પવનની ઝડપ કેટલી હોય તો ક્યુ સિગ્નલ લાગે?

પવનની ઝડપ કેટલી હોય તો ક્યુ સિગ્નલ લાગે?

વાવાઝોડા વખતે બંદર પર વિવિધ નંબરના સિગ્નલની સિસ્ટમ

બ્રિટિશ નૌકાદળના અધિકારી ફ્રાન્સિસ બ્યુફોર્ટે 1805માં પવનની ઝડપ મુજબ 1થી 12 સુધી પ્રકાર પાડયા હતા

ગુજરાત પાસે 1660 કિલોમીટર લાંબો દરિયો છે, એટલે વાવાઝોડાની નવાઈ નથી. વાવાઝોડું કેવુંક આક્રમક છે, એ કાંઠે રહેતા સૌ કોઈ જાણતા હોતા નથી. તેમને જાણ કરવા માટે વિવિધ નંબરના સિગ્નલ (ધ્વજ-વાવટા) ફરકાવવામાં આવે છે.

આ સિગ્નલને બ્યુફર્ટ સ્કેલ કહેવાય છે. કેમ કે બ્રિટિશ નૌકા અધિકારી ફ્રાન્સિસ બ્યુફર્ટે 1805માં પવનની ઝડપ પ્રમાણે ક્રમ નક્કી કર્યો હતો. અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક બંદર પર બે નંબરના સિગ્નલ ફરકતાં કરાયા છે. આગામી દિવસોમાં એ સિગ્નલો વધતા જશે, જેમ જેમ વાવાઝોડું આક્રમક બનશે.

અહીં ક્યા નંબરના સિગ્નલનો અર્થ શું થાય તેની વિગત આપી છે.

નંબર-1 : પવનની ઝડપ – 1 થી 5 કિલોમીટર

અસર – સાવ સામાન્ય હવા, ધૂમાડો પવનની દિશામાં ફેંકાય એટલી અસર

નંબર-2 : પવનની ઝડપ – 6 થી 12 કિલોમીટર

અસર – ધ્વજ પર હવાની અસર દેખાય, ચહેરા પર લહેરખી અનુભવાય

નંબર-3 : પવનની ઝડપ – 13 થી 20 કિલોમીટર

અસર – ધ્વજ ફરફર થવા લાગે

નંબર-4 : પવનની ઝડપ – 21 થી 29 કિલોમીટર

અસર – રૂ કાગળ હવામાં ઉડતો થાય

નંબર-5 : પવનની ઝડપ – 30 થી 39 કિલોમીટર

અસર – નાના વૃક્ષો આમ-તેમ હલવા માંડે

નંબર-6 : પવનની ઝડપ – 40 થી 49 કિલોમીટર

અસર – છત્રી કાગડો થઈ જાય, વૃક્ષની મોટી ડાળીઓ હલવા લાગે

નંબર-7 : પવનની ઝડપ – 50 થી 61 કિલોમીટર

અસર – પવનમાં ચાલવું મુશ્કેલ થાય.

નંબર-8 : પવનની ઝડપ – 62 થી 74 કિલોમીટર

અસર – વૃક્ષોની ડાળીઓ ખરવાની શરૂઆત થાય.

નંબર-9 : પવનની ઝડપ – 75 થી 88 કિલોમીટર

અસર – મકાનની છત, નળિયા ઉડવા લાગે

નંબર-10 : પવનની ઝડપ – 89 થી 102 કિલોમીટર

અસર – વૃક્ષો ઉખડવા લાગે

નંબર-11 : પવનની ઝડપ – 103 થી 118 કિલોમીટર

અસર – જમીન પર ઘણી સામગ્રી ઉડવા લાગે, સમુદ્રમાં વિઝિબિલિટી ઝીરો થાય

નંબર-12 : પવનની ઝડપ – 119 થી 220 કિલોમીટર

અસર – હેરિકેન અથવા ટોર્નેડો જેમાં અકલ્પનિય નુકસાન થઈ શકે.

√ મોટે ભાગે 12 નંબર સુધી જ વપરાય છે. પણ વાવાઝોડાની આક્રમકતા વધતા 1946માં 17 નંબર સુધીના સિગ્નલો નક્કી કરાયા છે. પરંતુ મોટે ભાગે વપરાશ 12 સુધીનો વપરાશ કરવાનો થતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો વપરાશ કરવામાં આવે છે.

√ 1864માં બંગાળના અખાતમાંથી પેદા થઈને કલકતા પર ત્રાટકેલા ભયાનક વાવાઝોડા પછી બ્રિટિશ સરકારે ભારતના હવામાનનો પણ વિગતવાર અભ્યાસ શરૂ કર્યો હતો.

√ વાવાઝોડાની ઝડપ તો ક્યારેક કલાકના 150થી 250 કિલોમીટર સુધીની હોય છે.

√ પરંતુ એ ઝડપ જમીન પર ફૂંકાતા પવનની નથી હોતી. હકીકતે એ ઝડપ વાવાઝોડાના કેન્દ્ર આસપાસ ઘૂમરાતા પવનની હોય છે. વાવાઝોડાના કેન્દ્ર જેટલી ઝડપે જમીન પર પવન ફૂંકાય તો તમામ પ્રકારના બાંધકામોના સ્થળે થોડી વારમાં મેદાન થઈ જાય.

√ ફ્રાન્સિસે તો આ ગણતરી 1805માં કરી હતી. પણ બ્રિટિશ સરકારે 1830ના દાયકામાં તેનો સ્વિકાર કર્યો. એ પછી એક જહાજ રવાના થયું ત્યારે આ સ્કેલનો સત્તાવાર ઉપયોગ થયો. એ જહાજ જોકે બીજા કારણોસર જગ વિખ્યાત થયું, કેમ કે તેના પર ઉત્કાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન સવાર હતા અને એ જહાજનું નામ એચએમએસ બિગલ હતુ.

ગુજરાત સમાચાર, તા.૧૭/૦૫/૨૦૨૧

વિદ્યાની અદમ્ય ધગશ હોય, ત્યાં સદા અલ્પવિરામ જ હોય !

વિદ્યાની અદમ્ય ધગશ હોય, ત્યાં સદા અલ્પવિરામ જ હોય !

જિંદગી કેવા દાવ ખેલે છે ! કોઇને ઇશ્વરીય વરદાન સમી ચમકતી, ચળકતી, એશોઆરામભરી સોનેરી જિંદગી મળે છે તો કોઇને જિંદગી એ આફતનો પટારો હોય છે, જ્યાં એક આફત પૂરી ન થાય, તે પહેલાં બીજી આફત સામે આસન જમાવીને બેઠી હોય છે. આ જીવન કોઇને મોજભરી સફર સમાન હોય છે, તો કોઇને મૂંઝવમનો તકાજો હોય છે ! કોઇના જીવનમાં સુખની રેલમછેલ ઊડતી હોય છે, તો કોઇના જીવનમાં દુ:ખનાં આકાશે ઉછળતો દરિયો હોય છે !

રાજસ્થાનના પાલી-મારવાડ જિલ્લામાં જન્મેલી ઉમ્મુલ ખેરની જિંદગીમાં જન્મ સાથે જ આફતોનો સિલસિલો શરૂ થયો. પહેલેથી જ શારિરીક મર્યાદા સાથે જન્મી. એ ઓસ્ટિયો જેનેસિસ એટલે કે બોન ડીસઓર્ડરની બિમારી સાથે જન્મી હતી. હાડકાં એવા નબળાં કે સહેજ પડે આથડે કે બટકી જાય. ક્યાંક અથડાઈને સહેજ નીચેપડે કે હાથે-પગે મોટું ફ્રેકચર થઇ જાય. આમાં વળી ગરીબીએ આ પરિવાર પર વજ્રઘાત કર્યો હતો.

કેટલાક શારિરીક પીડા સહન કરતા હોય છે, તો કેટલાક સ્વજનોની પીડા પામતા હોય છે, તો કેટલાકને ચારેબાજુથી પોતાની, પારકી અને અણધારી આપત્તિઓ ખમવી પડે છે. નાની ઉમ્મુલના પિતા ચાર સંતાનોને નોંધારા છોડીને શહેરમાં ચાલ્યા ગયા. એની માતાને સિઝોફેનીયાની માનસિક બિમારી લાગુ પડી છે. ઉમ્મુલના દિલમાં એક જ ધગશ હતી કે ગમે તે થાય, મારે અભ્યાસ તો કરવો જ છે. આને માટે ઝુંપડપટ્ટીમાં વસતી ઉમ્મુલે નિશાળની ફી ભરવા ટયુશન ક્લાસીસ શરૂ કર્યા. આસપાસનાં ગરીબ બાળકોને ભણાવવા લાગી. બપોરના ત્રણથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ટયુશન ક્લાસીસ લેતી. એમાંથી જે કંઇ થોડી ઘણી રકમ મળે, તેમાંથી પોતાની સ્કૂલ ફી ભરતી હતી. એવામાં એના પિતાએ બીજા લગ્ન કરતા ઝૂંપડામાં આવેલી સાવકી માતાએ પહેલો હુક્મ એ કર્યો કે હવે આને અભ્યાસ-બભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. ઘરની હાલત તો જુઓ. માટે ઘરકામ ચૂપચાપ કર્યા કર. અને પછી ઉમ્મુલના જીવનમાં રોજનો કલહ, કંકાસ અને ખટરાગ શરૂ થયો. આખરે અભ્યાસની આશિકીને કારણે નવમા ધોરણમાં અભ્યાસ કરતી ઉમ્મુલે નાનકડી રૂમ ભાડે લઇને અલગ રહેવાનું નક્કી કર્યું. એકલી છોકરી અને આસપાસ દારૂડીયાઓનો સતત ભય. આવે કપરે સમયે પણ એણે ટયુશનની કામગીરી ચાલુ રાખી. એકબાજુ ભણાવે અને બીજીબાજુ પોતે ભણે ! હાયર સેકન્ડરીમાં ૯૧ ટકા માર્ક મેળવ્યા અને કોલેજમાં પ્રવેશ મેળવવાની વેળા આવી.

આસપાસની ઝૂંપડપટ્ટીમાં તો કોલેજ ક્યાંથી હોય ? કોલેજમાં અભ્યાસ કરવા દૂર જવું પડે અને ત્યાં સુધી જવું કઇ રીતે ? દિલ્હીની બસમાં તો મુસાફરોની ભારે ભીડ હોય, એમાં જો સહેજ કોઇનો ધક્કો વાગે, તો આવી બને ! ફ્રેકચર થતાં દિવસો સુધી પથારીમાં પડયા રહેવું પડે. કોઈ અવરોધ એની અભ્યાસની ઇચ્છાને અટકાવી શકે તેમ નહોતો. એનું દિલ કહેતું હતું કે અભ્યાસ એ જ એકમાત્ર જિંદગીને આફતોમાંથી ઉગરવાનો માર્ગ છે. જો વધુ અભ્યાસ નહીં કરે, તો એ જ ગરીબી અને બેહાલી વીંટળાઈ વળશે અને સાથે જન્મજાત બીમારી તો ખરી જ. આથી એણે દિલ્હીની બસમાં પોતાની જાતને ખૂબ સાચવીને કોલેજમાં જવાનું શરૂ કર્યું. આટલી બધી વેદના સહેનારી ઉમ્મુલના ચહેરા પર સદા ય હાસ્ય જ નજરે પડે. એના સહાધ્યાયીઓને પણ સહેજે કલ્પના ન આવતી કે ઉમ્મુલ કેટલી મુસીબતો વચ્ચે ઝઝુમે છે ! વળી એ દિવ્યાંગ હોવાથી અવારનવાર લોકોની ઉપેક્ષાનો ભોગ બનતી અને ગરીબ હોવાથી અવગણના સતત સતાવતી હતી. અભ્યાસમાં તેજસ્વી એવી ઉમ્મુલ કોલેજના સમય પછી ઘેર આવીને ટયુશન કરતી. જુદી જુદી કક્ષાના વિદ્યાર્થીઓનાં જુદા જુદા સમયે ટયુશન રાખવા પડે. બપોરે ત્રણ વાગે શરૂ થયેલા એના ટયુશન ક્લાસ રાતના દસ વાગ્યા સુધી ચાલતા. ટયુશનમાંથી થતી આવકમાંથી એ ઘરનું ભાડું ચૂકવતી અને એના ભોજનનો ખર્ચ કાઢતી.

