણ પ્રકારની બાળકાવ્યોની પ્રણાલિકા ન હોવા છતાં દલપતરામે કેવળ પોતામાં રહેલી એક શિક્ષકની સૂઝથી આ નવો ચીલો પાડયો, તે પણ તેમનો એક કીમતી ફાળો ગણાય.’

પ્રથમ ગુજરાતી નાટક
દલપતરામે ૧૮૬૩માં ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ‘લક્ષ્મીનાટક’ લખ્યું હતુ. પ્રાચીન ગ્રીકના કવિ અરીસ્તોફનીસના નાટક પરથી આ નાટક તૈયાર કર્યું હતું. પ્રસ્તાવનામાં જ એ વાત લખી હતી, ‘મૂળ નાટકનું નામ ‘પ્લાતસ’ છે, તે પ્લાતસ તેમનામાં ‘ધનનો દેવ’ હતો, માટે અમે અમારા નાટકને ‘લક્ષ્મી’ નામ આપ્યું છે.’ ધર્મ-અધર્મ પર લખાયેલા આ નાટકનો સાર એવો છે કે અન્યાય-અધર્મથી ધન પેદા કરવુ નહીં. નાટકમાં રાજા ધીરસિંહ, તેનો ચાકર ભીમડો, ડોશી, દાજી, દરિદ્ર, રાણી, ગુલામ, ધનપાળ, ચાડિયા, દેશાઈ, ફાતમા, રામસેવક હનુમાન વગેરે પાત્રો છે. આ નાનકડું નાટક પુસ્તિકા સ્વરૂપે પ્રગટ થયું હતું.

પ્રથમ ઈતિહાસ
ગુજરાત પ્રદેશનો ઈતિહાસ સમૃદ્ધ હતો પણ કોઈએ લખ્યો ન હતો. ફાર્બસે દલપતરામને સાથે રાખીને એ કામ ઉપાડયું. પ્રાચીન હસ્તપ્રતો, ગ્રંથો, દસ્તાવેજો, શિલ્પો, સ્થાપત્યો.. વગેરે દલપતરામે શોધી કાઢીને ઈતિહાસ લખવા માટે જોઈએ એવી સામગ્રી એકઠી કરી આપી.

એ પછી ૧૮૬૫માં બે ભાગમાં ગ્રંથની રચના કરી એ ‘રાસમાળા.’ રાસમાળાની રચના ફાર્બસે કરી પણ તેમાં દલપતરામની ઘણી મહેનત હતી અને ફાર્બસે પ્રસ્તાવનામાં એ માટે દલપતરામનો આભાર પણ માન્યો હતો. પછી દલપતરામે રાસમાળા પોતાના હસ્તાક્ષરમાં ગુજરાતીમાં ઉતારી હતી.

પ્રથમ વિરહકાવ્ય
૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા. એ દરમિયાન ફાર્બસ અને દલપતરામ એકબીજાને સારી રીતે જાણી શક્યા, ગાઢ મિત્રતા પણ સ્થપાઈ. ફાર્બસના અવસાન પછી લેખમાળામાં દલપતરામે લખ્યું હતું એ પ્રમાણે ફાર્બસ દરરોજ બે કલાક મહેનત કરીને દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખ્યા હતા.

ફાર્બસના અવસાન પછી દલપતરામે લાંબી કવિતા પણ લખી હતી, જે ગુજરાતી સાહિત્યમાં ‘ફાર્બસવિરહ’ તરીકે જાણીતી છે. ગુજરાતી ભાષાના એ પ્રથમ કરૂણપ્રશસ્તી કાવ્યની એક પંક્તિ..

વા’લા તારા વેણ, સ્વપ્નમાં પણ સાંભરે,
નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ.

દલપતરામનો પરિચય આપતા સમર્થ કવિ નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે ઃ ‘કવિ દલપતરામ એ નામ સાથે પહોળા બાંધાના, પ્રતાપવાન, પહોળા મોંવાળા, થોભિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ઘોળી પાઘડી, જૂની ઢબની, શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઉતારેલી લાકડી પકડેલા, હેવા (એવા) પુરુષ નયન સામે ખડા થાય છે.’

