કોરોના અને શાયર મરીઝ

કોરોના અને શાયર મરીઝ

ગુજરાતના ગાલીબ એવા સિદ્ધહસ્ત શાયર જનાબ મરીઝ સાહેબનો ગઝલ સંગ્રહ “સમગ્ર મરીઝ”આજે વાંચતો હતો.
આ શાયરના વર્ષો પહેલાં લખાયેલા શેર આજે પણ Covid-19 અને હાલની હાલાત પર કઈ રીતે લાગુ કરી શકાય એ બાબતે વિચાર સ્ફૂર્યા..
એ વિચાર મરીઝ સાહેબના શેર સાથે પ્રસ્તુત છે.

કોરાનાના વૈશ્વિક કહેર વિશે :
(page-282)

“કુદરતની છે વહેંચણી ને વિશ્વભરમાં છે ,
તું એ ન જો કે કોણ અહીં કોના ઘરમાં છે.
➖➖➖➖➖➖➖

લોકડાઉન :
(page:271)

કોઈ ન આવી શકે છે, ન જઈ શકું છું “મરીઝ”,
મકાન આખું સલામત છે, દ્વાર સળગે છે.
➖➖➖➖➖➖➖➖

આલ્કોહોલ યુક્ત સેનીટાયઝર ની જે માંગ વધી છે તે બાબતે:
(page:258)

કળિયુગમાં પણ મદિરાની ઈજ્જત કરો “મરીઝ”,
આ સત્યુગની શોધની એક જ નિશાની છે.
➖➖➖➖➖➖➖➖

દુકાનો, જાહેર જગ્યાઓ પર કુંડાળાં કરી તેમાં ઊભા રહેવાની ઘટના પર:
(page:243)

વર્તુળ આદમીનું છું – વલ્લાહ એક સ્વર્ગ છે,
એનાથી બહાર આટલો સુંદર વિલાસ ક્યાં હશે.
➖➖➖➖➖➖➖➖
whatsapp, insta, facebook પર ઔપચારિક time pass પર:
(page:245)

અંગત જીવનની પૂછપરછની બલા ટળી,
વાતો હવે કરું છું ફ્ક્ત પારકાની સાથ
➖➖➖➖➖➖➖➖

ઘરની લક્ષ્મણ રેખા પાર કરશો તો શું થશે? અને વર્તુળમાં રહેવાનો ફાયદો શું છે?
(page:241)

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું.
➖➖➖➖➖➖➖➖

આ સમય એવો છે કે કોઈ નાસ્તિકને પણ જરૂર પૂરતી ઈશ્વરની જરૂર જણાય:
(page : ૨૨૮)

આવી દુર્ગતિ માં કોઈ હોય તો સંગત માટે,
એક ઈશ્વરની જરૂરત છે, જરૂરત માટે.
➖➖➖➖➖➖➖➖

કોરોનાની દવા શોધવાના નિષ્ફળ પ્રયાસો માટે:
(page:236)

કોઈ નથી ઈલાજ મને પણ ખબર હતી,
રહે દર્દ યાદ તેથી દવા શોધતો રહ્યો.
➖➖➖➖➖➖➖➖

નિઝામુદ્દીન માં મળેલા લોકો જે સામે નથી આવતા એના માટે:

દુનિયાની સજા ભોગવી ઊંઘો ન નિરાંતે,
બાકી છે હજી એક કયામતની સજા ઔર.
➖➖➖➖➖➖➖➖
શહેરોમાંથી ગામડાં તરફ ભાગવા મજબૂર થયેલા લોકો વિશે :(page :273)

જગત વિશાળ છે તારું- પરંતુ આવું વિશાળ?
જરૂર જોગ બધાને જગા નથી મળતી.
➖➖➖➖➖➖➖➖

પોલિસ ના દંડા, કપાળે ચાંદલો, ચોખા, અને હું સમાજનો દુશ્મન છુનું સર્ટિફિકેટ મળ્યા પછીની વિનંતી:
(page 277)

મને આ મારી બદનામીની નથી પરવા,
ફકત તમારા તરફથી કશી તપાસ ન હો.
➖➖➖➖➖➖➖➖
લોક ડાઉન ના સમયનો સદ ઉપયોગ કેવી રીતે કરવો??
(page :231)

કોઈ કલા સ્વરૂપે જગત થી જુદા બનો,
નકશો બનો, કવિતા બનો, વારતા બનો.
દુનિયાના બંધનોથી જો હો છૂટવું “મરીઝ”
બસ આજથી તમે જ તમારા ખુદા બનો.
➖➖➖➖➖➖➖➖