અથાગ પ્રયત્નો પછી ઉમ્મુલ સ્નાતક થઈ. સિઝોફ્રેનિયા ધરાવતી માતાની માનસિક બીમારીનો એને જન્મજાત અનુભવ હતો. આથી વિચાર્યું કે મનોવિજ્ઞાાનનો વિષય લઇને વધુ અભ્યાસ કરું. વળી પાછી એક નવી મુશ્કેલી સામે આવી. આ વિષયમાં ઇન્ટર્નશીપ કરવી પડતી હોવાથી બીજે રહેવા જવું પડતું અને કામ કરવું પડતું. એને માટે આ શક્ય નહોતું, કારણ કે એ જો ઇન્ટર્નશીપ સ્વીકારે, તો એના આજીવિકાના આધાર સમાન ટયુશન છોડવાં પડે. આ સમયે એ કોલેજમાં યોજાતી વક્તૃત્વ સ્પર્ધા અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. એમાં પણ વિજેતા બનતા એને પારિતોષિકરૂપે થોડી રકમ મળતી હતી. એનાથી ઘરખર્ચમાં થોડી મદદ મળતી હતી. પરંતુ ઘણી સ્પર્ધાઓ સાંજના સમયે યોજાતી હોવાથી ઉમ્મુલ એના ટયુશનોને કારણે ભાગ લઇ શક્તી નહોતી.

આફત ક્યાં ઓછી આવતી હતી !

ઉમ્મુલને જે.એન.યુ.ની હોસ્ટેલમાં પ્રવેશ મળ્યો. સાથે બે હજાર રૂપિયાની સ્કોલરશીપ પણ મળી, આથી એને થયું કે હાશ, હવે ટયુશન નહીં કરવા પડે ! હવે અભ્યાસને માટે વધુ સમય ફાળવી શકીશ.

અનુસ્નાતક અભ્યાસ સમયે વળી નવી આફત એના પર ત્રાટકી. એ સમયે અકસ્માત થતાં એને ગંભીર ઇજા થઈ. સોળ જેટલાં ફ્રેકચર થયાં અને આઠ તો ઓપરેશન કરવાં પડયાં. જિંદગીમાં કોઈ આધાર નહીં, આફતના દરિયાનો કોઇ કિનારોનહીં. માત્ર મુસીબતોની મઝધારમાં જ જીવનસફર ખેડવાની. ભરદરિયે આમતેમ ફંગોળાવાનું અને પરિણામે લાંબા સમયે સુધી એને વ્હીલચેરને આશરે જીવવું પડયું. એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન અણધાર્યો અવરોધ આવી ગયો, પણ છતાં ય એ સહેજે પીછેહઠ કરે તેવી નહોતી. આ ઓપરેશનો એના અભ્યાસમાં અવરોધરૂપ બની શક્યા નહીં. ૨૦૧૩માં ઉમ્મુલે એમ.એ.માં ઉત્તીર્ણ થઇને એમ.ફિલમાં પ્રવેશ મેળવ્યો. અભ્યાસની સાથોસાથ એ જુદાં જુદાં કાર્યક્રમોમાં ભાગ લેતી.

દિવ્યાંગ હોવા છતાં સ્પર્ધાઓમાં મોખરે આવતી. આથી દિવ્યાંગ લોકોનાં કાર્યક્રમોમાં એ ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરવા લાગી. એના અવિરત સંઘર્ષનો જેમ જેમ સહુને ખ્યાલ આવતો ગયો, તેમ તેમ એને બધે સ્થળેથી પ્રોત્સાહન મળવા લાગ્યું. ૨૦૧૪માં ઉમ્મુલ જાપાનના ‘ઈન્ટરનેશનલ લીડરશીપ ટ્રેનિંગ’ના પ્રોગ્રામમાં પસંદગી પામી. આ ઘટના એની અસામાન્ય સિધ્ધિ બની રહી, કારણ કે આ પ્રોગ્રામ હેઠળ અગાઉ અઢાર વર્ષમાં માત્ર ત્રણ વ્યક્તિની પસંદગી થઇ હતી. ઉમ્મુલ ચોથી વ્યક્તિ બની. આ પ્રોગ્રામમાં સિધ્ધિ મેળવનારા દિવ્યાંગ યુવક-યુવતીઓ હિંમતભેર સહુને જિંદગી જીવવાનાં પાઠ શીખવતા હતા. એમાં શીખવાડાતું કે જીવનનો સાચો વિજેતા તો સંઘર્ષો પર વિજય મેળવનાર હોય છે. દ્રઢ આત્મબળના સહારે ગમે તેવી મુશ્કેલીઓ પાર કરી શકાય છે. હસતો ચહેરો અને ઝઝૂમવાની હિંમત હોય તો જગતમાં કશું જ અશક્ય નથી. એક વર્ષનો આ ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરો કરીને એ પાછી આવી. બીજા કોઇને એની અપંગતા યાદ આવે, પણ ઉમ્મુલને એની વિદ્યા અને અભ્યાસ સતત પોકારતા રહ્યા. ૨૦૧૬માં ‘ઇન્ટરનેશનલ સ્ટડીઝ’ના વિષયમાં ઉમ્મુલે એમ.ફિલની પદવી મેળવી.

