જૂનું ઘર છોડતા

જૂનું ઘર છોડતા


બદલી પછી સૌથી મોટી સમસ્યા;
જૂનું ઘર છોડવું ને નવું શોધવું;

નવું શહેર; નવા રસ્તા; માણસો;
બધું બદલાય એ આપણા સિવાય;

લાગણીના પડ; ખુલતા જાય જાણે;
સંવેદનાના ઘોડાપુર આવે અહીં;

પેપરવાળો; દુધવાળો; શાકવાળો;
કામવાળી; ટ્યૂશન શિક્ષક સાથે;

સમસ્ત માહોલ ખસકી જય ને;
ખાલી થતાં ઘરની દીવાલો કહે છે;

નાશવંત તો બધુંય છે અહિયાં ને;
કાયમીની શોધ ચાલું જ રહે છે.

આમ તો આ શરીરનાં ઘરમાંય તો;
કયાં કાયમી? છોડતા દર્દ નિરાળું.


– ડો.બીરેન પાઠક
કાર્યપાલક અધિકારી,
એસ એસ જી હોસ્પિટલ, વડોદરા


જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત

garvi gujarat

૧૯૬૦ની ૧લી મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને સને-૨૦૧૦માં રાજ્યની સુવર્ણ જયંતિ ઉજવવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા પ્રખ્યાત ગુજરાતી કવિ શ્રી નર્મદની પ્રચલિત પંક્તિઓ ‘જય જય ગરવી ગુજરાત’ને સુયોજિત કરવાનું કાર્ય, વિખ્યાત સંગીતકાર એ.આર.રેહમાનને સોંપવામાં આવ્યું.

આ ગીતના ફિલ્માંકનનું કામ સોંપાયું, ભરત બાલા પ્રોડક્શનને જેમણે રાષ્ટ્ર ગીત જન ગણ મન સહીત એ.આર.રેહમાનના વંદે માતરમ આલ્બમના વીડિયો બનાવ્યા હતા જે અત્યંત લોકપ્રિય થયા હતા..

કવિ શ્રી નર્મદના ગીત ‘જય જય ગરવી ગુજરાત’ના શબ્દોની સાથે નવા ગીતકારો દિલીપ રાવલ, સાંઈરામ દવે, અંકિત ત્રિવેદી, અને ચિરાગ ત્રિપાઠીએ પોતાના શબ્દોથી ગીતમાં નવો ઓપ લાવીને મૂળભૂત ગીતને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે..

ભરત બાલા પ્રોડક્શને તૈયાર કરેલા અને એ.આર.રેહમાન દ્વારા સંગીતબદ્ધ થયેલા આ ગીતમાં હરીહરન, સાધના સરગમ, સચિન-જીગર, કીર્તિ સાગઠીયા સહીત અનેક દિગ્ગજોએ આવાજ આપ્યો. નવું તૈયાર થયેલું આ ગીત 1-મે 2010ના રોજ રીલિઝ થયું અને ખૂબ જ લોકચાહના પામ્યું.

તો પ્રસ્તૂત છે જેને સાંભળીને દરેક ગુજરાતીનું સેર એક લોહી ચડી જાય એવા ‘જય જય ગરવી ગુજરાત’ના શબ્દો.

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી,
આ રણ મને પ્યારું છે, ખેતર, છે શોભા મારી,
ધન્ય હું થઈ ગયો, અહીં જન્મ છે મારો થયો,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે,
તને નમું લાખ વાર હું, ભૂમિ મારી,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

કંઈ સિદ્ધ કર્યા વ્યાપાર મેં દરીયા પાર, ગુજરાતી હું છું,.
મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, ગુજરાતી હું છું,.
મારી રગ-રગમાં કરૂણા સેવા સહકાર, ગુજરાતી હું છું,.
હર આફત સામે ઉભો બની પડકાર, ગુજરાતી હું છું,.
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

પાંખના આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું,
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું, કહી રહ્યું છે હવે બોલ તું,
કંઈક દ્વાર હજું ખોલવાના છે, કંઈક ઝરૂખા બંધ છે,
મુટ્ઠીઓમાં મારી ઉછળી જે રહ્યા સાત સૂરજના છંદ છે,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

એક દોરો મારી પાસે છે, તો એક દોરો તારી’યે પાસે છે,
સાથ સૌ મળી વણીયે એક નદી કાલ ને કે’જે ખાસ છે,
અંજલીમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે,
મનમાં કર્મની વાંસળી છે અને એક સુરીલી આસ છે,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દેશનું ઘરેણું ગુજરાત..

સાથોસાથ સમગ્ર ગુજરાતની સંસ્કૃતિ, રાજ્યની ધરોહર જેવા સ્મારકો અને આહલાદક સ્થળોની ઝાંખી કરાવી છે એવું આ ગીત નીચે જુઓ !

[wpvideo OiJ74dT4]

Youtube Link

ગુજરાતના ૬૦માં સ્થાપના દિવસે વિશ્વના ખૂણે ખૂણે વસતા દરેક ગુજરાતીને શુભેચ્છાઓ…

મને ગર્વ છે કે હું ગુજરાતી છું…

કુંદન, કુન્દનિકા અને ઈશામા સુધીની એક સાર્થક યાત્રા

કુંદન, કુન્દનિકા અને ઈશામા સુધીની એક સાર્થક યાત્રા

મને શીખવ  હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.

remembrance memories of kundanika kapadia

કુન્દનિકા કાપડિયાના નિધનના સમાચાર ૩૦-૪-૨૦ની વહેલી સવારે મળ્યા ત્યારે યાદ આવ્યું કે યોગાનુયોગ ૩૦ એપ્રિલ મકરંદ દવે સાથે તેમના લગ્નની તિથિ પણ હતી. ધરમપુર નામ લેતાં જ નંદિગ્રામનું નામ દરેકને યાદ આવે. મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયાનું આનંદગ્રામ એટલે કે નંદિગ્રામની મુલાકાત મારા માટે હંમેશા સ્મરણીય રહી છે. કુન્દનિકા આજે નથી રહ્યા પણ તેમની આગળ સ્વ. લગાડવાનું મન નથી થતું. મકરન્દભાઈના અંતિમ સમય સુધી જીવનસંગીની બની રહેલા કુન્દનિકા કાપડિયાનું પોતાનું આગવું વ્યક્તિત્વ હતું. તેમને 28 વરસથી સતત મળતી આવી છું પણ તેમની સજાગતા અને સ્વભાવ જરા પણ બદલાયા નહોતા. ઉંમરને કારણે અને છેલ્લા વરસોમાં તેમની માંદગીને કારણે તેઓ થોડા ઢીલા જરૂર જણાતા હતા પણ જીવન પ્રત્યેનો તેમનો અભિગમ હંમેશા હકારાત્મક રહ્યો હતો.  તેમના લાંબા સુંદર વાળ, ભાવવાહી આંખો અને મોનાલિસા જેવું સ્મિત દરેક વખતે મને આકર્ષતું રહ્યું. નંદિગ્રામમાં હાલ મ્યુઝિયમ પણ તેમણે જાતે રસ લઈને ઊભું કર્યું છે, જેમાં મકરંદ દવે અને તેમના સહજીવનના ફોટાઓ આપણને સાહિત્યકાર, આધ્યાત્મિક બેલડીના ભૂતકાળની ઝાંખી કરાવે છે. કુન્દનિકા કાપડિયાને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર  1985ની સાલમાં મળ્યો હતો. પહેલાં સંપાદક અને પછી વાર્તાકાર, નવલકથાકાર અને ત્યારબાદ પ્રાર્થનાઓનો સંગ્રહ તેમણે આપ્યો છે. સાત પગલાં આકાશથી આજે પણ ઓળખાતા કુન્દનિકા કાપડિયા પોતાના સમયથી ઘણા આગળ જીવતા હતા. આજે પણ તેઓ સતત કંઈને કંઈ લખતા હોય, નંદિગ્રામના કામનું સંચાલન કરતા હોય કે પછી ન દેખાતા કોઈ વિશ્વમાં ખોવાઈ ગયા હોય એ રીતે શાંત બેઠા હોય એ છબી તેમને મળનાર વિસરી ન શકે. તેમને અંગત મિત્રો કુંદન તરીકે સંબોધતા અને પછી સાહિત્યકાર રૂપે કુન્દનિકા કાપડિયા તરીકે પ્રસિદ્ધ થયા અને નંદિગ્રામમાં તેઓ ઈશામા તરીકે સંબોધાતા હતા. તેમના છેલ્લે પ્રગટ થયેલા પુસ્તકોમાં પણ ઈશા કુન્દનિકા નામ જ છપાતું હતું.

નંદીગ્રામ નો વિચાર શી રીતે આવ્યો?

કુન્દનિકા બહેન : “મને હંમેશા થતો કે કશુંક જુદું કરવું જોઇએ અને સહિયારા રસોડાનો વિચાર મને ઘણા વખત પહેલા આવેલો કારણ દરેક સ્ત્રીના માથે તેના રસોડાનો ભાર હોય છે તે દૂર થવો જોઈએ તેવી ભાવના મનમાં હતી પછી મહારાણી ચીમનાબાઈને વાંચ્યા જેવા સ્ત્રીઓના તુલનાત્મક અભ્યાસ વિશે લખેલું જેમ કે સ્ત્રીઓને આર્થિક રીતે સધ્ધર બનાવી જોઈએ સહારો રસોડું હોવું જોઈએ પછી ઘણા વખતે મને રશિયામાં પણ આવા સહિયારા રસોડા હોય છે તેની ખબર પડે મારા મનમાં સામૂહિક જીવનની કલ્પના પહેલા જુદી જ હતી પણ પછી સ્વરૂપો બદલાતા ગયા મૂળ કલ્પના હતી કે થોડાક એવા માણસો સાથે રહીએ કે જેમને સાધના અને આત્માના વિકાસમાં રસ હોય ગાંધીજીની મારા ઉપર અસર એટલે આજુબાજુમાં રહેતા લોકો માટે સમજ પ્રત્યે આપણી કશીક ફરજ હોવાનો ભાવ મનમાં રહ્યા કરે તેથી તે બન્ને વસ્તુ સાથે જતી હોય તેવું સામૂહિક જીવન છતાં બધાનું પોતાનો સ્વતંત્ર જીવન. છતાં બધાનું પોતાનો સ્વતંત્ર જીવન આમ અમારા નંદીગ્રામમાં માબાપ બાળક મૂકીને જઈ શકે છે જેથી એકલા મા પર બાળઉછેરનું બહાર ન આવે 1960થી જમીન ખૂબ જ શોધે પણ મુંબઈમાં ઘણો વખત રહેલા તેથી મુંબઈની નજીક જમીન મળે તો સારું એવું મનમાં હતું જમીનની સાથે પણ એક સંબંધ હોય છે હવે તો સાધના અને સેવાએ નંદીગ્રામના મુખ્ય ઉદ્દેશ છે.”

કુન્દનિકાબહેને પોતાની વાત કરતાં કહ્યું હતું તે હવે તેમના જ શબ્દોમાં વાંચો ,  “મને યાદ છે, મારા બચપણનો મુખ્ય ભાગ ગોધરામાં વીત્યો. ગોધરા પંચમહાલનું ગામ. મોટેભાગે જંગલ જેવા વિસ્તારમાં તેથી મારો મુખ્ય રસ પ્રકૃતિપ્રેમ છે. ઘણા ઘણા કલાકો વૃક્ષો ઉપર ચડી ડાળ ઉપર ગોઠવાઈને વાંચવું, એકાંતમાં ફરવું,  સ્મશાનમાં જવું. એનું કારણ એ હશે કે જે બીજા ન કરે તેવી વિદ્રોહી પ્રવૃત્તિ કરવી મને ગમતી. મારા બાપુજી ડોક્ટર હતા તેથી તેમના વૈદકના પુસ્તકો અને બીજો જે હાથમાં આવે તે વાંચતી. કૃષ્ણમૂર્તિના સ્ટાર મેગેઝિનમાં આવતી કવિતા વાંચતી સમજાય ન સમજાય તોય બસ વાંચ્યા કરતી હાથમાં જાગૃતિ ક્ષણની વાત કહું. હું લગભગ અગિયાર કે બાર વર્ષની હોઈશ ત્યારે લેન્ટાનાની નાની ઝાડીઓ વચ્ચે ધૂળ ભર્યો માર્ગ નદી તરફ જતો હતો ત્યાંથી સાંજના સમયે એકલી પસાર થઈ રહી હતી ત્યારે હું એક ક્ષણ ઊભી રહી. મને થયું કે હું કોણ છું? આ જગત શું છે? આવા ગંભીર સવાલો મનમાં ઉઠ્યા. મારા સ્વભાવમાં જે ગંભીરતા છે તે કદાચ તે ક્ષણથી આવેલી છે.

મને થયું આ બધું શું છે? આપણે જીવીએ છીએ તે શું છે? પછી મેં આ બધા પ્રશ્નો ર.વ.દેસાઈને લખીને મોકલેલા. તેમણે જવાબ આપ્યો કે હમણાં તમે ભણવામાં ધ્યાન આપો તો વધારે સારું. હવે હું બધાને એવા જવાબ આપું છું. ઘણા વિદ્યાર્થીઓના પત્રો આવી ચર્ચા લખેલા આવે છે. પરંપરાગત રૂઢિઓની વિરોધમાં જવાનો મારો સ્વભાવ છે. એક વાર એવું થયું કે ઘરમાં નોકર નહી આવેલો એટલે બાએ મને વાસણ માંજી નાખવાનું કહ્યું એટલે મેં કહ્યું મોટા ભાઈને કેમ નથી કહેતી મને જ કેમ કહે છે.  વળી, તે વખતે હરિજનોને ન અડાય એવું બધા કહેતા તેથી હું તેમને ખાસ ઘરે બોલાવીને ભણાવતી. જ્ઞાતિમાં હું માનતી નહીં, અને વતન જેવું પણ મને ખાસ લાગે નહીં. મને લાગે છે મારું વતન તો હજી હું શોધું છું. શોધું છું કે મારા મૂળિયા ક્યાં છે.

મારા મિત્રની કઈ જ્ઞાતિ છે કે પંથ છે તે ખબર નથી. મને એ બધી વસ્તુઓ (વાતો) માણસ માણસ વચ્ચે ભેદભાવ વધારનારી લાગે છે. પછી કૃષ્ણમૂર્તિને વાંચ્યા. તેથી મારી લાગણીઓ કે વિચારો વધારે પુષ્ટ થયાં. તેથી જ મારા લેખોમાં પણ વારંવાર લખું છું,  અને મારો આગ્રહ પણ રહ્યો છે કે માણસે પોતાની અટક કાઢી નાખવી જોઈએ. સાત પગલાં આકાશમાં પણ મેં ઘણી નવી વાતો કરી છે જે પરંપરાની વિરુદ્ધ  છે. હું જ્યારે સાત પગલા આકાશમાં લગતી હતી ત્યારે કાંતાબહેનને કહેતી (કાન્તાબહેન નંદિગ્રામની શરૂઆત થઈ ત્યારના પ્રથમ રહેવાશીઓમાંના એક હતા. તેમનો સ્વર્ગવાસ થઈ ગયો છે.  તેમને મળવાનો લાભ મને મળ્યો હતો )  જો આ વાર્તા લોકો ધ્યાનથી વાંચશે તો ખળભળાટ મચી  જશે અને એવું જ થયું . સ્ત્રીઓ પ્રત્યે અન્યાય તો મેં મારા ઘરમાં અને આજુબાજુ બધે જોયો છે, અને એટલે કદાચ એની અસર મારી વાર્તાઓ ઉપર છે.

મારા પિતા ડોક્ટર અને મારી મા ચાર ચોપડી ભણેલી તેથી મારા પિતા વારંવાર મારી માને કહેતા તને કંઈ ખબર ન પડે, અને મા હંમેશા દબાયેલાં રહેતાં. કુટુંબના આંબામાં પણ માનું  નામ ન હોય. લોકો એમ પૂછે છે કે પુરુષો સ્ત્રીઓ ઉપર શું અત્યાચાર કરે છે?  હું તો જવાબ આપું કે સૂક્ષ્મ રીતે તેઓ સ્ત્રીના અસ્તિત્વને નામશેષ કરે છે. સર્જકો પણ તેમાં સહભાગી બને છે. બીજું સ્ત્રીઓનું એટલું બ્રેઇનવોશિંગ થાય છે કે તેમને એટલો અહેસાસ પણ ન થાય.  એવું પણ બને કે કદાચ તેમને ગૌરવ પણ લાગે છે. કોલેજનું શિક્ષણ મેં ભાવનગર તથા વડોદરામાં લીધું. સાથે સાથે સ્વાતંત્ર્ય લડતમાં સક્રિય રહી. એકાદ-બે દિવસ જેલમાં પણ રહી આવી હતી. તે વખતે માનસિક તૈયારી સ્વરાજની લડતમાં સક્રિય ભાગ લેવાની હતી. ભવિષ્ય નક્કી હતું. મને સમાજવાદ ગમે. માણસે પોતાની મૂળ પ્રકૃતિના હિસાબે તેને અનુરૂપ અનેક વિકલ્પોમાંથી એક વિકલ્પ શોધી લેવો જોઈએ. આઝાદી પછી જીવનને નવેસરથી શરૂ કરવાનો વિચાર આવ્યો. હું મુંબઈ આવી. મારી પ્રેમના આંસુને વિશ્વ વાર્તા સ્પર્ધામાં બીજું ઈનામ મળ્યું.  તેનાથી મેં સાહિત્યમાં પ્રવેશ કર્યો. કૃષ્ણમૂર્તિની અસર મારા ઉપર પડી. તેમને પ્રથમવાર સાંભળ્યા પછી કહી શકું કે હું એમને પામી છું.  ધીમે ધીમે લખાતું ગયું. પછી મેં યાત્રિક નામનું મેગેઝિન શરૂ કર્યું. અને પછી નવનીત ડાયજેસ્ટનું સંપાદન કર્યું.

મારી સૌ પહેલી વાર્તા તો મેં લગભગ 1955માં લખી. જેમાં પુરુષના પ્રભુત્વ અંગે વધુ ભાર હતો .જેમાં પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે પણ તેને સ્વતંત્ર નિર્ણય નથી લેવા દેતો. છેવટે પત્ની પતિને છોડીને ચાલી જાય છે. ઈબ્સનની ડોલ હાઉસની મારા પર ઘણી અસર છે. જેમાં સ્ત્રી પોતાની અસ્મિતા ખાતર પતિને છોડી જાય છે પછી તો ઘણું લખ્યું. ન્યાય નામની વાર્તા અને ચળકાટ વગેરે એ બધી વિદ્રોહની વાર્તાઓ છે. મારી ઘણી વાર્તાઓમાં ઘર છોડી જવાની વાત આવે છે. તે અસર ડોલ હાઉસની છે. કદાચ એમ પણ હોય કે પૂર્વજન્મમાં હું કદાચ ઘર છોડીને ગઈ હોઈશ. બે-ત્રણ લાગણીઓ છે. હું પૂર્વજન્મમાં કદાચ એકલી પણ હોઈશ કારણકે મારા કુટુંબભાવ જરા પણ નથી. લગ્ન પહેલા પણ નહીં, લગ્ન પછી પણ નહીં. સંસાર વ્યવહાર જેવો સ્વભાવ મારામાં નથી. અથવા તો કદાચ હું પૂર્વ જન્મમાં સાધ્વી પણ હોઉં. હું  ખૂબ જ એકાં પ્રિય છું. મારો મુખ્ય રસ કોઈ વ્યક્તિની સાથે જીવનના પડ ઉકેલવાનો. વ્યક્તિગત જીવન વિષે નહીં, મનના સ્વરૂપ વિશે, જીવન ના સ્વરૂપ વિશે. તેથી ખાલી ગપ્પા મારવા મારા સ્વભાવમાં જ નથી.

મારું એક લક્ષણ તમને કહ્યુંને કે, એકાંત અને ફિલોસોફી. તેથી આજુબાજુ નિર્માણ થતી પરિસ્થિતિની વાત મારી વાર્તા  અગનપિપાસામાં  છે. મને નામ પ્રતિષ્ઠા એવાં કશાનો મોહ નથી. તેથી મને જ્યારે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો કે પ્રેમના આંસુને પુરસ્કાર મળ્યો ત્યારે પણ મને અંદરખાને કશો પણ તરખાટ નહોતો થયો. ઠીક છે, સ્વાભાવિક છે, મળે! એટલે મારી વાર્તાઓમાં એ પ્રકારનો ધ્વનિ જોવા મળે છે. અગનપિપાસામાં એ વાત છે. કલાકારને  પ્રતિષ્ઠા ન મળે . માન ન મળે . છતાં પણ જીવનમાં પરિપૂર્ણતા છે. એજ મારું દ્રષ્ટિબિંદુ છે. સાત પગલા આકાશમાં તો મારે વાત કેવી હતી સ્ત્રીઓની વેદનાની, તેમના પરના અત્યાચારની. ને છતાં તેમાં પણ આંતરિક શોધની વાત આવે છે. જેમકે વાર્તા ચમકારમાં સફળતાને માનવને નીચે લઇ જતી બાબત ગણાવી છે.”

કુન્દનિકા બહેન મકરન્દ દવે સાથેના લગ્નના સંભારણા યાદ કરતાં કહે છે કે,  “અમારાં લગ્ન સામાન્ય રીતે જેમ થાય છે તેમ નહોતાં થયાં. બે વ્યક્તિઓ મળે ,સમજેને પ્રેમ થાય એમ નહીં. પહેલ મકરંદે કરેલી. તેમણે મને કાગળ લખ્યો. પણ નાનપણથી જ મારી લગ્ન કરવાની ઇચ્છા નહોતી. જે સામાજિક સંસ્કારો અને પુરુષોનાં સ્ત્રી પ્રત્યેના વલણો જોયાં હતાં. તેને લીધે ઇચ્છા જ નહોતી. મેં લગ્ન કરતા પહેલા ખૂબ મંથન કરીને લગ્ન કર્યાં. મેં ઘણા મોડાં લગ્ન કર્યાં. મેં લગ્ન કર્યા ત્યારે મારા બાપુજીને એમ કે આનું શું થશે? પણ તેઓ જ્યારે મકરંદને મળ્યાં ત્યારે ખૂબ ખુશ થયા. મકરંદ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે. કેમ કે તેઓ જે દેખાય છે તેવા એ નથી. એમ કહીને પોતાના માણસનાં વખાણ કરવાનું મારા સ્વભાવમાં નથી. (આમ કહેતાં કુન્દનિકા બહેન જાણે ક્યાંક ખોવાઈ ગયાં. પછી તેમણે બહુ ઊલટથી તેમના લગ્નજીવનની મધુર ક્ષણો વિષે કહ્યું.)

કુન્દનિકા બહેન : “મારા જીવનમાં એમના આવ્યા પહેલા ઈશ્વરનો પ્રવેશ નહોતો. કૃષ્ણમૂર્તિ કે બુદ્ધ ની વાતમાં ક્યાંય ઇશ્વરની વાત આવે નહીં . એટલે એમના થકી ઈશ્વરે મારા જીવનમાં પ્રવેશ કર્યો એ ખૂબ જ મોટી વાત છે અને સ્મરણો તો એટલા બધા છે કે એમની એક નાના છોકરા જેવી વાત છે એક વખત હું જ્યારે નવનીતમાં કામ કરતી હતી ત્યારે અમે ફરવા જવાનું નક્કી કર્યું અને બસ સ્ટોપ પર મળ્યા બસમાં બેઠા પછી કહ્યું કે હું તારા માટે ભેટ લાવ્યો છું કહીને હાથમાં મૂકીને ડબ્બી ખોલી તેમાં એક પડીકું હતું મે પડીકું ખોલ્યું તો વળી એક બીજું પડ્યું એમ સાતથી આઠ પડીકા ખુલ્યા પછી મને એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું આઇ લવ યુ મારી સામે બેઠેલા ભાઈ તો જોયા જ કરે કે આ બેન કે ના પડીકા ખોલી રાખે છે આવા તો અનેક પ્રસંગો છે જ્યારે પણ બહારગામ જાણો ત્યારે મકરંદ પ્રેમના ગીત કે પ્રેમનું વાક્ય લખીને મારા પર્સમાં મુકી દેતા હું પણ તેમની જમવાની થાળીની છે કે સાબુની ગોટી બાથરૂમમાં મૂકતી વખતે કંઈને કંઈ લખીને મુક તે આજે પણ મૂકો છો તેઓ કદી ગોંડલ જાય ત્યારે મને રોજ રોજ જુદે જુદે કારણેથી પ્રેમની ચિઠ્ઠીઓ મળે ડબ્બામાંથી બાથરૂમમાંથી ઓશિકા નીચેથી આવી ઘણી સિદ્ધિઓનો સંગ્રહ મારી પાસે છે એક પ્રસંગ કહું તેમની તબિયતને કારણે તેમને માટે પ્રવાસ કરવો ખૂબ અઘરો છે તેથી તેઓ પ્રવાસ નથી કરતા એટલે હું એકલી ઇગતપુરી વિપસ્યના શિબિરમાં ગઈ હતી ત્યાં દિવસના મૌન એકાંત પછી નવમા દિવસે જ્યારે હું બહાર આવે ત્યારે મને કોઈ આવીને કહ્યું કે મકરંદભાઇ મળવા બોલાવે છે પહેલા તો હું માની જ ન શકે પછી જ્યારે તેમને ત્યાં જોયા ત્યારે સુખદ આશ્ચર્ય પામી મને મળવા માટે તેઓ ખાસ આવ્યા હતા મારે માટે તો એ ખૂબ અદ્ભુત વાત હતી.”

 

(નોંધઃ લેખિકા દિવ્યાશા દોશી જાણિતા પત્રકાર છે, છેલ્લા 28 વર્ષોથી પત્રકારત્વના દરેક માધ્યમમાં રિપોર્ટિંગ, મેગેઝીનના સંપાદક તેમજ કોલમ લેખક તરીકે કામ કરે છે અને કુંદનિકા બેન સાથે ત્રણ દાયકાથી વધુનો અંગત પરિચય ધરાવે છે)

સૌજન્ય: દિવ્ય ભાસ્કર

કોરોના અને શાયર મરીઝ

કોરોના અને શાયર મરીઝ

ગુજરાતના ગાલીબ એવા સિદ્ધહસ્ત શાયર જનાબ મરીઝ સાહેબનો ગઝલ સંગ્રહ “સમગ્ર મરીઝ”આજે વાંચતો હતો.
આ શાયરના વર્ષો પહેલાં લખાયેલા શેર આજે પણ Covid-19 અને હાલની હાલાત પર કઈ રીતે લાગુ કરી શકાય એ બાબતે વિચાર સ્ફૂર્યા..
એ વિચાર મરીઝ સાહેબના શેર સાથે પ્રસ્તુત છે.

કોરાનાના વૈશ્વિક કહેર વિશે :
(page-282)

“કુદરતની છે વહેંચણી ને વિશ્વભરમાં છે ,
તું એ ન જો કે કોણ અહીં કોના ઘરમાં છે.
➖➖➖➖➖➖➖

લોકડાઉન :
(page:271)

કોઈ ન આવી શકે છે, ન જઈ શકું છું “મરીઝ”,
મકાન આખું સલામત છે, દ્વાર સળગે છે.
➖➖➖➖➖➖➖➖

આલ્કોહોલ યુક્ત સેનીટાયઝર ની જે માંગ વધી છે તે બાબતે:
(page:258)

કળિયુગમાં પણ મદિરાની ઈજ્જત કરો “મરીઝ”,
આ સત્યુગની શોધની એક જ નિશાની છે.
➖➖➖➖➖➖➖➖

દુકાનો, જાહેર જગ્યાઓ પર કુંડાળાં કરી તેમાં ઊભા રહેવાની ઘટના પર:
(page:243)

વર્તુળ આદમીનું છું – વલ્લાહ એક સ્વર્ગ છે,
એનાથી બહાર આટલો સુંદર વિલાસ ક્યાં હશે.
➖➖➖➖➖➖➖➖
whatsapp, insta, facebook પર ઔપચારિક time pass પર:
(page:245)

અંગત જીવનની પૂછપરછની બલા ટળી,
વાતો હવે કરું છું ફ્ક્ત પારકાની સાથ
➖➖➖➖➖➖➖➖

ઘરની લક્ષ્મણ રેખા પાર કરશો તો શું થશે? અને વર્તુળમાં રહેવાનો ફાયદો શું છે?
(page:241)

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું.
➖➖➖➖➖➖➖➖

આ સમય એવો છે કે કોઈ નાસ્તિકને પણ જરૂર પૂરતી ઈશ્વરની જરૂર જણાય:
(page : ૨૨૮)

આવી દુર્ગતિ માં કોઈ હોય તો સંગત માટે,
એક ઈશ્વરની જરૂરત છે, જરૂરત માટે.
➖➖➖➖➖➖➖➖

કોરોનાની દવા શોધવાના નિષ્ફળ પ્રયાસો માટે:
(page:236)

કોઈ નથી ઈલાજ મને પણ ખબર હતી,
રહે દર્દ યાદ તેથી દવા શોધતો રહ્યો.
➖➖➖➖➖➖➖➖

નિઝામુદ્દીન માં મળેલા લોકો જે સામે નથી આવતા એના માટે:

દુનિયાની સજા ભોગવી ઊંઘો ન નિરાંતે,
બાકી છે હજી એક કયામતની સજા ઔર.
➖➖➖➖➖➖➖➖
શહેરોમાંથી ગામડાં તરફ ભાગવા મજબૂર થયેલા લોકો વિશે :(page :273)

જગત વિશાળ છે તારું- પરંતુ આવું વિશાળ?
જરૂર જોગ બધાને જગા નથી મળતી.
➖➖➖➖➖➖➖➖

પોલિસ ના દંડા, કપાળે ચાંદલો, ચોખા, અને હું સમાજનો દુશ્મન છુનું સર્ટિફિકેટ મળ્યા પછીની વિનંતી:
(page 277)

મને આ મારી બદનામીની નથી પરવા,
ફકત તમારા તરફથી કશી તપાસ ન હો.
➖➖➖➖➖➖➖➖
લોક ડાઉન ના સમયનો સદ ઉપયોગ કેવી રીતે કરવો??
(page :231)

કોઈ કલા સ્વરૂપે જગત થી જુદા બનો,
નકશો બનો, કવિતા બનો, વારતા બનો.
દુનિયાના બંધનોથી જો હો છૂટવું “મરીઝ”
બસ આજથી તમે જ તમારા ખુદા બનો.
➖➖➖➖➖➖➖➖

આરોગ્ય અને પોલિસ કર્મીઓએ હું પણ સંક્રમિત થઈશ એવો બૌદ્ધિક ડર રાખ્યા વિના લાગણી અને ખંત થી જે કામ કર્યું છે તે
(page: 241)

મારા પ્રયાસ અંગે ન આપો સમાજ મને,
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.
➖➖➖➖➖➖➖➖

ડ્રોન સર્વેલંસ :
(page:224)

ઉપરથી જો જુઓ તો છે રઝળપાટ,
નહિતર છે બધા ખુદની જગા પર.
➖➖➖➖➖➖➖
કારણ વગર રસ્તા પર રખડતા લાપરવાહો માટે:
(page 248)

હળવો બની ફરું છું- બહુ બેશરમ છું હું,
ફેંકી દઈ ને કેટલા પ્રેમાળ ભારને.
➖➖➖➖➖➖➖
આપણે અત્યારે એટલું જ કરવાનું છે:
(page:284)

ફક્ત ઘરના ખૂણા સંભાળું તો બસ,
જગત આખું મારી અમાનત નથી.
➖➖➖➖➖➖➖➖
કોરોનાની દવા મળે એવી પ્રાર્થના:
(page:15)

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
➖➖➖➖➖➖➖➖
મહામારી, તેનાથી થતી હાલત અને મહામારીનું ભવિષ્ય:
(page:45)

દર્દ એવું કે કોઈ ન જાણે,
હાલ એવા કે જે બધા જાણે.
શું થયું તેય ક્યાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.
➖➖➖➖➖➖➖➖
રખડુ, careless આત્મઘાતી લોકોની સ્વગતોકિત :
(page:285)

આખી દુનિયાને લઈને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.
➖➖➖➖➖➖➖➖
લોક ડાઉન ના લીધે નવરા બેઠેલા કામના લોકો :
(page:23)

તમે ન કામમાં આવો તો કામમાંથી જઈશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.
➖➖➖➖➖➖➖➖
મદદના બહાને ફોટા પડાવતા લોકોને :
(page:23)

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.
➖➖➖➖➖➖➖➖
ચીનનું કથિત કાવતરું :

સહેલાઈ થી જે પ્રશ્નોને સર્જી રહ્યો છે તું,
સહેલાઈ થી એ પ્રશ્નો પતાવી નહિ શકે.
➖➖➖➖➖➖➖➖
ગરીબોની લારીઓ ઉંધી વાળનારને :
(page:74)

હો જેમાં તમામ લાચારી,
એ ગુનાહો જતા કરે કોઈ.
➖➖➖➖➖➖➖➖

ધારા _144 અને social distancing
(page:37)

બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે મરીઝ,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
➖➖➖➖➖➖➖➖

જેની પાસે ઓછું છે છતાં દાન કરી રહ્યા છે તેવા દાતાઓને :
(page:267)

એવા કોઈ દિલેરની સંગત મળે તો વાહ,
જે પોતે દીન હોવા છતાં પણ દયાળ છે.
➖➖➖➖➖➖➖➖

મોદી સાહેબે ભરેલ પગલાં પર ભરોસો :
(page:76)

કોઈ આ ભેદ ના કહેજો, ખુદા ખાતર સમંદરને,
ખુદા કરતાં વધુ વિશ્વાસ મુજને નાખુદાનો છે.

*નાખુદા=નાવિક
➖➖➖➖➖➖➖➖
15એપ્રિલની રાહ જોનારા લોકો માટે :(page:279)

હો મંઝિલ ની ઝંખના તો કહેતા રહો,
હવે એક કદમ છે, બસ એક જ કદમ.
➖➖➖➖➖➖➖➖
અમથું ય એક દિવસ જવાનું તો છે જ so be brave and take care
(page270)

અમથું જગત છે એમાં અમથું જીવન જીવીએ,
એમ જ મરીઝ એક દિન અમથું મરી જવાના.
➖➖➖➖➖➖➖➖
બાકી ડરવાની જરૂર નથી, કોરોનાના નકારત્મક વિચારો મનમાંથી કાઢી નાખો :
(page :70)

એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં,
દુઃખમાં હૃદય ને રાખો,
રાખો ન દુઃખ હૃદયમાં.
➖➖➖➖➖➖➖➖

સંકલન : – નિખિલ જાદવ

કોરોનાની પર્યાવરણ પર હકારાત્મક અસર !

કોરોનાની પર્યાવરણ પર હકારાત્મક અસર !

કોઈ મહાન ચિંતક કમ વિજ્ઞાનીનું બુલેટ જેવું વાક્ય છે કે, જો બધી વનસ્પતિસૃષ્ટિ પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જાય તો માનવજાત છ મહિનામાં ખતમ થઈ જાય. પણ જો માનવજાત છ મહિના અદ્રશ્ય થઈ જાય તો પૃથ્વી પરની તમામ જીવસૃષ્ટિ ખીલી ઉઠે. માણસોનો ઉપદ્રવ આ પૃથ્વી ઉપર સૌથી વધુ છે એ સત્ય કોરોના વાઇરસના રોગચાળાએ સાબિત કરી બતાવ્યું.

દરેક ખંડના અડધાથી વધુ દેશો લોકડાઉનની સ્થિતિમાં છે. માનવજાતે મને કમને પોતાની પ્રવૃત્તિઓની તીવ્રતા શિથિલ કરી નાખવી પડી છે. માણસોની અવરજવર સુષુપ્તાવસ્થામાં છે. આખી પૃથ્વીનો જો અવાજ હોય તો અત્યારે તે સૌથી ધીમા વોલ્યુમમાં છે અને આવું વીસમી સદીમાં પણ એકેય વખત થયું ન હતું. રસ્તા ઉપર કાળા માથાના પ્રાણીઓ સૌથી ઓછા દેખાય છે માટે કુદરતને ફરી એક વખત ખીલવાનો મોકો મળ્યો છે.

ઇટાલીની સ્થિતિ જગજાહેર છે. કોરોનાના રોગચાળાનું એપિસેન્ટર વુહાનને બદલે ઇટાલીમાં શિફ્ટ થઈ ગયું છે અને હજારો લોકો હોસ્પિટલના બિછાને અવસાન પામ્યા છે. ઇટાલીના એક પણ ઘરનો દરવાજો ખુલ્લો નથી. ઈટાલીનું વિશ્વવિખ્યાત શહેર વેનિસ પાણીમાં છે.

એ શહેરના એક સ્થળેથી બીજે જવા માટે બોટનો ઉપયોગ થાય છે. છેલ્લા પંદર દિવસથી ત્યાં વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સિત્તેર વર્ષ પછી પહેલી વખત વેનિસના પાણીમાં ડોલ્ફિન માછલીઓએ દર્શન આપ્યા. માનવસર્જિત યાંત્રિક ઘોંઘાટ અને પ્રવાસીઓને કારણે સતત થઈ રહેલા પ્રદૂષણને કારણે એ વિસ્તારમાં માણસો સિવાય બીજો એક પણ જીવ એની મરજીથી રહેતો નહીં. હવે પાણીમાં માછલીઓ દેખાય છે. ફક્ત બે અઠવાડિયાની અંદર ઇટાલીની કુદરત સોળમાંથી કમ સે કમ દસ કળાએ તો ખીલી ઉઠી છે. અને એ પણ આટલા ટૂંકા ગાળામાં !

સિંગાપોર પ્રવાસી ઉપર નભતો દેશ છે. તે દેશના વડાએ તો અઠવાડિયા પહેલા ટીવી ઉપર આવીને પ્રજાજોગ ઉદબોધન કર્યું હતું અને કાયદેસરના પગલાં લઈને કોરોના વાયરસને દેશમાં આવતો અટકાવ્યો હતો. આજે સિંગાપોરના તમામ પ્રવાસન સ્થળો બંધ છે. સિંગાપોરની સડકો પર બતક અને બીજા પ્રાણીઓ નિર્ભિક રીતે ફરી રહ્યા છે. દુબઇ અને આરબ દેશો પણ કોરોનાથી ભયભીત છે. ત્યાં પણ પ્રવાસીઓનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને હવે તો વિદેશીઓના આગમન પર પ્રતિબંધ આવી ગયો છે.

સંયુક્ત આરબ અમીરાતના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આરબ દેશોનું સરેરાશ તાપમાન પણ નીચું ગયુ છે. એરોપ્લેન અને બીજા વાહનોનું પ્રદુષણ ઓછું થયું માટે હવા ઠંડી થઈ અને શુદ્ધ પણ થઈ. ઇઝરાયેલના તેલ અવિવ શહેરમાં પહેલી વખત ઇજિપશ્યન ગીધ દેખાયા. બાકી ઇઝરાયેલનું આકાશ મહદઅંશે ખાલી રહેતું હોય છે પણ હવે તે પક્ષીઓના કલબલાટથી ગુંજવા લાગ્યું છે.