સુધારાવાદી વિદ્વાનોના ‘ઝઘડા’
દલપતરામ અને નર્મદ સમકાલીન હતા અને બન્ને વચ્ચે વાદ-વિવાદ થતો હતો. દલપતરામ બ્રિટિશ સરકારના સજ્જન અને સુધારાવાદી વિચારધારા ધરાવતા ફાર્બસ જેવા અધિકારીઓના પ્રશંસક હતા. નર્મદનો સુધારાવાદી અભિગમ ઘણેખરે અંશે બ્રિટિશ શાસનની ટીકાના સ્વરૂપે પણ સપાટી ઉપર આવતો રહેતો. એટલે એ સમયના બે પ્રખર વિદ્વાનો અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણ ચાલતી રહેતી. વ્યંગચિત્રકારોએ તો બંનેને એકબીજાની ચોટલી પકડીને લડાવ્યા છે!

નર્મ કવિતામાં નર્મદે પોતાની વિશિષ્ટ અદામાં તસવીર છપાવી હતી. તે પછી દલપતરામે તેમના કાવ્યસંગ્રહમાં તસવીરને બદલે દોહરો મૂકીને નર્મદની ટીકા કરતા લખ્યું હતું:

‘શું જોશો તનની છબી, તેમાં નથી નવાઈ

નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ’

દલપતરામના આ દોહરાના જવાબમાં નર્મદના એક પ્રશંસક કવિએ દોહરો લખ્યો હતો ઃ

‘નીરખીને તનની છબી, સંશય ઉપજે આમ,

આ તે દલપતરામ કે અમદાવાદી….’

દોહરામાં એક શબ્દ અધૂરો મૂકીને નર્મદ સમર્થક કવિએ સમજદાર વાચકોને ગમે એ શબ્દ મૂકીને રમૂજની છૂટ આપી હતી.

દલપતરામના મિત્ર અને અંગ્રેજ અધિકારી ફાર્બસના અવસાન વખતે અંજલિમાં પણ ફાર્બસની પ્રશંસા વચ્ચે ય નર્મદે દલપતરામની ટીકા કરતા કહ્યું હતું, ‘કેટલાક ગુજરાતી ગ્રંથકારો તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. એ બિચારા હવે ટેકા વગરના થશે તે બહુ ખેદની વાત છે.’

દલપતરામે ઉત્તરાવસ્થાએ ધોળી ચોટલી ઊંચી કરીને કહ્યું હતું કે ‘હવે આને યુદ્ધવિરામની ધજા સમજો’. બંનેના મનમાં એકબીજા માટે કડવાશ હતી પરંતુ બંનેના પ્રશંસકોએ દલપત-નર્મદના ઝઘડામાં જેટલો રસ હતો એટલો બધો રસ આ બંને વિદ્વાનોને નહોતો. બંનેના મતભેદો ભલે સપાટી ઉપર આવતા રહેતા, તેમ છતાં બંનેએ ગુજરાતમાં કેળવણી, સુધારણા, સાહિત્ય-પત્રકારત્વ માટે ભારે મહેનત કરી હતી. બંનેની રીત અલગ હતી, છતાં ગુજરાતી ભાષાને સદ્ધર કરવાની તેમની નેમ હંમેશા પ્રશંસા મેળવતી રહેશે.

દલપતશૈલીની અસર ક્યાં ક્યાં?
દલપતરામની સર્જનશૈલીની અસર પછીથી ઘણાં બધા કવિઓમાં વર્તાઈ હતી. ‘દલપતરામ: સુધારાનો માળી’માં લેખક મૂળશંકર ભટ્ટ નોંધે છે: ‘દલપતરામનાં કાવ્યો વાંચીને તેમની ઢબે જ કાવ્ય રચવાની શરૂઆત કરનાર ગુજરાતના ઘણા પ્રસિદ્ધ કવિઓ હતા તે પણ જાણીતી વાત છે.