કદાચ હવે કોઇને લાગે કે ઉમ્મુલની વિદ્યાયાત્રાનું પૂર્ણવિરામ આવશે, પણ વિદ્યાની સાચી ધગશ હોય ત્યાં સદા ય અલ્પવિરામ જ હોય છે.એને પી.એચ.ડી.નો અભ્યાસ કરવો હતો, સામે આર્થિક મૂંઝવણો હતી પણ એવામાં પચીસ હજાર રૂ.ની શિષ્યવૃત્તિ મળતા ઉમ્મુલનો માર્ગ સરળ થઇ ગયો અને એણે પી.એચ.ડી.ની પદવી મેળવી. પણ હજી ક્યાં એની મંઝીલનો મુકામ આવ્યો હતો ? એને તો સતત આગળ વધવું હતું અને બાળપણનું સ્વપ્ન શિધ્ધ કરવું હતું. એ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એ કોઈ અનુભવીને પૂછતી કે ભણવામાં આગળ વધીએ તો સહુથી ઊંચી પદવી કઈ ? કોઇએ એને કહ્યું કે આઇ.એ.એસ. એ સૌથી ઊંચી પદવી ગણાય. એ દિવસથી પોતાના અભ્યાસને માટે પારાવાર આર્થિક, શારીરિક અને માનસિક આફતો સહન કરનારી ઉમ્મુલને અભ્યાસના એવરેસ્ટ શિખર સમાન આઈ.એ.એસ. બનવું હતું. ૨૦૧૬માં યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયાસે જ સારો રેન્ક મેળવીને આઈ.એ.એસ. બની ગઈ. આઈ.એ.એસ. બનવાની પાછળ એની સેવાની ભાવના હતી. લોકોના જીવનને સ્નેહ અને સંવેદનાથી સહાયભૂત થવાનો એનો હેતુ હતો અને આજે એ મદદનીશ કમિશનર તરીકે પોતાની એ લોકસેવાની ભાવનાને મૂર્તિમંત કરી રહી છે.

કોઈ આવા ઊંચા સ્થાને પહોંચે પછી પોતાના ગરીબ પરિવારને કઇ રીતે જુએ ? અભ્યાસમાં સતત અવરોધરૂપ બનેલા પિતા તરફ એનું કેવું વલણ હોય ? એને તરછોડનારી અને ધૂત્કારનારી તથા ઘર ચોડવા મજબૂર કરનાર સાવકી માતા તરફ એના મનમાં કેટલો બધો રોષ હોય ? પરંતુ ઉમ્મુલ માને છે કે કદાચ એના પિતાએ વધુ અભ્યાસ કરતી છોકરીઓ જોઈ નહોતી, તેથી એને ભમવા દેવા માગતા નહીં હોય. પિતા અને સાવકી માતાનાં આવાં વર્તનને ભૂલીને ઉમ્મુલ એમની પૂરી સંભાળ લે છે અને સન્માન આપે છે. એ ઇચ્છે છે કે હવે એના માતાપિતા આરામની જિંદગી જીવે.

આજે અઠ્ઠાવીસ વર્ષની શાંત પણ ઊર્જાસભર અને ચહેરા પર આફતોને ઓગાળી નાંખનારું દેવતાઈ સ્મિત ધરાવતી આ છોકરી માત્ર વિકલાંગો માટે જ નહીં, પણ સક્ષમ લોકો માટે પણ એક ‘રોલ મોડેલ’ બની રહી છે. ગંદીનાળી અને કચરાના ઢગ વચ્ચે ઝુંપડપટ્ટીમાં ને ગરીબીમાં ઉછરેલી, તૂટતાં હાડકાની બિમારીને પોલાદી તાકાતથી સહન કરતી, અકસ્માત, ઓપરેશનો અને ફ્રેકચરોની પીડા ભોગવતી અને છતાં સઘળી શારીરિક વિકલાંગતાને પાર કરીને ઉમ્મુલ સંકલ્પબળે સિધ્ધિના શિખરે પહોંચી છે. એનું આકાશ સદા ય આફતો અને વિઘ્નોનાં વાદળોથી છવાયેલું રહ્યું, પણ એ આકાશમાં વિદ્યાનો પ્રકાશ પાથરવાના અથાગ પ્રયત્નો એ જ ઉમ્મુલની સફળતાનું હાર

ડો. કુમારપાળ દેસાઈ, ઈંટ અને ઈમારત કોલમ, ગુજરાત સમાચાર

જોયો જ નહીં !

જોયો જ નહીં !

કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !

ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !

લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?

રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !

દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !

– સુનીલ શાહ

અલવિદા “ખલીલ”

અલવિદા “ખલીલ”

આજે એક વ્હોટ્સએપ ગૃપમાં ખલીલ ધનતેજવી સાહેબના અવસાન વિશેનો મેસેજ વાંચ્યો. વાંચીને આંચકો લાગ્યો અને મન આ વાત માનવા તૈયાર જ ન હતું. આજકાલ ઘણા બધા ફેક મેસેજ ફરતા હોય છે એટલે આ મેસેજ પણ ફેક જ નીકળે એવી દુવા સાથે એક અગ્રણી દૈનિક સમાચારની એપ ખોલી તો મેસેજ રીઅલ નીકળ્યો 😢

મને ખલીલ ધનતેજવી સાહેબની ઘણી બધી રચનાઓ ગમે છે. આજે એમને અંજલિ આપવા માટે અમુક અહીં શેર કરું છું.


લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !


અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.

કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.


હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.


ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

– ખલીલ ધતેજવી

1938-2021

અલવિદા સાહેબ…
આપનું પ્રેમાળ વ્યક્તિત્વ અને આપનો પ્રેમ હંમેશા અમને આપની યાદ અપાવતી રહેશે… 🙏

અલ્લાહ તઆલા આપને જન્નત નસીબ અતા ફરમાવે તેવી દુઆ… આમીન

Data Collection by Popular Messenger Apps

Data Collection by Popular Messenger Apps

After update in privacy and data sharing policy of Whatsapp Messenger App, many users are now concerns about their privacy and data which collects these apps.


√√ Here are list of data that collects these Apps.

(1) WhatsApp

◆ Data collected: Device ID, User ID, Advertising Data, Purchase History, Coarse Location, Phone Number, Email Address, Contacts, Product Interaction, Crash Data, Performance Data, Other Diagnostic Data, Payment Info, Customer Support, Product Interaction, Other User, Content.


(2) Facebook Messenger

◆ Data collected: Third-Party Advertising, Purchase History, Financial Info, Precise Location, Coarse Location, Physical Address, Email Address, Name, Phone Number, Other User Contact Info, Contacts, Photos or Videos, Gameplay Content, Other User Content, Search History, Browsing History, User ID, Device ID, Product Interaction, Advertising Data, Other Usage Data, Crash Data, Performance Data, Other Diagnostic Data, Other Data Types, Developer’s, Advertising or Marketing, Health, Fitness, Payment Info, Sensitive Info, Product Personalization, Credit Info, Other Financial Info, Emails or Text Messages.

(3) Telegram

◆ Data Collected: Name, Phone number, Contacts, User ID

(4) iMessage

◆ Data collected: Email address, Phone number, Search history, Device ID

(5) Signal- Private Messenger

◆ Data collected: None. “Signal” only needs your mobile number for registration but the report claims that the app doesn’t link your phone number to your identity.

એક વેક્સિન મારે પણ શોધવી છે

એક વેક્સિન મારે પણ શોધવી છે

એક વેક્સિન મારે પણ શોધવી છે….

બોરિંગ -રોજીંદી ઘટમાળમાં
ફસાઇ ગયેલા વ્યકિતઓને
બહાર કાઢે એવી…

કૂકરની ત્રીજી સીટીએ
રસોડામાં દોડી જતી સ્ત્રીઓને,
થોડી પળો માટે,
ગણતરીઓ ભૂલાવી દે એવી…

ચાલીસમા વર્ષે
માથા પર બેસી રહેલી
સફેદીને મેઘધનુષી રંગે,
રંગી નાંખે એવી…

એક વેક્સિન મારે પણ શોધવી છે…..

ભૂલી જવા જેવી પણ
યાદ રહી ગયેલી ઘટનાઓને,
યાદ-દાશ્તમાંથી,
બાકાત કરી આપે એવી…

કિસ્મતે હિસ્સામાં નહીં
મૂકી આપેલી પળો-ઘટનાઓ
અને વ્યક્તિઓને
મનનાં દરવાજેથી
“ગેટ આઉટ” કહી શકે એવી..

“એ” પાસે હોય ત્યારે
સમયને અટકાવી દે અને,
“એ” પાસે ન હોય ત્યારે,
સમયને દોડાવી દે એવી….

દીકરીની ગુલાબી હેરબેન્ડનાં
ખોટ્ટા પતંગિયાને
સાચ્ચું કરી આપે એવી….

ઘરડાં થતા જતા
મા-બાપની આંખોમાંથી
પ્રતીક્ષાને બાદ કરી આપે એવી..

એક વેક્સિન મારે પણ શોધવી છે…

સ્વીકારની પરવા કર્યા વિના
ચહેરા પર પહેરી રાખેલા,
પહેરવા પડેલા તમામ
માસ્ક ઉતારી આપે એવી !!!!!

કવિ: એષા દાદાવાળા

Happy Friendship Day

Happy Friendship Day

જેની સાથે લોહીનો સંબંધ નથી…
છતાં વહાલું લાગે તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે થાય અઢળક વાતો…
છતાં થાક ના લાગે તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે નાનકડી વાત માં પણ…
હસી શકાય તે નામ છે
👬દોસ્ત👬

જેના ખંભે માથું ઢાળીને…
રડી શકાય તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે ઠંડી ચા પણ…
હુંફાળી લાગે તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે વઘારેલી ખીચડી પણ…
દાવત લાગે તે નામ છે
👬દોસ્ત👬

જેને અડધી રાત્રે ઉઠાડી…
હૈયું ઠાલવી શકાય તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં…
ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે
👬દોસ્ત👬

જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય…
છતાં પણ તે સ્વીકારે તે છે
👬દોસ્ત👬

વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા…
ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે
👬દોસ્ત👬

દૂર હોવા છતાં ના ટૂટે…
તે લાગણીનો તાર છે
👬દોસ્ત👬

છે બસ
અઢી અક્ષરનું નામ પણ…
બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે
👬દોસ્ત👬

👬મારા સર્વે મિત્રો ને અર્પિત👬

મિત્રતા દિવસની શુભકામના

मै इस मुल्क का क्या लगता हूं?