અમેરિકા આખું શટડાઉન સ્થિતિમાં છે. બધા પ્રાણીબાગ બંધ કરવામાં આવ્યા છે. શિકાગોનું વિખ્યાત માછલીઘર બંધ કરવામાં આવ્યું છે. પણ એમાં રહેતા પેંગ્વીનને એકવેરિયમમાં લટાર મારવાની છૂટ છે. પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ પણ ગેલમાં આવી ગયા છે. તેમને એક ચોક્કસ અને ફરજિયાત રૂટીન અનુસરવામાંથી મુક્તિ મળી છે. પિંજરામાં રહીને પણ મનુષ્યની ગેરહાજરીના કારણે તેઓ જાણે સ્વતંત્રતાના રમ્ય દિવસો પસાર કરી રહ્યા છે.

ચાઇનાના પાંડાની પણ આ જ સ્થિતિ છે. તેઓને કોરોનાને કારણે લાંબુ વેકેશન મળી ગયું છે અને વાંસના વૃક્ષો વચ્ચે ઝૂલવા મળે છે. જે જે દેશમાં કોરોનાની અસર થઈ છે તે બધા જ દેશોની મનુષ્યતેર જીવસૃષ્ટિ આનંદમાં છે. માનવજાતે પ્રાણીઓના તે આનંદમાંથી શરમ અનુભવવાની જરૂર છે.

કુદરત સાથેનું સહજીવન મનુષ્યની ફરજનું પ્રાથમિક ચરણ હોવું જોઈએ. આ બહુરત્ના વસુંધરામાં માણસો સિવાય બીજા અનેક જીવો વસે છે. જેને આપણે શાંતિથી જીવવા નથી દેતા. વાહનોનો અવરજવર ઘટવાના કારણે વાતાવરણમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટયું છે.

જે વનરાજી માટે આશીર્વાદરુપ છે અને હરિયાળી ઉપર નભતા અનેક કીટકો અને પ્રાણીઓ માટે તે ફાયદારૂપ છે. જીવસૃષ્ટિનો આખો પિરામિડ કીટકોથી શરૂ થતો હોય છે. અશુદ્ધ હવા, પાણી અને જમીન બધાને નુકસાન કરતા હોય છે. કુદરતને સાચવતા આપણને આવડતું નથી માટે તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોના આપણા માટે અભિશાપ જેવો હશે પણ વન્યસૃષ્ટિ માટે વરદાનરૂપ સાબિત થયો છે. આ સત્ય છે.

રોગપ્રતિકારક શક્તિ: કોરોનાના વાઇરસને નાથવાનું બહ્માસ્ત્ર

રોગપ્રતિકારક શક્તિ: કોરોનાના વાઇરસને નાથવાનું બહ્માસ્ત્ર

માયાવી વાઈરસનું મારણ શરીરમાં જ રહેલું છે? ભારતીય આયુર્વેદ રોગ થાય એ પહેલા જ અટકાવવાનો રસ્તો બતાવે છે

કોરોનાવાઇરસની રસી હજી શોધાઈ નથી-અને તે કાર્યમાં અનેક પડકારો જોતાં ક્યારે શોધાય એ કહી શકાય નહિ. આ અંધકારમય સ્થિતિમાં કોરોના સામે શરીરના રોગપ્રતિકારક તંત્રએ લડત આપ્યાના અને વિજય મેળવ્યાના કેસમાં તબીબોને આશાનું કિરણ દેખાય છે.

પૃથ્વી પર દરેક પદાર્થ સજીવ અને નિર્જીવ એમ બે કેટેગરીમાં વર્ગીકૃત પામેલો છે. બાયાલાજિકલ એટલે કે જૈવિક ક્રિયાઓ જેમાં થતી હોય તે પ્રત્યેક કુદરતી પદાર્થ સજીવ વર્ગમાં આવે, જ્યારે જૈવિક સંચાર જેનામાં નથી તે નિર્જીવ કહેવાય.


કુદરતના તમામ પદાર્થોનું બે વર્ગમાં આસાનીથી વર્ગીકરણ કરી શકાય, પરંતુ વાઇરસ અર્થાત વિષાણુ તેમાં અપવાદ છે. માંડ પચાસેક નેનોમીટરનું (૦.૦૦૦૦૦૦૦૨ મિલિમીટરનું) કદ ધરાવતો, માટે નરી આંખે ન દેખાતો વિષાણુ સજીવ નથી તેમ નિર્જીવ પણ નથી. વિજ્ઞાનીઓએ તેને u Living Dead/ ‘જિન્દા મુર્દા’ એવી ત્રીજી કેટેગરીમાં મૂક્યો છે. કુદરતમાં વિષાણુ જેટલી અટપટી રચનાવાળી નિર્જીવ વસ્તુ એકેય નથી અને તેના જેટલી સીધીસાદી રચનાવાળો સજીવ પણ કોઈ નથી. સીધીસાદી એટલા માટે કે વિષાણુને મગજ નથી, જ્ઞાાનતંત્ર નથી અને જ્ઞાાનતંત્રના અભાવે જ્ઞાાનતંતુઓની પણ શી જરૂર? હૃદય, પાચનતંત્ર અને શ્વસનતંત્ર જેવાં એકેય બાયાલાજિકલ ‘પૂરજા’ કુદરતે વિષાણુમાં ફિટ કર્યા નથી. રક્ત પણ નહિ. 


આમાંનું કશું જેને ન હોય તે સજીવ કહેવાય? બિલકુલ નહિ. છતાં વાઇરસને સજીવની કેટેગરીમાં એટલા માટે મૂકી શકાય કે તેની પાસે જિનેટિક બ્લૂપ્રિન્ટ છે, જે નિર્જીવ પદાર્થમાં હોતી નથી. બીજી તરફ જૈવિક વ્યાખ્યા મુજબ દરેક સજીવમાં ચયાપચયની ક્રિયા થવી જોઈએ, જે વાઇરસમાં થતી નથી. આથી તેને નિર્જીવ પણ ગણી શકાય છે. 

પૃથ્વી પર દરેક પદાર્થ સજીવ અને નિર્જીવ એમ બે કેટેગરીમાં વર્ગીકૃત પામેલો છે. બાયાલાજિકલ એટલે કે જૈવિક ક્રિયાઓ જેમાં થતી હોય તે પ્રત્યેક કુદરતી પદાર્થ સજીવ વર્ગમાં આવે, જ્યારે જૈવિક સંચાર જેનામાં નથી તે નિર્જીવ કહેવાય.


કુદરતના તમામ પદાર્થોનું બે વર્ગમાં આસાનીથી વર્ગીકરણ કરી શકાય, પરંતુ વાઇરસ અર્થાત વિષાણુ તેમાં અપવાદ છે. માંડ પચાસેક નેનોમીટરનું (૦.૦૦૦૦૦૦૦૨ મિલિમીટરનું) કદ ધરાવતો, માટે નરી આંખે ન દેખાતો વિષાણુ સજીવ નથી તેમ નિર્જીવ પણ નથી. વિજ્ઞાનીઓએ તેને Living Dead/ ‘જિન્દા મુર્દા’ એવી ત્રીજી કેટેગરીમાં મૂક્યો છે. કુદરતમાં વિષાણુ જેટલી અટપટી રચનાવાળી નિર્જીવ વસ્તુ એકેય નથી અને તેના જેટલી સીધીસાદી રચનાવાળો સજીવ પણ કોઈ નથી. સીધીસાદી એટલા માટે કે વિષાણુને મગજ નથી, જ્ઞાનતંત્ર નથી અને જ્ઞાનતંત્રના અભાવે જ્ઞાનતંતુઓની પણ શી જરૂર? હૃદય, પાચનતંત્ર અને શ્વસનતંત્ર જેવાં એકેય બાયોલોજિકલ ‘પૂરજા’ કુદરતે વિષાણુમાં ફિટ કર્યા નથી. રક્ત પણ નહિ.
 

આમાંનું કશું જેને ન હોય તે સજીવ કહેવાય? બિલકુલ નહિ. છતાં વાઇરસને સજીવની કેટેગરીમાં એટલા માટે મૂકી શકાય કે તેની પાસે જિનેટિક બ્લૂપ્રિન્ટ છે, જે નિર્જીવ પદાર્થમાં હોતી નથી. બીજી તરફ જૈવિક વ્યાખ્યા મુજબ દરેક સજીવમાં ચયાપચયની ક્રિયા થવી જોઈએ, જે વાઇરસમાં થતી નથી. આથી તેને નિર્જીવ પણ ગણી શકાય છે.

આમ થાય છે વાઇરસનો હુમલો

નહિ સજીવ કે નહિ નિર્જીવ એવો ‘જિન્દા મુર્દા’ વાઇરસ ફક્ત બે મટીરિઅલનો બનેલો છે. (૧) RNA/રીબોન્યૂકલિક અસિડ. (૨) RNA ફરતે પ્રોટીનનું આવરણ. જેના પર રિસેપ્ટર પિન કહેવાતાં ભીંગડાં હોય છે. આ સિવાય તેને ત્રીજું ‘અંગ’ હોતું નથી.

રીબોન્યૂકલિક અસિડ એ વાસ્તવમાં સ્પ્રિંગના આકારવાળી જિનેટિક બ્લૂ પ્રિન્ટ છે, જેની અંદર કુદરતે ‘કોપી-પેસ્ટ’ એવા મતલબનો કમાન્ડ ધરાવતો જૈવિક પ્રોગ્રામ લખ્યો છે. આ પ્રોગ્રામનું કાર્ય માણસના શારીરિક કોષમાં દાખલ થયા બાદ વિષાણુની ઝડપભેર અને સંખ્યાબંધ નકલો બનાવવાનું છે. SARS-CoV-2 કોરોનાવાઇરસના કેસમાં બન્યું તેમ ખાંસી/છીંક દ્વારા બહાર નીકળેલા લાળબિંદુ મારફત ચેપ લાગ્યા પછી શરીરમાં પ્રવેશેલો વિષાણુ એકાદ કોષને પોતાનો યજમાન બનાવે છે અને પ્રોટીનરૂપી બાહ્યાવરણ પરની રિસેપ્ટર પિનને કોષના સોકેટમાં ભરાવે છે. મોબાઇલના ચાર્જરનો પ્લગ સ્વીચ-બોર્ડના સોકેટમાં ભરાવ્યા બાદ જ કરન્ટનું વહન થાય એ રીતે વાઇરસની રિસેપ્ટર પિન શરીરના કોષ જોડે ગઠબંધન રચે ત્યાર પછી જ તેનું કોષ જોડે કનેક્શન સ્થપાય છે.

એક વાર આવું જોડાણ સ્થપાય, એટલે વાઇરસ કોષની અંદર પોતાનો RNA દાખલ કરી દે છે. હવે ઇશછમાં રહેલો ‘Copy-Paste’નો જૈવિક પ્રોગ્રામ હરકતમાં આવે છે. કોષને તે નવો વિષાણુ બનાવી આપવાનો કમાન્ડ આપે છે, જેનું કોષે પાલન કરવું રહ્યું અને પોતાનું જૈવિક મટીરિઅલ વાપરીને નવા વિષાણુઓ તૈયાર કરી આપવા રહ્યા. આ પ્રક્રિયામાં છેવટે તો સાજાસમા કોષની જાત ઘસાય છે અને ટૂંક સમય બાદ તે મરી પરવારે છે. બીજી તરફ  ‘Copy-Paste’ના પેલા પ્રોગ્રામના નતીજારૂપે નવા જન્મેલા વિષાણુઓ મૃત કોષની દીવાલ તોડીને બહાર નીકળી આવી બીજા યજમાન કોષો પર ધાબો બોલાવે છે. ઉપર લખી તે પ્રક્રિયાનું પછી તો પુનરાવર્તન શરૂ! આમને આમ શરીરના દુરસ્ત કોષો સતત ચેપગ્રસ્ત બનતા જાય છે, વિષાણુઓની નકલો પેદા કરતા જાય છે અને મરતા જાય છે.

આમ થાય છે હુમલાનો પ્રતિકાર


પરંતુ શરીરના કોષો પર વિષાણુઓ હુમલો કરે એ વખતે શરીરતંત્ર નિષ્ક્રિય રહે એવું થોડી બને? પ્રતિકાર માટેનું અમોઘ શસ્ત્ર તો શરીરની અંદર જ છેઃ એન્ટિબોડીઝ એટલે કે પ્રતિદ્રવ્યો. વાઇરસના આક્રમણ સામે લડવા માટે શરીરનું immune system/રોગપ્રતિકારક તંત્ર તરત પ્રતિદ્રવ્યો પેદા કરવા માંડે છે. શરીરના કોષને સોકેટ હોય તેમ પ્રતિદ્રવ્યો પણ સોકેટ ધરાવે છે. આ સોકેટમાં વાઇરસની રિસેપ્ટર પિન ઘૂસી જાય અર્થાત ભરાય, એટલે પછી શારીરિક કોષમાં પિન ખોસવાનો તેના માટે ચાન્સ રહેતો નથી. જુદી રીતે કહો તો વાઇરસના ફેલાવાની પ્રક્રિયા પડી ભાંગે છે. 


શરીરની અંદર ખેલાતા પ્રતિદ્રવ્યો વિરુદ્ધ વિષાણુના સાઇલન્ટ બાયાલાજિકલ યુદ્ધમાં આખરે વિજય કોનો થાય તેનો આધાર રોગપ્રતિકારક તંત્રની ક્ષમતા પર યાને કે તે કેટલા જલદી તેમજ કેટલાક પ્રમાણમાં પ્રતિદ્રવ્યો બનાવે તેના પર રહેલો છે. ધ્યાન પર લેવા જેવી વાત છે કે કોરોનાના SARS-CoV-2  વાઇરસનો ભોગ બનેલા ઘણા હતભાગીઓ મોટી વયના હતા અગર તો મધુપ્રમેહ, ઊંચું રક્તદાબ અથવા હૃદયની બીમારી ધરાવતા હતા. આવા દરદીઓનું રોગપ્રતિકારક તંત્ર જરા નબળું હોય છે-અને નબળું હોવાથી વાઇરસ સામે બરાબર લડી શકતું નથી.

દવા વિના કોરોનાનો ખાતમો

રોગપ્રતિકારક તંત્ર જ્યારે બળવત્તર હોય ત્યારે કેવો ચમત્કાર સર્જાય તેનો દાખલો થોડા દિવસ પહેલાં આસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં જોવા મળ્યો. પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિક Natureના અભ્યાસલેખમાં નોંધાયેલો કિસ્સો કંઈક આમ છેઃ


કોરોનાના SARS-CoV-2 વાઇરસનો ઉદ્ભવ જ્યાં થયો તે ચીનના વુહાનમાં રહેતી ૪૭ વર્ષીય મહિલા માર્ચ, ૨૦૨૦ના આરંભે વિમાનમાર્ગે આસ્ટ્રેલિયાના મેલબોર્ન માટે નીકળી ત્યારે તે જાણતી ન હતી કે તેના શરીરમાં કોરોનાવાઇરસની ઘૂસણખોરી થઈ ચૂકી છે. મેલબોર્ન પહોંચ્યાના થોડા દિવસમાં વાઇરસે પોતાની અસર દેખાડતાં મહિલાને ઇમર્જન્સી તબીબી સારવાર કેંદ્રમાં ખસેડવામાં આવી. પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે તેનાં ફેફસાંને સોજો ચડયો છે. કેસ COVID-19 બીમારીનો હતો, જેનું ઓસડ તબીબો પાસે ન હતું (કોરોનાવાઇરસને તબીબોએ આપેલું લેબલ Sars-cov-2 છે, જ્યારે COVID-19 એ વાઇરસ દ્વારા થતી બીમારીનું નામ છે). આથી મહિલાને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી. ઓસ્ટ્રેલિયન ડાક્ટરોની ટીમે જોયું કે એક સપ્તાહ સુધી વાઇરસની ભાંગફોડિયા વૃત્તિને ‘સહન’ કર્યા પછી મહિલાનું રોગપ્રતિકારક તંત્ર જાણે કે લડાયક મૂડમાં આવ્યું હોય તેમ ઝઝૂમવા લાગ્યું. ધીમે ધીમે તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો. ચારેક દિવસમાં તો ફેફસાંનો સોજો લગભગ નાબૂદ થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ થયાના બીજા સપ્તાહે તો ચીની મહિલાને સો ટકા સ્વસ્થ જાહેર કરી રજા આપી દેવામાં આવી.


આ જાણીને આશ્ચર્ય થતું હોય તો એ લાગણી થોડીક સેકન્ડ્સ પૂરતી કાબૂમાં રાખો. કારણ કે વધુ આશ્ચર્યની વાત તો હવે આવે છે. વુહાનથી કોરોનાવાઇરસ સાથે આવેલી ચીની મહિલા મેલબોર્નની હાસ્પિટલમાં જેટલો સમય સારવાર હેઠળ રહી એ દરમ્યાન તેને એન્ટિ-બાયોટિક, સ્ટીરોઇડ તેમજ એન્ટિ-વાઇરલ પૈકી એકેય દવાનો જરાસરખોય ડાઝ આપવામાં આવ્યો ન હતો. સારવારના નામે ફક્ત ગ્લુકોઝના તથા સલાઇનના બાટલા ચડાવવામાં આવ્યા હતા, જેમનું કાર્ય લોહીમાં શર્કરાનું તેમજ સોડિઅમ, પોટેશિઅમ જેવા જરૂરી ક્ષારોનું લેવલ જાળવી રાખવાનું હોય છે. 


તો પછી સવાલ એ કે કોઈ પણ જાતની દવા વિના આખરે ચીની મહિલા દુરસ્ત શી રીતે બની? ઓસ્ટ્રેલિયન તબીબોના મતે મહિલાના રોગપ્રતિકારક તંત્રએ પેદા કરેલા એન્ટિબોડીઝ યાને કે પ્રતિદ્રવ્યોએ જ કોરોનાવાઇરસને નાથ્યો હતો. અગાઉ જણાવ્યું તેમ પ્રતિદ્રવ્યો તેમનું સોકેટ વાઇરસની પિનમાં ખોસી દઈ તેને નિષ્ક્રિય બનાવી દે છે. ઉપરોક્ત કિસ્સામાં એમ જ બન્યું હતું. આથી તબીબો ચીની મહિલાના બ્લડ પ્લાઝમાને ચકાસી રહ્યા છે. સંભવ છે કે તેમાં મોજૂદ પ્રતિદ્રવ્યો તેમને કોરોનોવાઇરસની રસી બનાવવાના કાર્યમાં કોઈક રીતે મદદરૂપ થાય.

વ્યાધિક્ષમત્વઃ પાણી પહેલાંની પાળ


કોરોનાવાઇરસની રસી હજી શોધાણી નથી. ક્યારે શોધાય તેનો કશો ધડો પણ નથી, કારણ કે નવા ફૂટી નીકળતા વાઇરસ માટે પ્રતિદ્રવ્યો બનાવવાનું કામ ભારે પડકારભર્યું છે. દરમ્યાન જગતભરના તબીબો કોવિડ-૧૯ના દરદીઓને એઇડ્ઝ, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લૂએન્ઝા જેવા રોગોને કાબૂમાં રાખવાની સહાયક દવાઓ વડે સારવાર આપી રહ્યા છે, જે ૧૦૦ ટકા કારગત નીવડતી નથી. 


