સ્નેહથી પ્રેમ સુધી
એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં.
ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છો’ ? પુછાય નૈં.
રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખુ તને.
ત્રણ ઘટનાઓથી આગળ કથા કંઈ જાય નૈં.
હુંય એ જાણું જ છું કે બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કંઇ બધું કહેવાય નૈં.
એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જવાના ડરથી સ્પર્શ પણ કંઇ થાય નૈં.
એક દિ’તું આ નજરથી દૂર થઇ જાશે અને,
હું કહી પણ ના શકી કે કંઇ મને દેખાય નૈં.
મહેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં-
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈં
આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે?
આ બધું કહેવાય નૈં, સહેવાય નૈં, સમજાય નૈં.
– રિષભ મહેતા