બાલાશંકર, મણિશંકર, નરસિંહરાવ, ખબરદાર, કલાપી વગેરેના નામ આમાં ઉલ્લેખનીય છે. વિચારોને, ભાવોને સહેલાઈથી પદબદ્ધ કરી શકાય છે. તેવો આત્મવિશ્વાસ, આ દલપતશૈલીથી ઘણા ઊગતા કવિઓએ મેળવ્યો હોય તો તેમાં નવાઈ નથી’

પોથી બંધ થઈ ત્યાંથી વિદ્વતા શરૂ થઈ
દલપતરામની વય ૬૫ વર્ષ કરતા વધું હશે તે વખતે આ પ્રસંગ બન્યો હતો. ભોગાવો નદીને કાંઠે શ્રીમાળી બ્રાહ્મણો જનોઈ બદલવા માટે એકઠા થયા હતા. વિધિ શરૂ થઈ ત્યાં જ ઝરમર વરસાદ શરૂ થયો. આચાર્ય પુસ્તકમાંથી વાંચીને જનોઈની શાસ્ત્રોક્ત વિધિ કરાવતા હતા. વરસાદ આવ્યો એટલે પોથી બંધ કરી દીધી, વરસાદ અટકે તેની રાહ જોવા લાગ્યા.

વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. આ સ્થિતિ જોઈને દલપતરામે અધૂરી વિધિ પોતાને કરવા દેવાનું બ્રાહ્મણોને કહ્યું. બ્રાહ્મણો અને આચાર્યએ બહુ રાજીપો બતાવીને કવિ દલપતરામને જનોઈ બદલવાની આગળની વિધિ કરવા જણાવ્યું. દલપતરામે વર્ષો અગાઉ નાનપણમાં જે શ્લોકો કંઠસ્થ કર્યા એ યાદ કરીને એક પણ અક્ષરની ભૂલ વગર તેમણે જનોઈ બદલવાની વિધિ પૂરી કરાવી. દાયકાઓ પછી પણ દલપતરામને આ બધા શ્લોક આવડતા હતા તે જાણીને આખા શ્રીમાળી બ્રાહ્મણ સમાજે આશ્વર્ય સાથે પ્રશંસા વ્યક્ત કરી.

કવિશ્વરનો સર્વવ્યાપ

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો દલપતરામના જમાનામાં આગવો માન-મરતબો હતો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ: પહેલો ભાગ’ પુસ્તકમાં લખ્યું છે કે એ સમયે અમદાવાદમાં એવી એક સભા, સમારંભ, કાર્યક્રમ ન યોજાતો, જેમાં દલપતરામની હાજરી ન હોય.

લગભગ દરેક કાર્યક્રમમાં દલપતરામની હાજરી મુખ્ય વક્તા, મુખ્ય અતિથિ તરીકે અનિવાર્ય ગણાતી. તેમના વિદ્વતાપૂર્ણ ભાષણો કાર્યક્રમોમાં શ્રોતાઓ માટે મુખ્ય આકર્ષણ બની જતા. કવિ દલપતરામ ભાષણો મોટાભાગે પદ્યમાં આપતા. એટલે કે કવિતા સ્વરૂપે ભાષણ આપવાની તેમની છટા શ્રોતાઓને આકર્ષતી.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે વર્નાક્યુલર સોસાયટી એવી એક સર્વમાન્ય ઓળખ બની ગઈ હતી. કેળવણી, જ્ઞાાનપ્રચાર, સાહિત્ય, સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં દલપતરામ ખૂબ જ સક્રિય રહેતા.

સોસાયટીના કામમાં તેમને ઊંડો લગાવ હતો તે જોઈને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઑનરરી સેક્રેટરી મિસ્ટર કર્ટિસે દલપતરામને વડોદરા-ભાવનગર જેવા શહેરોમાં પણ સોસાયટીનું સુધારાલક્ષી કામ આગળ વધારવા માટે મોકલ્યા હતા.

મહારાજા ખંડેરાવને જ્ઞાાનવર્ધક સંસ્થા શરૂ કરવા દલપતરામે સમજાવ્યા હતા. સોસાયટીના ઑનરરી સેક્રેટરી ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સાથે મળીને દલપતરામે વડોદરામાં કેળવણી અને પુસ્તકાલય માટેના બીજ વાવ્યાં હતાં.

કવિશ્વર દલપતરામ

દલપતરામનું કવિતા વિશ્વ તો ઘણું વિશાળ છે, અહીં કેટલીક કવિતાઓમાંથી કેટલીક પંક્તિઓ રજૂ કરી છે.

કરતા જાળ કરોળિયો

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.
એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર
હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર.

