Browsed by
Category: અખબારમાંથી

અહિંસક રેશમ

અહિંસક રેશમ

સ્ત્રી હોય કે પુરુષ હોય, સહુ કોઈને વર્ષોથી રેશમી વસ્ત્રો આકર્ષતાં રહ્યાં છે. બહુ જૂજ વ્યક્તિઓને એની જાણ હશે કે પાંચ વારની રેશમની સાડી માટે પચાસ હજારથી વધુ કીડાઓને મારવા પડે છે.

એટલું જ નહીં, પણ એ કોશેટાને ઊકળતા પાણીમાં નાખીને એમાંથી રેસમનો તાર મેળવાય છે, પરંતુ આંધ્રપ્રદેશના કુસુમ રાજૈયા એક પણ જીવની હિંસા કર્યા વિના ‘અહિંસા સિલ્ક’ બનાવે છે. કુસુમ રાજૈયા આંધ્રપ્રદેશના નગરમ નામના ગામમાં વણકર કુટુંબમાં જન્મેલા, પરંતુ એમનું કુટુંબ ખેતીવાડી કરતું હતું. માતા-પિતાની ઇચ્છા પુત્રને ડૉક્ટર બનાવવાની હતી, પરંતુ તેના ગામમાં ન તો વીજળી હતી કે ન રસ્તા ! હતી તો માત્ર ત્રણ ધોરણ સુધીની નિશાળ.

કુસુમ રાજૈયાને દસમું ધોરણ પાસ કરવા માટે આઠ વખત તો સ્કૂલ બદલવી પડી ! ત્યારબાદ એણે તામિલનાડુના સાલેમ ઇન્સ્ટિટયૂટ ઓફ હેન્ડલુમ ટૅકનોલોજીનો કોર્સ કર્યો. આ ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન વણાટકામ વિશે તેમને ઘણું જાણવા મળ્યું. તેઓને સતત કંઈક નવું જાણવાની અને નવું કરવાની જિજ્ઞાાસા રહેતી, તેથી ત્યાં આવેલા કુશળ વણકરોને અનેક પ્રકારના પ્રશ્નો પૂછતા અને તેમાંથી શીખતા હતા.

૧૯૯૦માં ભારતના રાષ્ટ્રપતિ આર. વેંકટરમણના પત્ની જાનકી વેંકટરમણ હૈદરાબાદમા કુસુમ રાજૈયા કામ કરતા હતા, તે આંધ્રપ્રદેશ સ્ટેટ હેન્ડલુમ કો-ઓપરેટીવ સોસાયટીની મુલાકાતે આવ્યાં, ત્યારે તેમણે પૂછ્યું કે, કોશેટાને માર્યા વિના સિલ્ક બને છે ખરું ? એમાંથી કુસુમ રાજૈયાના મનમાં અહિંસા સિલ્ક બનાવવાનો વિચાર આવ્યો. રાજૈયા કહે છે કે ‘આ કામ ઘણું મુશ્કેલ હતું. એવા ખેડૂતો કે જે સિલ્કવોર્મ ઉછેરતા હોય, એવી જગ્યા જ્યાં હું સૂતર કાંતી શકું એ બધું જ શોધવાનું હતું.’ એકાદ વર્ષમાં આ બધું ગોઠવાયું. શરૃઆતમાં સો કિલો સિલ્કવોર્મ લીધા. તેમને ઉછેર્યા. સાતથી દસ દિવસમાં કોશેટામાંથી તે જીવડું ઊડી જાય અને પછી એમાંથી સિલ્કનો તાર બને, છેવટે એમાંથી સોળ મીટર સિલ્ક બનાવી શક્યો.

સૌથી પહેલાં જે સિલ્ક બનાવ્યું તે બરછટ હતું અને મૂળ સિલ્ક કરતાં એની ચમક પણ ઓછી હોય એ પછી તેઓ સતત પ્રયોગ કરતા રહ્યા. તેઓ કાપડને રંગવાનું પણ શીખ્યા હતા. ડુંગળીની છાલ, હળદર, કાળો ગોળ, બાબુલના ઝાડની છાલ વગેરેથી સિલ્કને રંગે છે.

૨૦૦૨માં ભારત સરકારે રાજૈયાને અહિંસા સિલ્કની પેટન્ટ આપી. રાજૈયાને પોતાનો કોઈ શોરૃમ નથી અને તેઓ આની ક્યાંય જાહેરખબર પણ આપતા નથી. તેઓ મહિને બે હજાર મીટર સિલ્ક બનાવે છે. તેઓ કહે છે કે, ‘મોટા પાયે ઉત્પાદન કરવું એ મારું લક્ષ્ય નથી. મારે તો જે લોકો આનું મૂલ્ય સમજે છે અને અહિંસાના વિચાર સાથે જોડાયેલા છે તેમના સુધી આ સિલ્ક પહોંચે તેટલો જ હેતુ છે. જો કે અહિંસા સિલ્કને ભારતભરમાં અને વિશ્વવ્યાપી બનાવી શકાય તેમ છે. તેમણે સિલ્ક બોર્ડ ઑફ ઇન્ડિયાને કાગળ લખીને જણાવ્યું છે કે કોઈ પણ જીવની હિંસા વગર સિલ્ક બને તેવા રસ્તા અપનાવવા જોઈએ.

ઇન્ડોનેશિયાના પૂર્વ પ્રમુખ મેગાવતી સુકર્ણોની પુત્રી આ સિલ્ક ખરીદે છે. તો હોલિવુડના ફિલ્મમેકર જેમ્સ કેમરૃનનાં પત્નીએ ઓસ્કાર એવોર્ડના કાર્યક્રમમાં અહિંસા સિલ્કનો ગાઉન પહેરેલો. ઇઝરાયલ, યુ.કે., યુરોપ અને અમેરિકાના ડિઝાઇનરો નિયમિત રીતે આ રેશમી વસ્ત્ર ખરીદે છે. અનેક એવોર્ડ મેળવનાર રાજૈયા પર જર્મન એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટે ડોક્યુમેન્ટરી બનાવી છે.

અહિંસા સિલ્ક પછી એનું બીજું લક્ષ્ય છે ગામડાંઓમાં શિક્ષણ ઉપલબ્ધ કરાવવું. તેઓ કહે છે કે જો હું ટૅક્સટાઇલ ટેકનોલોજીમાં ડિપ્લોમા પણ ન કરી શક્યો હોત તો હું પણ બીજા હજારો સીમાંત ખેડૂતોના જેવી જિંદગી જીવતો હોત. અહિંસા સિલ્કમાંથી મળેલા પૈસા તેઓ અંતરિયાળ ગામનાં બાળકોને અને અનાથ બાળકોને શિક્ષણ મળે તેને માટે વાપરવા માંગે છે.

સૌજ‌‌‌‌‌‌ન્ય: ગુજરાત સમાચાર, રવિપૂર્તિ, તા.૨૦/૦૮/૨૦૧૭

નેતાઓના હીન ચરિત્ર

નેતાઓના હીન ચરિત્ર

​તામિલનાડુ અને ગુજરાત વિધાનસભામાં તાજેતરની વિવિધ ઘટનાઓમાં સત્તાધારી અને વિરોધપક્ષના ધારાસભ્યોએ મચાવેલ દંગલ હવે ભારતીય લોકશાહીમાં સાવ નવા તો નથી રહ્યા પરંતુ આ ઘટનાઓએ ફરીવાર એ યાદ તાજી કરી આપી છે કે જેને આપણે રાજપુરુષો કહીએ છીએ તેમના ચરિત્રના કોઇ ઠેકાણા હોતા નથી કારણ કે તેમની વાણી અને તેઓના વર્તન સતત એ વાતનો કુક્કુટ પોકાર કરે છે કે લોકશાહી પ્રણાલિકામાં અપાર શ્રદ્ધાના દિવસો હવે અસ્તાચળને આરે છે. સંસદભવનની પણ આ જ હાલત છે. આપણી લોકસભા અને રાજ્યસભા જ્યાં બિરાજમાન છે તે સંસદભવન આમ તો છ વર્ષના સતત બાંધકામ પછી ઇ.સ. ૧૯૨૭માં ખુલ્લુ મુકાયેલું છે અને હવે ઇમારત તરીકે ખખડધજ થઇ જતા લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરાકુમારના વડપણ હેઠળ એના નવીનીકરણની એક પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે પરંતુ માત્ર ઇમારત ખખડધજ થઇ નથી. ભારતીય લોકશાહીના મૂલ્યો અને તેને અનુસરીને સપાટી પર આવતા લોક પ્રતિનિધિઓના અભિગમો બધું જ હવે જર્જરીત થવા આવ્યું છે.
વિશ્વના સૌથી મોટા લોકતંત્રની આ સ્થિતિ ખરેખર દયાજનક છે. એનાથી ગંભીર વાત એ છે કે સતત પતનના માર્ગે ગબડતી આપણી લોકશાહીને મજબુત કરવાની દિશામાં કોઇ ચિંતા કરતું નથી. સંસદીય વ્યવસ્થા તરફ સાંસદોની અરૃચી સ્પષ્ટ દેખાય છે. કોઇ પણ રીતે સંસદની કાર્યવાહીને અટકાવવામાં વિપક્ષ પોતાને શૂરવીર માને છે. ભારતમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન એ છે કે વિપક્ષ સરકારને કેટલી ઝુકાવી શકે છે. અત્યારના વિરોધપક્ષોની ટીકા કરતી વખતે એ વાત પણ યાદ રાખવી જરૃરી છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે વિરોધપક્ષમાં હતી ત્યારે એણે પણ આ જ પ્રવૃત્તિઓ કરીને તત્કાલીન રાજ્ય કે કેન્દ્ર સરકારના કામકાજમાં પથરા રાખવામાં કંઇ બાકી રાખ્યંુ નથી. ચહેરા બદલતા રહ્યા છે પરંતુ વિપક્ષ અને સરકારની ભૂમિકા તથા તેની શૈલી બદલી નથી. સંસદ કે વિધાનસભાની કાર્યવાહી ન ચાલવાથી કેટલા પૈસા બરબાદ થાય છે. એ જાણવામાં તેઓને કોઇ રસ નથી. એ વાત ખરી છે કે સરકારની પ્રજાને નુકસાનકારક નીતિઓ અને એના લોકવિરોધી પગલાઓનો પ્રતિકાર કરવો એ વિરોધપક્ષની જવાબદારી છે. સંસદીય વ્યવસ્થા ભારતે એટલે જ અપનાવી છે કે સૌની સહમતીથી કામ થઇ શકે. સત્તાના અભિમાનમાં સરકાર રસ્તો ભૂલી ન જાય તે માટે એના પર અંકુશ જરૃરી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી માત્ર વિરોધ કરવા માટેનો વિરોધ જ જોવા મળે છે અને આપણને વારંવાર સંસદમાં ધમાલ થયાના  વૃતાંતો વાંચવા, જોવા અને સાંભળવા મળે છે. પ્રશ્ન માત્ર એક અધિવેશન નિષ્ફળ જવાનો નથી, પછીના સત્રમાં પણ કોઇ ધમાલ નહિ થાય તેની કોઇ ગેરેન્ટી નથી. કડવું સત્ય તો એ છે કે હવે આપણે એવા યુગમાં આવી ગયા છીએ જ્યાં રાજકારણને ચિક્કાર પૈસા બનાવવાનો ઉદ્યોગ માનવામાં આવે છે. એટલે આવનારા વર્ષોમાં તો વિધાનસભા અને સંસદમાં  ગાળાગાળી, મારામારી અને ધમાલના દ્રશ્યો અટકી જાય એવી કોઇ શક્યતા નથી.
પોતે જ ચૂંટેલા લોકનેતાઓ પરત્વે પ્રજાનો સતત મોહભંગ થતો રહે છે એટલું જ નહિ રાજ્ય કે દેશની છબી પણ કલંકિત બને છે. ગઇ ૧૫મી લોકસભાનું છેલ્લુ સત્ર શરમજનક ધમાલ સાથે પુરૃ થયું હતું અને અત્યારની ૧૬મી લોકસભામાં પણ વિરોધ પક્ષોએ શરૃઆતથી એ જ પરંપરા અપનાવી લીધી છે. ઇ.સ. ૨૦૦૫માં જ્યારે તત્કાલીન લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટરજીએ ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરોનો મુદે ઉછાળવાની મમતા બેનરજીને મંજુરી આપી નહિ તો  મમતાજીએ પોતાના હાથમાં રહેલી ફાઇલો અધ્યક્ષ તરફ ફેંકી હતી. એના પહેલા ડિસેમ્બર ૧૯૯૯માં  સંસદ સભ્યોએ તે વખતના કાયદાપ્રધાન રામ જેઠમલાણીના હાથમાંથી ફાઇલો આંચકી લીધી હતી. આવી જ હરકત રાજ્યસભામાં મે ૨૦૧૩માં આસામ ગણ પરિષદના વિરેન્દ્રકુમાર અને દિપક દાસે કરી હતી અને સલમાન ખુરશીદના હાથમાંથી ફાઇલો આંચકી લીધી હતી. આવા સંખ્યાબંધ ઉદાહરણો છે.
વિધાસસભા અને સંસદની ગરિમા સતત ઘટાડવા માટે અનુક્રમે ધારાસભ્યો અને સાંસદો વચ્ચે જાણે કે સ્પર્ધા ચાલી રહી છે પરંતુ તેઓએ પોતાના ખિસ્સાનું વજન વધારવાનો ઉપક્રમ ચાલાકીપૂર્વક ચાલુ રાખ્યો છે. સાંસદોના વેતન અને ભથ્થાનું નિર્ધારણ સેલેરિઝ એન્ડ એલાઉન્સિસ ઓફ મિનિસ્ટર્સ એક્ટ – ૧૯૫૨ અંતર્ગત નક્કી કરવામાં આવે છે. છેલ્લા છ દાયકાઓમાં આપણા સાંસદોએ ૩૫ વાર પોતાના ભથ્થા અને વેતનનો વધારો લીધો છે. આ પ્રવૃત્તિ તેમણે બિલકુલ દલા તરવાડીની અદાથી જ કરી છે. ઇ.સ. ૧૯૫૨ના એ કાયદામાં ૨૮ વખત સુધારાઓ થયા છે. કેબિનેટ દ્વારા સાંસદોને મળનારા વેતન અને ભથ્થા પર સુધારાનો પ્રસ્તાવ લાવવામાં આવે છે અને સંસદ એને મંજુર કરીને કાયદાનું રૃપ આપી દે છે. આવા સુધારા ખરડાઓ ઉપર ધમાલ થતી નથી. મોટે ભાગે તો એને ધ્વનિમત દ્વારા એટલે કે મૌખિક સંમતિથી પસાર કરી દેવામાં આવે છે. તેઓ એમ માને છે કે કોઇ કશું જોતું નથી અને કોઇને કંઇ ખબર નથી. ભારતનો લોકદેવતા બધુ જ જુએ છે અને સતત જોયા કરે છે પરંતુ વિરાટ કોઇક દિવસ જાગશે અને વામણા નેતાઓને તેમની જગ્યા બતાવશે એવી ભારતીય પ્રજાને હજુ પણ શ્રદ્ધા છે.

તંત્રી લેખ, ગુજરાત સમાચાર, તા.૦૧/૦૩/૨૦૧૭

પ્રજાની મર્યાદિત સત્તા

પ્રજાની મર્યાદિત સત્તા

​દુનિયાના જે દેશોમાં ભારતની જેમ પ્રજાની સત્તા છે એટલે કે એ રાષ્ટ્રો પ્રજાસત્તાક- રિપબ્લિકન- દેશો છે તેઓનામાં પ્રયોગ કરવાની અજાયબ ક્ષમતાઓ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રજાઓએ રોમાંચક પ્રયોગો કરેલા છે જેને કારણે સત્તાના અનેક કેન્દ્રો અણધારી ઉલટ-પલટમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રજા ચોક્કસ પ્રકારના પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે શાસકોને પસંદ કરે છે. એક જમાનામાં પક્ષની વિચારધારાઓને આધારે પસંદગી થતી હતી અને ત્યારે પક્ષના મેનિફેસ્ટોનું પણ મહત્ત્વ હતું. હવે પક્ષીય વિચારધારાઓ એના અંત તરફ ગતિ કરી રહી છે, જે પ્રજાસત્તાક રાષ્ટ્રના સાર્વભૌમત્વ અને અવિચ્છિન્ન સ્વતંત્રતા માટે જોખમથી ભરપુર છે.
આપણે ત્યાં પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુ આણિ મંડળીની સામ્યવાદી વિચારધારાઓના લાલ ઝંડા દાયકાઓ સુધી લહેરાતા રહ્યા એનું કારણ એ પ્રદેશની સામ્યવાદી વિચારધારામાં સંમતિ જ મુખ્ય હતી. પરંતુ જેમ વિશ્વમાં તેમ ઘર આંગણે દેશમાં પણ વ્યક્તિવાદી રાજકારણની શરૃઆત થઈ અને નવા આગંતુક એવા નેતાઓનો ઉદય થયો કે જેમણે પક્ષની વિચારધારાઓ બદલાવી અને પોતાની નવી વિચારધારા પક્ષને આપી. તેઓ પોતે એકલા જ પક્ષનો મુખ્ય ધ્વજદંડ લઈને છવાઈ ગયા. એને કારણે પક્ષના સિદ્ધાન્તો બહુ પાછળ રહી ગયા. આમ થવાનું એક કારણ એ છે કે હું પ્રજાનો સેવક છું એ ભાવના રાજનેતાઓમાંથી લુપ્ત થઈ અને રાજકારણ માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટેનું જ હથિયાર બની ગયું. એને કારણે પ્રજાની પોતાની સત્તા મર્યાદિત થઈ ગઈ.
ગાંધીજી રાજકારણને રાજ્યપ્રકરણ કહેતા અને આ રાજ્યપ્રકરણ પણ પોતાને માટે પરમાત્મા અને સત્યનો સાક્ષાત્કાર કરવાનું માધ્યમ છે તેમ માનતા. એટલે કે એક સામાન્ય ભજનિક ભજન દ્વારા હરિ સુધી પહોંચે તે અર્થમાં ગાંધીજી રાજકારણ દ્વારા પરમતત્ત્વ સુધી પહોંચવાનો મદાર રાખતા. એટલે ભજનિકમાં જે વિશુદ્ધ લાગણી અને સાધનશુદ્ધિ હોય છે તેવી જ પવિત્રતાની અપેક્ષા ગાંધીજી રાજ્ય પ્રકરણમાં ઓતપ્રોત હોવાની પોતાની દરેક ક્ષણ પાસેથી રાખતા. આ ગાંધીજીની પોલિટિકલ હાઈટ છે જેની સામે ત્રણેય કાળના દિગ્ગજો ઝૂકી જતા, ઝૂકે છે અને ઝૂકતા રહેશે. પ્રવર્તમાન પ્રજાસત્તાક દેશોના રાજનેતાઓમાં આનો એક ટકો પણ જોવા મળતો નથી.
અમેરિકામાં ચાર વરસ અને ભારતમાં પાંચ વરસ ચૂંટાયેલા લોકો એ વાત ભૂલી જ જાય છે કે તેઓ વિશાળ જનસાગરના પ્રતિનિધિ માત્ર છે. તેમનામાં ન જાણે એક એવું હિરોઈઝમ સવાર થઈ જાય છે જે તેમને એક પછી એક બકવાસ કરવાની અને સતત ખોટા નિર્ણયો લેવાની મુક્તિ આપી દે છે, જે મુક્તિ પ્રજાને નવા નવા બંધનો તરફ દોરી જાય છે. તેઓ પોતાની ભૂલો કદી સ્વીકારતા નથી અને જૂની ભૂલોને સાચી ઠેરવવા માટે શાહી ઠાઠથી નવી ભૂલો કરતા જ જાય છે. પછી પણ ભવિષ્યમાં મોકો મળે ત્યારે પ્રજા તેમને પાઠ ભણાવે અને એના પછી પણ તેઓ શાંત જળને ડહોળવાનું જ કામ કરતા રહે છે. આ સંયોગોને કારણે પ્રજાના કામો પડતા મૂકાયેલા છે. આત્મરતિ, આત્મછવિ અને આત્મગાનમાં જ પ્રજાસત્તાક દેશોના વડાઓ તરતા દેખાય છે. એટલે જ સરકારનું તંત્ર તબક્કાવાર પાણીમાં બેસી રહ્યું છે.
જો નાગરિક પોતે ચીવટ ન રાખે તો તેની પોતાની જિંદગીની નૌકા હાલકડોલક થઈ જાય. સોશ્યલ મીડિયામાં આજકાલ દર્શાવાય છે કે સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓના બિલ્ડિંગો ફાઈવ સ્ટાર કક્ષાના છે અને તેમના સ્ટાફના ઘર જર્જરિત છે એની સામે સરકારી શાળાઓ- કોલેજોના બિલ્ડિંગો સાવ જર્જરિત છે અને એના સ્ટાફના ઘર ફાઈવસ્ટાર કક્ષાના છે.  આ વિરોધાભાસ નથી, પ્રજાસત્તાક રાષ્ટ્રના પરિણામોનો એક નમૂનો માત્ર છે. દેશમાં આવા હજારો પ્રકારના વિરોધાભાસ, અસમતુલા, અન્યાય અને ઘોર અરાજકતાના દ્રષ્ટાંતો વગર દીવે જોવા મળે છે. પ્રજાના વિશ્વાસનો ઘાત કરવાની કળા હવે રાજવિદ્યાનું અભિન્ન અંગ છે અને મોટાભાગના રાજકારણીઓ માટે જ મંત્ર છે.
દેશમાં જેઓ એક દાયકો રાજકારણમાં પસાર કરે છે તેઓ સહેજેય રૃપિયા પાંચ-પચીસ કરોડના આસામી થઈ જાય છે અને બે દાયકા પછી તો ૫૦૦ કરોડ વટાવી જાય છે. આ આપણા નેતાઓનું આજનું રાજ્ય ‘પ્રકરણ’ છે. કર્મનો સિદ્ધાન્ત કામ કરતો જ હોય છે છતાં જાહેર જીવનમાં ચોતરફ સંપૂર્ણ જુઠ્ઠા, મીઠાબોલા, આડા-ઊભા ટીલાં ટપકાં જોવા મળે છે. તેઓ એમ માને છે કે નીચે પૃથ્વી પર કે ઉપર આભમાં મને કોઈ રોકે નહિ, મને કોઈ ટોકે નહિ- મારી મરજી ! આવા દુષ્ટ મરજીદારો સામેના પ્રજાસત્તાક રાષ્ટ્રના રખવાળા મરજીવાઓનું પ્રભાત થવાને હજુ તો ઘણી વાર છે.
અમેરિકા જ્યારે અર્ધા અભણોના ઉપદ્રવોથી ઉભરાતો દેશ હતો ત્યારે તેના મહાન ચિતંક રાલ્ફ વાલ્ડો એમર્સને અમેરિકન પ્રજાને બુલંદ સ્વરમાં કહ્યું હતું કે હે અમેરિકનો તમે ધીરજ રાખો, આપણી એમેઝોનના ઘૂઘવાટા કરતા જળને પોતાના ગીતોમાં કંડારનાર આવશે, આપણી ઓળખને દુનિયા સમક્ષ છતી કરનારા સંગીતકારો આવશે, પ્રજાના સંવેદનને સમજનારા નેતાઓ આવશે. અમેરિકન પ્રજા વચ્ચે ૧૫૦૦થી વધુ જાહેર પ્રેરણાત્મક નિઃસ્વાર્થ વ્યાખ્યાનો આપીને એમર્સને તેની પ્રજામાં છેક ઓગણીસમી સદીના મધ્યકાળે અજાયબ પ્રાણસંચાર કર્યા હતા અને પછી તેમ જ થયું હતું. ભારતીય પ્રજાએ પણ પ્રજાસત્તાક પર્વે પોતાને જ હૈયાધારણા આપીને કહેવાનું છે કે આ અખંડ ભારતને આત્મસાત કરીને, અહંકારશૂન્ય અને દ્રષ્ટિ સંપન્ન મહાપુરુષો આ દેશને દિશા આપવા જેમ અગાઉ આવ્યા હતા તેમ આજના અંધાકારને પાર કરીને આવશે, આવશે જ.

તંત્રી લેખ, ગુજરાત સમાચાર, તા.૨૬/૦૧/૨૦૧૭