मै इस मुल्क का क्या लगता हूं?

मै इस मुल्क का क्या लगता हूं?
ये जानने को मै कौन सी किताब पढू इतना बतादो,
मै अभी भूखा हूं,
सूटकेस पे सोते सोते घर जाते हुए,
मेरे सपने में मै गा रहा था,
वन्दे मातरम गुनगुना रहा था,
स्कूल के आंगन से अंदर जा रहा था,
पर नहीं
मै ईस्कुल नहीं जाना चाहता,
मै नहीं जानना चाहता ये भूमि का इतिहास,
मुझे नहीं लिखना “सोने की चिड़ियां” पे कोई भी निबंध,
मुझे राष्ट्र के मुकुट पे कविता लिखना कठिन लग रहा है,
और ना ही वो सब वेग प्रवेग और गति के समीकरणों से मुझे पन्ने भरने है,
मुझे फर्क नहीं पड़ता कौन सी भाषा कितनी पुरानी है या कौन सी भाषा सब भाषा की मां है,
वो हर भाषा जों मुझे “मै इस मुल्क का क्या लगता हूं?” ना बता पाए, उस हर भाषा से मुझे अलगाव है,
मै नहीं सीखना चाहता ज़्यादा कुछ,
मुझे इस्कुल भेज दिया,
मुझे सीखा दिया की ये देश मेरी मां लगता है,
वो मै सीख चुका हूं,
अब मुझे ये बताओ
“मै इस मुल्क का क्या लगता हूं?”
-zarana

ધર્મ એટલે પ્રેમ અને સંવાદિતા

ધર્મ એટલે પ્રેમ અને સંવાદિતા

માણસના સ્વભાવની બધી કૃત્તિમતા, બધા પૂર્વગ્રહો, એની બધી માનસિક ગંદકી એના ધાર્મિક વ્યવહારમાં દેખાઈ આવે છે.

આખરે આપણે ધર્મ સંપ્રદાયની સાંકડી ગલી કૂચીમાં અટવાઈ ગયા. આ ગલી એટલી ભુલભુલામણીવાળી છે કે એમાંથી બહાર નીકળતાં નાકે દમ આવી જશે. વારંવાર એ આપણને ભ્રમમાં નાખશે કે આપણે કોઈ વિશાળ મેદાન ભણી જઈ રહ્યાં છીએ, પણ વાસ્તવમાં એ વધુ ને વધુ ઊંડા દલદલમાં જ આપણને ખૂચાડશે. મનુષ્ય જીવનના ઉચ્ચતમ મૂલ્યોને ધારણ કરે તે ધર્મ પણ એ ઉંચા મૂલ્યોમાંથી મનુષ્યને પછાડી સંકુચિતતાના ખાડામાં નાખે એનું નામ સંપ્રદાય. આજે કોઈ વધુ સંકુચિત બની શકે એની એક કુત્સિત હરીફાઈ ચાલી રહી છે. સંપ્રદાયો ઔપચારિકતાઓમાં ફસાઈ ગયા છે. જે સંપ્રદાયનો વડો કરે, એ જ એના અનુયાયીઓ કરે. જે ઘરનો મુખી કરે એ જ બાકીના સભ્યો કરે.

વોલ્ટર લિપમેનની એક થિયરી છે. એને સ્યુડો એન વાયમેન્ટ થિયરી કહે છે. માણસ બીજા પશુઓથી એટલા માટે ભિન્ન છે કે એ પ્રતિક્રિયા આપી શકે છે, બોલી શકે છે, હસી શકે છે, પણ એની પ્રતિક્રિયા પેલા સાચા, વાસ્તવિક ભૌતિક પર્યાવરણ પ્રત્યે જ હમેશા નથી હોતી. પણ એ એનુ પોતાનું એક કૃત્રિમ પર્યાવરણ ઘડી કાઢે છે. જેમાં એના બધા પૂર્વગ્રહો, ગમા – અણગમા ભળેલા હોય છે. સંપ્રદાયોની બાબતમાં આ વિચારધારા બરોબર બંધ બેસે છે.

ધર્મનો અર્થ વિશાળ છે એની વ્યાખ્યા વિશાળ છે. એનું પરિપ્રેક્ષય વ્યાપક છે. એનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે, પણ આપણે ધર્મને ધીમે ધીમે સંપ્રદાય અને પેટા સંપ્રદાયમાં વહેંચીને એને સાંકડો કરી નાખ્યો. મહાસાગરના ટુકડા કરી કરીને ખાબોચિયામાં પડી ગયા. ખાબોચિયું બંધિયાર હોય છે. એનું પાણી બહુ જલદીથી ગંધાવા માંડે છે. એમાંથી અભિમાન, નફરત અને ધિક્કારની દુર્ગંધ નીકળવા માંડે છે. બધા સંપ્રદાયના સાંકડા વર્તુળથી ટેવાઈ ગયેલા માણસને એ દુર્ગંધ પણ સુગંધ લાગે છે. એક ખાબોચિયું બીજા ખાબોચિયા સામે જોઈને હસે છે. મશ્કરી કરે છે, પછી તો સંખ્યાબંધ ખાબોચિયા વચ્ચે ચડસાચડસીની સ્પર્ધા શરૂ થાય છે. કોની દુર્ગંધ શ્રેષ્ઠ નક્કી કરવાની હરિફાઈ શરૂ થાય છે. આવા ખાબોચિયામાં પ્રેમ મુદીતા, કરુણાને સહઅસ્તિત્વની ભાવના હોય ખરી? અહં પ્રેમના વિરાટપણાની જગ્યા ધિક્કારતું વામનપણું લઈ લે છે.

ઉદાહરણ વિશાળતાનો ઈજારો કોઈ એક ધર્મનો હોતો નથી. કોઈ એક સંપ્રદાયનો નથી. બધા સંપ્રદાયોમાં એક સરખી સંકીર્ણતા, એકસરખી સંકુચિતતા હોય છે. કયારેક કોઈ ચોક્કસ સમયે એમાં વધારો કે ઘટાડો જોવા મળી શકે, પણ આખા ઇતિહાસ પર નજર કરો તો બધા સંપ્રદયોમાં નકારાત્મક ચિહ્નો જણાશે. પછી હું વધુ ઉદાર અને તું વધુ સંકુચિત એમ કહેવાનો કોઈ અર્થ ખરો?

આપણા ધર્મસ્થાનોમાંથી હવે પ્રેમનો સૂર સંભળાતો નથી, પણ નફરત અને વેરઝેર બેસુરો ઘોંઘાટ સંભળાઈ રહ્યો છે. પ્રેમના મધુર, સાતાપૂર્ણ, શીતળ રાગને સ્થાને કોઈ વર્ગ પ્રત્યે, કોઈ જાતિ પ્રત્યેના અપમાનપૂર્ણ નફરત ભરપૂર ચિત્કારો ઉઠી રહ્યાં છે. લોકોનું ધ્યાન હવે ધર્મની જયોતમાંથી નીકળતા પ્રકાશમાં નથી, પણ એ જયોતિ કયા દીવામાંથી નીકળે છે, જયોતનું મહત્વ ઘટી ગયું અને દીવાનું વધી ગયું. દીવો સોનાનો છે કે ચાંદીનો એની વાટ દેશી છે કે વિદેશી, એ ઊંચો છે કે નીચો, એમાં દસ વાટ છે કે વીસ છે, એનું મહત્વ વધ્યું છે.

લોકો વાતવાતમાં ‘શ્રધ્ધા’ની વાત કરે છે. આ શ્રધ્ધા આખર શું ચીજ છે? માણસમાં જો વિચારશક્તિ જ ન હોત, એની પાસે બુધ્ધિ ન હોત, તર્ક ન હોત તો આ શ્રધ્ધા પણ હોત ખરી? તર્ક અને સમજ વિનાની શ્રધ્ધા એ ચાળ્યા વિનાના ઘઊં જેવી છે. તર્કરૂપી ચાળણીનો ઉપયોગ કરીએ ત્યારે વહેમ અને પૂર્વગ્રહરૂપી કાંકરા ખરી પડે છે.

લોકો ધર્મગ્રંથો વાંચે છે, ધર્મગ્રંથનું વાંચન તો મનુષ્યને વિશાળ બનાવે, એની ક્ષિતિજોને વિસ્તારે, એના વિચારોને ઉદાર બનાવે, પણ થાય છે એથી ઉલ્ટું જ ખૂબ વાંચનારા લોકો કયારેક ખૂબ સાંપ્રદાયિક બની જાય છે, અને કશું નહીં વાંચનાર (ગામડાનો ગ્રામજન) વધુ ઉદાર જોવા મળે છે.

માણસના સ્વભાવની બધી કૃત્તિમતા, બધા પૂર્વગ્રહો, એની બધી માનસિક ગંદકી એના ધાર્મિક વ્યવહારમાં દેખાઈ આવે છે. બીજી રીતે બહુ જ સંતુલિત, સ્વસ્થ, બુધ્ધિગમ્ય દેખાતો મનુષ્ય પણ ધર્મ અને સંપ્રદાયના મામલામાં અત્યંત સાધારણ, અતાર્કિક અબૌધ્ધિક અને અંધશ્રધ્ધાળું બની જતો જણાય છે.

આપણો ધર્મ શો હોવો જોઈએ? પૂજા, પ્રાર્થના, મંદિર – મસ્જિદ, ઓચ્છવ કથા, મિજલસ, મંત્રજાપ, ઉપવાસ, વ્રત એમાં જ ધર્મ સમાઈ જાય છે? ધર્મનો દાયરો, ધર્મની સીમા શું આટલી તંગ, આટલી સાંકડી હોઈ શકે? જે માણસ વધુ ઉપવાસ, વધુ જાપ, વધુ અનુષ્ઠાન કરે છે એનામાં એક પ્રકારનો અહંકાર આવી જાય છે. એ બીજા અનુયાયીઓ કરતાં પોતાને બે ગજ ઊંચા માનવા લાગે છે. સમાજ પણ આવા બધા ક્રિયાકાંડોમાં જે માણસ આગળ નીકળી જાય, એને સાધુ – સંતનું બિરુદ આપી દે છે!

જે માણસ રોજ ધર્મસ્થાનમાં જાય છે. સવાર સાંજ પૂજા અર્ચના કરે છે, અનુષ્ઠાન કરે છે, કથાઓ સાંભળે છે, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે, ટીલાંટપકાં કરે છે, માથે ટોપી પહેરે છે, દાઢી રાખે છે, અને સતત પડોશી સાથે ઝઘડે છે. કુટુંબમાં વર્ચસ્વ કેમ જમાવવું એનાં કાવતરા કરે છે, ધંધામાં શોષણ કરે છે, કરચોરી કરે છે, ગ્રાહકને છેતરે છે, પત્નીને ત્રાસ આપે છે, સંતાનો ઉપર જમાદારી કરે છે. એના કરતાં એ માણસ નહીં સારો કે જે કદી ધર્મસ્થાનમાં જતો નથી, ધાર્મિકતાનો ડોળ કરતો નથી. પૂજા પ્રાર્થના કરતો નથી અને છતાં સમગ્ર સૃષ્ટિને ચાહે છે, વ્યક્તિ અને સમાવિષ્ટને પ્રેમ કરે છે, કોઈની ખટપટ કરતો નથી, કોઈની ઈર્ષ્યા કરતો નથી?

આજના કેટલાક સંપ્રદાયો લાખોની સંખ્યામાં શિષ્યો ધરાવે છે. માણસનું કલ્યાણ કરવાના દાવા કરે છે. પણ શિષ્યોને અસહિષ્ણુતા અને સંકુચિતતાના પાઠ ભણાવે છે. સંપ્રદાયનાં વડાની સામે કોઈ શિષ્ય વાંધો લે કે પ્રશ્ન પૂછે તો બીજા શિષ્યો મારફત એમની ઉપર હુમલા કરાવવામાં આવે છે. શારીરિક હુમલામાં કયારેક હાથ પગ ભાંગી નાખવામાં આવે છે. અને કયારેક એમની હત્યા કરાવી દેવાય છે. આમ ધર્મને પણ કરોડોની સંપત્તિ એકઠી કરવાનું માધ્યમ બનાવી દેવાયું છે. જયાં કરોડોની સંપત્તિ એકઠી થાય ત્યાં આપોઆપ વ્યક્તિ પૂજા દાખલ થઈ જાય છે. અને એ સંસ્થાનું અને સંસ્થાના વડાનું સ્થાપિત હિત ઉંચુ થઈ જાય છે. આપણી પ્રજા કેટલી ભોળી છે. કે જલ્દી એ અંધશ્રધ્ધામાં સરી પડે છે.

સંસ્થાના વડાના આદેશોને મૂંગે મોઢે એ સ્વીકારી લે છે. અને એનું તરત અમલ કરે છે. છેલ્લે સ્વાધ્યાય પરિવારમાં જે બન્યું એ એનો દાખલો છે. સારા ઉદ્દેશથી અને આધ્યાત્મિક ઉન્નતિના ધ્યેયથી ઉભી થયેલી આવી સંસ્થાઓનું બહું ઝડપથી પતન થઈ જાય છે. છેલ્લે આચાર્ય રજનીશના સંપ્રદાયની પણ આજ દશા થઈ હતી. એમણે પોતે જે વસ્તુનો વિરોધ કર્યો એ જ દુષણમાં એ પોતે સપડાયા એમની વિચારસરણી ઉત્તમ હતી, પણ કરોડોની સંપત્તિ એકઠી થઈ અને એમની આસપાસ એવા શિષ્યો એકઠા થાય જેમની વચ્ચે રજનીશના વારસ બનવાની કાતિલ હરિફાઈ શરૂ થઈ. આજે જે બચ્યું છે એ માત્ર રજનીશની વિચારધારા બચી છે. એમની વિચારધારા ઘણે અંશે રેશનલ હતી. વિવેકબુધ્ધિ યુક્ત હતી. આપણે અત્યારે એ વિચારધારા અપનાવવાની તાતી જરૂર છે. એને બદલે આપણે જુદા જુદા સંપ્રદાયોના વડામાં કેદ થઈ ગયા છીએ. સંસ્કૃતમાં કહ્યું છે કે મુક્તિ અપાવે એજ સાચો ધર્મ. અહીં ધર્મનો સંપ્રદાય નથી. જે ધારણ કરે તે ધર્મ અત્યારના સંપ્રદાય મનુષ્યને વિશાળ બનાવવાને બદલે સાંકડા બનાવે છે. એમાંથી જ તંગદિલી ફેલાય છે. એમાંથી જ હિંસા ફેલાય છે.

ગાંધી, વિનોબા અને વિવેકાનંદ ધાર્મિક હતા, પણ સાંપ્રદાયિક નહોતા એમનો ધર્મ સર્વ સમાવંશક હતો. એ કોઈ વિચારસરણીનો ઈન્કાર કરનારો નહોતો આપણા દેશમાં જાત જાતના ધર્મો અને સંપ્રદાયો છે. આ બધા ધર્મને વિચારધારામાંથી જે સારા તત્વો અપનાવવા જેવા હોય એમને અપનાવીને એક નવો માનવધર્મ અપનાવવો જોઈએ. સદીઓ પહેલા મોગલ બાદશાહ અકબરે આવો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ નિષ્ફળ ગયો. હવે ઈચ્છીએ કે આવો પ્રયોગ ફરી એકવાર કરવામાં આવે.

– યાસીન દલાલ, “વિચાર વિહાર”, ગુજરાત સમાચાર, તા.૧૩/૦૬/૨૦૨૦

મહાભારતમાંથી શીખવા જેવું

મહાભારતમાંથી શીખવા જેવું

✔️સંતાનો ઉપર તમારો અંકુશ નહિ હોય તો સંખ્યાબળ ગમે તેટલું હશે અંતે તમે નિ:સહાય થઈ જશો- કૌરવો

✔️તમે ગમે તેવા બલવાન હોય પણ તમે અધર્મ નો સાથ આપશો તો તમારી શક્તિ-સંપત્તી, અસ્ત્ર -શસ્ત્ર, વિધા, વરદાન નકામાં
થઈ જશે- કર્ણ

✔️સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- અશ્વત્થામા

✔️ક્યારેય કોઈને વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે- ભીષ્મપિતા

✔️શક્તિ-સત્તાનો દુરુપયોગ સર્વનાશ નોતરે છે- દુર્યોધન

✔️અંધ (સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, કામાન્ધ) વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ન સોંપાવુ જોઈએ નહી તો અનર્થ થશે – ધ્રુતરાષ્ટ્ર

✔️વિધ્યા ની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો – અર્જુન

✔️બધા સમયે-બધી બાબતોમાં કપટ/કુટનીતી માં તમે સફળ નહીં થાવ- શકુનિ

✔️જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે- યુધિષ્ઠિર