આ સ્થિતિ વચ્ચે કોઈ પ્રકારની દવાએ નહિ, પણ શરીરના રોગપ્રતિકારક તંત્રએ કોરોનાવાઇરસ સામે ફતેહ મેળવી હોય એવો મેલબોર્નની ચીની મહિલાનો પહેલો કેસ છે. પરંતુ તેને અંતિમ યા અપવાદ ગણી લેવાની જરૂર નથી. કેસમાં કેંદ્રસ્થાને રહેલો મુદ્દો એ કે વાઇરસ જેવા ‘પરદેશી’ હુમલાખોરના આક્રમણ સામે લડી લેવાની ક્ષમતા કુદરતે દરેક મનુષ્યને રોગપ્રતિકારક તંત્રના સ્વરૂપે આપી જ છે. હા, એટલું ખરું કે વાઇરસ શરીરમાં કેટલી ખાનાખરાબી સર્જી શકે તેનો આધાર તંત્ર કેટલું સશક્ત યા અશક્ત તેના પર રહેલો છે. તંત્ર નબળું હોય તો પરિણામ શું આવે એ તો સમજી શકાય તેવી વાત છે, પરંતુ પાવરફુલ હોય ત્યારે વાઇરસની પેશકદમી થયાના થોડા જ દિવસમાં (પેલી ચીની મહિલાના કેસમાં બન્યું તેમ) પ્રતિદ્રવ્યો લડત આપવા લાગે. મુકાબલો સજ્જડ હોય તો શરીરમાં વાઇરસનો સફાયો થવો રહ્યો.

ટૂંકમાં, કુદરત જો દર થોડા સમયે એકાદ નવા વાઇરસ વડે માનવજાતનું ડેથ વારન્ટ બજાવતી હોય, તો તે વારન્ટ સામેનાં ‘જામિન’ પણ કુદરતે જ મનુષ્યના શરીરમા રોગપ્રતિકારક તંત્રના નામે આપી રાખ્યાં છે. કોરોનાવાઇરસની રસી ન શોધાય ત્યાં સુધી તે સિસ્ટમ પર ઘણે અંશે મદાર રાખવો પડે તેમ છે.


મોડર્ન મેડિકલ સાયન્સ પાસે જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ ન હોય ત્યારે આલ્ટરનેટિવ મેડિસિન તરફ વળનારા લોકોનો બહુ મોટો વર્ગ પશ્ચિમી દેશોમાં છે. કોરોનાવાઇરસે એવા વર્ગના અનેક લોકોને આયુર્વેદમાં રસ લેતા કરી દીધા છે. અમુક યા તમુક આયુર્વેદિક ઔષધી કોરોનાવાઇરસ સામે રક્ષણ આપે એવું તેમનું માનવું છે. આવા ઉપચારોમાં મતભેદો હોઈ શકે. પરંતુ એક બાબતે કદાચ મતભેદને ઝાઝો અવકાશ નથીઃ પશ્ચિમના મોડર્ન મેડિકલ સાયન્સ સામે આપણું પ્રાચીન આયુર્વેદ વિજ્ઞાન એ વાતે જુદું પડે કે પહેલામાં રોગ સામેના ઉપચારો છે, તો બીજામાં શરીરને રોગ જ ન થાય તેના ઉપાયો છે.


આયુર્વેદ જગતનું સૌથી પ્રાચીન તબીબી વિજ્ઞાાન છે, જેનું પ્રાગટય લગભગ પ,૦૦૦ વર્ષ પહેલાં વેદકાળમાં થયું હોવાનું કહેવાય છે. આટલા હજાર વર્ષ પહેલાં તત્કાલીન આયુર્વેદાચાર્યોએ એક શબ્દ પ્રયોગ કર્યો છેઃ વ્યાધિક્ષમત્વ. આનો અંગ્રેજીમાં તરજુમો કરવો હોય તો immuninty શબ્દ બંધબેસતો આવે. શરીરમાં વ્યાધિક્ષમત્વ વધારવા માટેનાં તેમજ તેને જાળવી રાખવા માટેનાં અશ્વગંધા અને મહાસુદર્શન જેવાં અનેક ઓસડિયાં આયુર્વેદ પાસે છે. નિયમિતપણે તેમનું સેવન રક્તનું શુદ્ધિકરણ અને રોગપ્રતિકારક તંત્રનું સમૃદ્ધિકરણ કરી શકે તેવું આયુર્વેદ જણાવે છે.


પરંતુ એ જાણવા માટે આપણી કટિબદ્ધતા કેટલી એ સવાલ છે. એક સમયે બુનિયાદી શિક્ષણ આપતી અમદાવાદની શારદા મંદિર જેવી શાળાઓમાં દર શનિવારે બાળમંદિરના વિદ્યાર્થીઓને કડુ કરિયાતાના તથા કડવા લીમડાના રસનો અકેક વાટકો ફરજિયાત પાવામાં આવતો. નાની વયે બાળકની વ્યાધિક્ષમત્વ વધારવાનું એ ઉમદા અને આવકારદાયક પગલું હતું. આ કાર્ય હજી પણ ક્યાંય થતું હોય તો ઠીક, નહિતર સરકારે તેના અમલની દિશામાં રાષ્ટ્રવ્યાપી પહેલ કરવી જોઈએ. કારણ કે આવનારી પેઢીએ SARS-CoV-2 જેવા બીજા અનેક વાઇરસનો કેર ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. 


દરેક નવા વાઇરસની રસી રાતોરાત ન બની જાય એ હકીકત જોતાં સંભવિત આપત્તિનો સામનો કરવા માટે બે રસ્તા છેઃ Flight or fight. . નાસી છૂટો અથવા લડી લો. 


બીજા નંબરનો વિકલ્પ અપનાવવો હોય તો તેનો બધો તો નહિ, પણ ઘણો આધાર નવી પેઢીના વ્યાધિક્ષમત્વ પર રહેવાનો છે.

– હર્ષલ પુષ્કર્ણા

“ન્યુઝ ફોકસ”, ગુજરાત સમાચાર, તા.૨૨/૦૩/૨૦૨૦.

૮૨ વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?

૮૨ વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?

તંદુરસ્તી માટે બસ આટલું જ કરતા ૮૨ વર્ષના ક્રાન્તિકારી સંત સ્વામી સચ્ચિદાનંદ યોગ, પ્રાણાયામ વગેરેને બેબુનિયાદ માને છે. તેમનું કહેવું છે કે યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ હેલ્થને બરબાદ કરી દે છે


ક્રાન્તિકારી વિચારો અને આધ્યાત્મની વિશિષ્ટ સમજ આપી સમાજમાં સુધારો લાવવા માટે પ્રયત્નો કરી રહેલા ૮૨ વર્ષનાં સ્વામી સચ્ચિદાનંદે ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતાં ૯૦થી વધુ પુસ્તકો લખ્યાં છે. દેશ-વિદેશમાં મળીને તેમણે અઢીહજાર પ્રવચનો કર્યા છે. પેટલાદ નજીક દંતાલીના પોતે સ્થાપેલા આશ્રમ ભક્તિ નિકેતનમાં રહી સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરનારા આ કર્મયોગી સંત માનવધર્મમાં માને છે. અમદાવાદ નજીક કોબામાં અને ઉંઝામાં પાટણ રોડ પર એમ ગુજરાતમાં તેમના ટોટલ ત્રણ આશ્રમ છે. યોગ-ઉપવાસમાં જરાય ન માનતા આ સ્વામીજી ૮૨ વર્ષે પણ એનર્જીથી તરબતર છે જાણીએ શું કહેવું તેમને પોતાની સદાબહાર તંદુરસ્તી વિશે.

કુદરતી જીવન જીવો

હું વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરતવિરોધી છે ત્યારે એ બધું મેં છોડી દીધું. નેતી, ધોતી, બસ્તી, કુંજલ, નૌલી જેવી યૌગીક ક્રિયાઓ અને વધુપડતો પ્રાણાયામ કુદરતવિરોધી છે. આખી જિંદગી યોગ કરતા કેટલાય યોગીઓને મેં ભૂંડી રીતે મરતા જોયા છે. યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ આરોગ્યને બરબાદ કરી દે છે. લોકોને પ્રભાવિત કરવા હોય તો આ બધું બરાબર છે, પણ એ કરાય નહીં. ત્યાગી લોકો મરતાં બહુ રિબાય છે. એક ત્યાગી યોગી એટલું રિબાયા હતા કે મરતાં પહેલાં તેમણે એકરાર કર્યો હતો કે તેમણે જે કર્યું એ નહોતું કરવું જોઈતું. મારી સાથે કનખલમાં રહેતા એક યોગી મર્યા ત્યારે તેમના શરીરમંાથી એટલી દુર્ગંધ આવતી હતી કે સારવાર માટે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા તો અમેરિકન સરકારે પણ તેમને તડીપાર કર્યા હતા. આ બધા અનનૅચરલ જીવન જીવે છે, ગુફાઓમાં બેસે તો શરીરને ઑક્સિજન ન મળે અને પલાંઠી વાળીને બેસી રહે તેથી શરીરની હલનચલન ન થાય તેથી તે ડલ થઈ જાય. મહેનત-મજૂરી કરનારા અને સહજ જીવન જીવતા લોકો જ સ્વસ્થ રહે છે અને તેમને સહજ મૃત્યુ મળે છે. મારી આવી તતૂડી ભલે કોઈ ન સાંભળે, પણ એ હકીકત છે.

કાંઈ નથી કરતો

શરીરને સાચવવા હું કાંઈ નથી કરતો. તે એની મેળે જ સચવાય છે. યોગીઓ જે ધ્યાન કરે છે તે કુદરતી નથી, જીવન માટે જરૂરી પણ નથી. તમે જે કામ કરો એ ધ્યાનથી કરો, એમાં મન પરોવીને કરો તો એ તમારું ધ્યાન જ છે. સોયમાં તમે દોરો પરોવો ત્યારે એ ધ્યાન જ છે. ઘરનું કામ છોડી ધ્યાન કરવા બેસો તો જેવી આંખો બંધ કરો એવું અંદરથી મન કૂદાકૂદ કરવા લાગશે. યોગ અને ધ્યાને લોકોને ઊંધા રસ્તે વાળી દીધા છે. યોગી થવા કરતાં ઉપયોગી થાઓ, લોકોને ઉપયોગી બનો. સેવા પ્રવૃત્તિ કરો. લોકોનું ભલું થાય એવાં કામ કરો એ સૌથી મોટી સાધના છે. ગીતામાં પણ કહ્યું છે કે યોગ: કર્મસુ કૌશલમ.

મારો નિત્યક્રમ

હું રોજ સવારે ૪ વાગ્યે ઊઠી જાઉં છું. નહાઈ-ધોઈ જાપ તથા પ્રાર્થના કરું. સાંજે સાડાછ વાગ્યે મંદિરમાં આરતી વગેરે પતે પછી મારી રૂમમાં જઈ થોડી વાર ટીવી જોઉં, જેમાં સમાચાર ખાસ જોઉં અને રાત્રે સાડાઆઠ વાગ્યે સૂઈ જાઉં છું. રોજ સવારે ૧૦ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે જમી લઉં છું. હવે ઉંમરના હિસાબે ઊંઘ જલદી ઊડી જાય છે તેથી રાત્રે ૧૨ વાગે

જાગીને લખવા બેસી જાઉં ને પાછું મન થાકે ત્યારે સૂઈ જાઉં. ૧૯૯૪માં મદ્રાસમાં મારુ બાયપાસનું ઑપરેશન થયું હતું. જોકે એ કર્યા પછી મને સમજાયું કે એની જરૂર નહોતી. ડૉક્ટરોના દબાણને કારણે વળી એ થયું. હાર્ટ માટે ડૉક્ટરે આપેલી એક ગોળી સિવાયની અત્યારે હું કોઈ દવા નથી લેતો. કોઈ વાર તાવ જેવું લાગે તો સુદર્શનની ગોળી લઈ લઉં. શરીરને કોઈ તકલીફ થાય તો આયુર્વેદિક દવા લઈ શકાય. બાકી શરીર આપમેળે સારું થઈ જતું હોય છે.

સ્વાદિષ્ટ ખાઓ

હું પહેલાં ખાવામાં ગાંધીજીના અસ્વાદના રવાડે ચઢ્યો હતો. અસ્વાદ એટલે મીઠું, મરચું, ખાંડ, તેલ, મસાલા વગેરે ન ખાવા. એમાં મારું શરીર બગડી ગયું તેથી મેં એ બધું છોડી દીધું. લગભગ ૩૦-૩૫ વર્ષથી બધું ખાઉં છું તો શરીર સારું રહે છે. મસાલા દવાઓ છે. પશ્ચિમના દેશોના રવાડે ચઢી આપણે મસાલાનો ત્યાગ કરવા લાગ્યા એ ખોટી વાત છે. આપણા મસાલા લેવા માટે તો વાસ્કો દી ગામા ભારત આવ્યો હતો.

ખાવાનું હંમેશાં સ્વાદિષ્ટ ખાઓ તો એ પચશે. કોળિયો મોઢામાં આવે ત્યારે ભરપૂર લાળ છૂટવી જોઈએ, એવું એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. હું રોજ બે જ ચીજો ખાઉં છું. દાળ-રોટલી અથવા તો શાક-રોટલી. થાળી ભરેલી હોય એવું મને ન જોઈએ, પણ જે હોય એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. રોટલી બરાબર શેકાયેલી અને દાળ કે શાક સ્વાદમાં સરસ હોવાં જોઈએ. રસોઈ ખાવાની પ્રેરણા થાય એવી સરસ એ બનેલી હોવી જોઈએ. હું બધું જ ખાઉં છું, કોઈ વસ્તુની ઍલર્જી નથી. કાંદા-લસણ પણ ખાઉં છું. એટલું જ નહીં, આશ્રમમાં બધાને એ ભરપૂર ખાવા કહું છું. ખાવાનું પ્રમાણસર ખાવું જોઈએ. મસાલામાં કે ખાવામાં અતિરેક ન થવો જોઈએ એમ હું માનું છું.

મનની પ્રસન્નતા

હસો, રમો, ટોન્ટ-ટૂચકા કરો, ખાઓ, જૉબ કરો, હરો-ફરો, જેનાથી મન પ્રસન્ન થાય એ બધું જ કરો, બસ મન મુકીને જિંદગી જીવો. મનની પ્રસન્નતા જ સૌથી મોટો યોગ છે. જે કામ કરો એ મન પરોવીને અને ખુશીથી કરો. જે કરવાથી મન ખુશ રહે એવાં કામ કરો. મને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાં બહુ ગમે છે. એ હું જ્યારે મન થાય ત્યારે સાંભળું છું. સંગીતકાર શંકર-જયકિશનવાળા જયકિશને જે ધૂનો બનાવી છે… લાજવાબ…થોડા સમય પહેલાં દસ લાખ રૂપિયાના ખર્ચે મેં વાંસદા ગામમાં જયકિશનનું સ્ટૅચ્યુ મુકાવ્યું છે, જે પહેલી વાર બન્યું છે કે કોઈ ફિલ્મ સંગીતકારનું સ્ટૅચ્યુ મુકાયું હોય! જયકિશન વાંસદાનો મિસ્ત્રી હતો એની એના ગામના લોકોને પણ નહોતી ખબર!

કોઇ પ્રીત કરી તો જાણે!

કોઇ પ્રીત કરી તો જાણે!

કોઇ પ્રીત કરી તો જાણે, અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે.

દિવસ ઉગ્યે બેચેન રહેવું, રાત પડયે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી પળપળને વિસરાવી દેવી,
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે.

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં, વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રેહવું, મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગે કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે.

મોજાંઓના પછડાટોથી, ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે-સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી તો કોઇ તરી તો જાણે…

કોઇ પ્રીત કરી તો જાણે!

ચાલ ને યાર…

ચાલ ને યાર…

મારી સાથે બોલે છે ને..?
એમ પૂછીને પણ એકબીજા
સાથે બોલતા,🤫

રીસેસમાં ફક્ત લંચ
બોક્સના નહિ,
આપણે લાગણીઓના
ઢાંકણાં પણ ખોલતા.😉

કિટ્ટા કર્યા પછી ફરી પાછા
બોલી જતા, :🤫

એમ ફરી એક વાર
બોલીએ,
ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ.😉

ચાલુ ક્લાસે
એકબીજાની સામે જોઈને
હસતા’તા,😊

કોઈપણ જાતના
એગ્રીમેન્ટ વગર,
આપણે એકબીજામાં
વસતા’તા…🤫

એક વાર મારું હોમવર્ક
તેં કરી આપ્યું’તું, 🥰

નોટબુકના એ પાનાને મેં
વાળીને રાખ્યું’તું.🥰

હાંસિયામાં જે દોરેલા,
એવા સપનાઓના ઘર હશે,

દોસ્ત,
મારી નોટબુકમાં આજે પણ
તારા અક્ષર હશે ..🥰

એક પણ પ્રશ્ન પૂછ્યા વગર
જ્યાં આપણા આંસુઓ
કોઈ લૂછતું’તું, 🥰

એકલા ઉભા રહીને
શું વાત કરો છો..?
એવું ત્યારે ક્યાં કોઈ
પૂછતું’તું..? 🥰

ખાનગી વાત કરવા માટે
સાવ નજીક આવી,
એક બીજાના કાનમાં
કશુંક કહેતા’તા ..🥰

ત્યારે ખાનગી કશું જ નહોતું
અને છતાં ખાનગીમાં
કહેતા’તા.🥰

હવે, બધું જ ખાનગી છે
પણ કોની સાથે શેર કરું..?
નજીકમાં કોઈ કાન નથી ..🥰

દોસ્ત, તું કયા દેશમાં છે..?
કયા શહેરમાં છે..?
મને તો એનું પણ ભાન નથી ..🥰

બાકસના ખોખાને
દોરી બાંધીને
ટેલીફોનમાં બોલતા,
એમ ફરી એક વાર
બોલીએ ..🥰

ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ..!!🥰

આજે બાળકોને…

આજે બાળકોને…

આજે બાળકોને શોર મચાવવા દો
કાલે જ્યારે એ મોટા થઈ જશે
સુનમુન જિંદગી વિતાવશે
મારા તમારા જેવા બની જશે

દડાથી તોડવા દો બારીના કાચ
કાલે જ્યારે એ મોટા થઈ જશે
દિલ તોડશે કોઈનું યા તો પોતે તૂટી જશે
મારા તમારા જેવા બની જશે

કરવા દો વાતો બેહિસાબ એમને
કાલે જ્યારે એ મોટા થઈ જશે
એમના હોઠ પણ સિવાઇ જશે
મારા તમારા જેવા બની જશે

મિત્રો સાથે રજાઓ માણવા દો
કાલે જ્યારે એ મોટા થઈ જશે
મિત્રતા અને રજાને તરસી જશે
મારા તમારા જેવા બની જશે

ભરવા દો એમને સપનાની ઉડાન
કાલે જ્યારે એ મોટા થઈ જશે
પાંખ એમની પણ કપાઈ જશે
મારા તમારા જેવા બની જશે

બનાવા દો એમને કાગળની હોડી
કાલે જ્યારે એ મોટા થઈ જશે
ઑફિસના કાગળોમાં ખોવાઈ જશે
મારા તમારા જેવા બની જશે

ખાવા દો એમને જે મન કરે
કાલે જ્યારે એ મોટા થઈ જશે
દરેક કોળિયે કેલેરી ગણશે
મારા તમારા જેવા બની જશે

રહેવા દો માસુમ એમને
કાલે જ્યારે એ મોટા થઈ જશે
એ લોકો પણ “સમજદાર” બની જશે
મારા તમારા જેવા બની જશે