આપના તો અઢાર વાંકાં

ઊંટ કહેઃ આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે,
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી,
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા,
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ,
‘અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.’

અંધેરી નગરી ને ગંડુ રાજા

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં,
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.
ત્યાં જઈ ચઢયા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો,
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, ‘ખૂબ ખાટયો’.

ઋતુઓનું વર્ણન 

શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય,
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય,
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,
લોક ઉચ્ચારે રાગ મલાર, -ખેતર વાવે ખેતીકાર.

શરણાઈવાળો અને શેઠ

એક શરણાઈવાળો સાત  વર્ષ  સુધી  શીખી,
રાગ  રાગણી   વગાડવામાં  વખણાણો  છે.
એકને  જ  જાચું  એવી  ટેક છેક રાખી એક
શેઠને  રિઝાવી   મોજ  લેવાને  મંડાણો  છે.
કહે  દલપત  પછી  બોલ્યો  તે  કંજૂસ શેઠ,
‘ગાયક   ન   લાયક  તું  ફોગટ  ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.’

કેડેથી નમેલી ડોશી 

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી.
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી.
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

તેજીની કવિતા

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય…
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે.. જન સૌ જાય..
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે.. જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે… જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…

આબુનું વર્ણન 

ભલો દૂરથી દેખતાં દિલ આવ્યો,
ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો.
દીસે કુંડનો દેવતા બીજ જેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.
દીપે દેવ હાથી કહે કોઈ કેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.
તહાં તેર ગાઉતણે તો તળાવે,
પિવા ગામ અગીયારના લોક આવે.
જહાં જેઠ માસે ન દીસે પ્રસેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.

વાંઢાની પત્ની ઝંખના

જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ,
જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ,
મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત,
હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત,
અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી,
પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી..
અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી,
વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી.

અરે, રુડો માનવ દેહ આવ્યો 

અરે રુડો માનવ દેહ આવ્યો,
બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.
તમે વિચારો હિત જો તમારુ,
કરો કરો કાંઈક કામ સારું.
ન કાઢશો કાળ કદી નકામો,
પરોપકારી શુભ નામ પામો,
ઠગાઈથી નામ ઠરે નઠારું,
કરો કરો કાંઈક કામ સારુ.
મનુષ્યકાયા નથી મોજ માટે,
ઘડી નથી તે પશુપક્ષી ઘાટે..

સૌજન્ય: ગુજરાત સમાચાર, રવિપૂર્તિ, તા.૨૦/૦૧/૨૦૧૯.

સંકલન: લલિત ખંભાયતા – હર્ષ મેસવાણિયા

માણસ

માણસ

ફરી એકવાર!

”અનામત વિતરણ સમારંભ”

મિત્રો લોકલાગણીને માન આપીને સૌને

અનામત આપવી

એવું આપણે નક્કી કર્યું છે,

એટલે કોઇએ ધક્કા મુક્કી કરવાની જરૂર નથી,

એક પછી એક તમામ જ્ઞાાતિ શાંતિથી અહીં આવે

અને પોતાની અનામત લઇ જાય.

આટલી જાહેરાત પછી

વિતરણ સમારંભ શરૂ થાય છે.

અને રંગેચંગે પૂરો થાય છે.

અંતે વિજયી સ્મિત સાથે

વરિષ્ઠ નેતા

ભાષણ કરવા માટે ઊભા થાય છે.

એ જ વખતે

ભીડમાંથી અથડાતો કુટાતો એક વ્યક્તિ

માંડમાંડ આગળ આવીને કહે છે.

સાહેબ!

હુ તો રહી ગયો, મને પણ કંઇક આપો.

નેતાજી કહે

જરૂર જરૂર તમને પણ કંઇ આપવામાં આવશે જ,

બોલો તમારી જ્ઞાાતિ?

હાંફતો હાંફતો એ વ્યક્તિએ કહ્યું

”માણસ”

બાજુમાં જ બેઠેલા વિતરણ અધિકારી

લિસ્ટમાં તપાસ કરીને-

નેતાજીના કાનમાં કહે કે સાહેબ!

”માણસ” નામની કોઇ જ્ઞાાતિ તો

આપણા લિસ્ટમાં છે જ નહિ!

– કૃષ્ણ દવે