આરોગ્ય અને પોલિસ કર્મીઓએ હું પણ સંક્રમિત થઈશ એવો બૌદ્ધિક ડર રાખ્યા વિના લાગણી અને ખંત થી જે કામ કર્યું છે તે
(page: 241)

મારા પ્રયાસ અંગે ન આપો સમાજ મને,
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.
➖➖➖➖➖➖➖➖

ડ્રોન સર્વેલંસ :
(page:224)

ઉપરથી જો જુઓ તો છે રઝળપાટ,
નહિતર છે બધા ખુદની જગા પર.
➖➖➖➖➖➖➖
કારણ વગર રસ્તા પર રખડતા લાપરવાહો માટે:
(page 248)

હળવો બની ફરું છું- બહુ બેશરમ છું હું,
ફેંકી દઈ ને કેટલા પ્રેમાળ ભારને.
➖➖➖➖➖➖➖
આપણે અત્યારે એટલું જ કરવાનું છે:
(page:284)

ફક્ત ઘરના ખૂણા સંભાળું તો બસ,
જગત આખું મારી અમાનત નથી.
➖➖➖➖➖➖➖➖
કોરોનાની દવા મળે એવી પ્રાર્થના:
(page:15)

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
➖➖➖➖➖➖➖➖
મહામારી, તેનાથી થતી હાલત અને મહામારીનું ભવિષ્ય:
(page:45)

દર્દ એવું કે કોઈ ન જાણે,
હાલ એવા કે જે બધા જાણે.
શું થયું તેય ક્યાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.
➖➖➖➖➖➖➖➖
રખડુ, careless આત્મઘાતી લોકોની સ્વગતોકિત :
(page:285)

આખી દુનિયાને લઈને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.
➖➖➖➖➖➖➖➖
લોક ડાઉન ના લીધે નવરા બેઠેલા કામના લોકો :
(page:23)

તમે ન કામમાં આવો તો કામમાંથી જઈશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.
➖➖➖➖➖➖➖➖
મદદના બહાને ફોટા પડાવતા લોકોને :
(page:23)

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.
➖➖➖➖➖➖➖➖
ચીનનું કથિત કાવતરું :

સહેલાઈ થી જે પ્રશ્નોને સર્જી રહ્યો છે તું,
સહેલાઈ થી એ પ્રશ્નો પતાવી નહિ શકે.
➖➖➖➖➖➖➖➖
ગરીબોની લારીઓ ઉંધી વાળનારને :
(page:74)

હો જેમાં તમામ લાચારી,
એ ગુનાહો જતા કરે કોઈ.
➖➖➖➖➖➖➖➖

ધારા _144 અને social distancing
(page:37)

બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે મરીઝ,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
➖➖➖➖➖➖➖➖

જેની પાસે ઓછું છે છતાં દાન કરી રહ્યા છે તેવા દાતાઓને :
(page:267)

એવા કોઈ દિલેરની સંગત મળે તો વાહ,
જે પોતે દીન હોવા છતાં પણ દયાળ છે.
➖➖➖➖➖➖➖➖

મોદી સાહેબે ભરેલ પગલાં પર ભરોસો :
(page:76)

કોઈ આ ભેદ ના કહેજો, ખુદા ખાતર સમંદરને,
ખુદા કરતાં વધુ વિશ્વાસ મુજને નાખુદાનો છે.

*નાખુદા=નાવિક
➖➖➖➖➖➖➖➖
15એપ્રિલની રાહ જોનારા લોકો માટે :(page:279)

હો મંઝિલ ની ઝંખના તો કહેતા રહો,
હવે એક કદમ છે, બસ એક જ કદમ.
➖➖➖➖➖➖➖➖
અમથું ય એક દિવસ જવાનું તો છે જ so be brave and take care
(page270)

અમથું જગત છે એમાં અમથું જીવન જીવીએ,
એમ જ મરીઝ એક દિન અમથું મરી જવાના.
➖➖➖➖➖➖➖➖
બાકી ડરવાની જરૂર નથી, કોરોનાના નકારત્મક વિચારો મનમાંથી કાઢી નાખો :
(page :70)

એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં,
દુઃખમાં હૃદય ને રાખો,
રાખો ન દુઃખ હૃદયમાં.
➖➖➖➖➖➖➖➖

સંકલન : – નિખિલ જાદવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *