મલાલા ઓફ સિરિયા

મલાલા ઓફ સિરિયા

નાની ઉંમરે આવી સમજણ ધરાવતી મુજૂન અલમેલહનનો જન્મ ૧૯૯૯માં સીરિયાના ડારા શહેરમાં થયો હતો. પિતા સ્કૂલ શિક્ષક હતા એટલે પોતાના ચારેય સંતાનોને શિક્ષણ આપવું એ એમના જીવનની પ્રાથમિકતા હતી. પરંતુ સીરિયાના આંતરયુદ્ધને પરિણામે જીવનની શાંતિ હણાઈ ગઈ. ૨૦૧૩માં બૉમ્બવર્ષા વચ્ચે મજબૂરીથી ઘર છોડીને મુજૂનના કુટુંબે જોર્ડનમાં આશરો લીધો.

આવી પરિસ્થિતિમાં પણ મુજૂન અને તેના ભાઈ-બહેનોનું કેમ્પની અસ્થાયી સ્કૂલમાં ભણવાનું ચાલુ હતું. મુજૂન કેમ્પમાં એવી બાળકીઓ મળી કે જેનું ભણવાનું બંધ થઈ ગયું હતું. તેમનાં માતા-પિતા તેના લગ્નની તૈયારી કરી રહ્યાં હતાં. મુજૂન માટે આવી બાબત આશ્ચર્યકારક અને આઘાતજનક હતી. તેમણે તેમનાં મા-બાપને સમજાવવાનું શરૃ કર્યું કે તેઓ તેમની દીકરીઓને ભણવા મોકલે.

મુજૂન બાળકીઓને પણ સમજાવવા લાગી અને ઘણી નાની વયે થતાં લગ્ન પણ અટકાવ્યા. કેટલીક વ્યક્તિઓને મુજૂનની આ વાત ગમી નહીં, તો કેટલાક નારાજ પણ થયા, પરંતુ તેના પિતા મુજૂનના આ કામથી ખુશ હતા. એ લોકો જ્યારે અઝરાક કૅમ્પમાં રહેતા હતા, ત્યારે મુજૂનની મુલાકાત મલાલા યુસુફજાઈ સાથે થઈ. મુજૂન કહે છે કે, ‘એને મળવું એ મારા માટે સ્વપ્ન જેવું હતું’ એ ખુશ હતી કે મલાલાએ એના કામને બિરદાવ્યું.

આ સમય દરમિયાન અલમેલહન પરિવારને કેનેડા અથવા સ્વીડનમાં વસવાટ કરવા માટેનો પ્રસ્તાવ મળ્યો, પરંતુ મુજૂનના પિતાની ત્યાં જવાની ઇચ્છા નહોતી. પોતાનું વતન છોડીને જોર્ડનમાં માંડ સ્થિર થયા હતા, ત્યાં વળી નવી જગ્યાએ જવામાં તેમને ભય લાગતો હતો. ત્યાં કેવો માહોલ હશે એવી આશંકાથી તેમનું દેશાંતર કરવા માટે મન માનતું નહોતું, પરંતુ મુજૂન ઘણી સ્વસ્થ અને નીડર હતી. શરણાર્થીઓ માટે કામ કરતી યુનિસેફ સંસ્થાના સભ્યો સાથે તેની મુલાકાત થઈ.

તે એમની સાથે મળીને છોકરીઓના શિક્ષણ માટે કામ કરવા લાગી.  જોર્ડનમાં પણ હવે વધુ દિવસો રહી શકાય તેવી કોઈ શક્યતા જણાતી નહોતી. એટલે મુજૂન બ્રિટનમાં રહેવાની શક્યતાઓ શોધવા લાગી. એવામાં ૨૦૧૫ના સપ્ટેમ્બરમાં તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમરુને વીસ હજાર શરણાર્થીઓને બ્રિટનમાં સમાવવાની મંજૂરી આપી. મુજૂને પિતાને આ વાત કરી અને પિતા બ્રિટન જવા રાજી થઈ ગયા.

જોર્ડનથી લંડન પહોંચનારો સીરિયાનો આ પ્રથમ શરણાર્થી પરિવાર હતો. લંડનમાં મુજૂનનો અભ્યાસ ચાલુ થયો. એની ઇચ્છા પત્રકાર બનીને શરણાર્થીઓની વાત, એમની વેદના વિશ્વ સુધી પહોંચાડવાની છે. એ કહે છે કે યુદ્ધ દરમિયાન પોતાના દેશનો વિનાશ થતો જોવો તે એક બાળક માટે કેટલું દુ:ખદાયક હોય છે !

મુજૂન અલમેલહનનું સ્વપ્ન છે કે વિશ્વની તમામ દીકરીઓને ભણવાની તક મળે અને કોઈનાં ય નાની ઉંમરમાં લગ્ન ન થાય. એ કહે છે કે, કૌટુંબિક સંબંધો હંમેશા કામ નથી આવતા. જ્યારે લગ્ન તૂટે છે ત્યારે શિક્ષણનું શસ્ત્ર કામ આવે છે. જો તમે શિક્ષિત નથી હોતા તો કોઈ તમને બચાવી શકતું નથી. ‘મલાલા ઑફ સીરિયા’ તરીકે ઓળખાતી મુજૂન યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર બનનારી સૌથી નાની ઉંમરની મહિલા તો છે, પણ સાથે સાથે એ ઓફિશિયલ રેફ્યુજી સ્ટેટસ ધરાવતી પ્રથમ એવી વ્યક્તિ છે જે યુનિસેફની એમ્બેસેડર બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *